પહેલગામ હુમલાનો મોરબીમાં વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીના વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. શહેરના તમામ વેપારી એસોસિએશનોએ આ બંધમાં સ્વૈચ્છિક જોડાણ કર્યું હતું.
- Advertisement -
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની આગેવાનીમાં સનાળા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિત અનેક આગેવાનો જોડાયા હતા. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ, ખાદ્ય તેલ વેપારી એસોસિએશન, ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન, પ્લાસ્ટિક એસોસિએશન, ફટાકડા એસોસિએશન, કાપડ મહાજન એન્ડ રેડીમેઇડ ગાર્મેન્ટ અને કરિયાણા મર્ચન્ટ એસોસિએશન સહિતના તમામ વેપારી સંગઠનોએ બંધમાં ભાગ લીધો હતો.
રેલી નેહરુ ગેટ ચોક ખાતે પૂર્ણ થઈ હતી. અહીં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વેપારીઓએ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, વિહિપના જિલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરિયા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
વેપારીઓની દુકાનોની બહારના ભાગમાં વિહિપ અને બજરંગદળ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને અને તેમાં લખ્યું છે કે, ધર્મ જોઈને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે આમ જો લોકોને તેનો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવતી હોય તો સનાતની હિન્દુઓને પણ હવે મોરબી સહિત દેશભરમાં જાગવાનો સમય પાકી ગયો છે. ત્યારે માત્ર હિન્દુઓની દુકાનોએથી જ માલ સામાનની ખરીદી કરવામાં આવશે તેવી શપથ પણ લોકોએ મોરબીમાં લીધી હતી.
પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને મોરબીવાસીઓ કચડશે
- Advertisement -
મોરબી સહિત દેશમાં આતંકવાદની સામે આક્રોશ છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય અજયભાઇ લોરીયા દ્વારા મોરબીના શનાળા રોડે અને નગર દરવાજા ચોકમાં રસ્તા ઉપર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને બનાવવામાં આવેલ છે અને ત્યાં રસ્તા ઉપરથી આવતાં જતાં લોકો અને વાહનચાલકો પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને કચડી નાખે તેવી ભાવના સાથે જમીન ઉપર પાકિસ્તાનના રાષ્ટ્ર ધ્વજ બનાવવામાં આવેલ છે.