સરકારી કચેરીઓના દ્વાર પર જ પશુઓનો અડિંગો : ગલી-શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં પશુઓના ટોળા
જૂનાગઢનાં માર્ગો પરથી પશુઓને દુર કરવામાં મનપા તંત્ર નિષ્ફળ : વાહન ચાલકોને ભારે પરેશાની
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં રખડતા પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે.શહેરનાં દરેક માર્ગ ઉપર પશુઓ જોવા મળે છે. એટલું જ નહી જિલ્લા સેવા સદનનાં દરવાજે પણ પશુઓનો અડિંગ છે. અહીં આવતા અરજદારો, કર્મચારીઓ અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. જિલ્લાનાં તમામ વિભાગનાં વડા અહીંથી પસાર થાય છે. પરંતુ રખડતા પશુ તેમની નજરે ચડતા નથી.
જૂનાગઢ શહેરમં રખડતાં-ભટકતાં પશુઓના અસહ્ય ત્રાસથી નગરજનોમાં ભારે રોષ જોવા મળે છે. આ પશુઓના ડરે બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો ઘરની બહાર નીકળતા પણ ડરે છે, ત્યારે વાહનચનલકોએ પણ નાછુટકે રસ્તો બદલવાની ફરજ પડે છે. પશુઓના આતંક સામે પ્રશાસન તેમજ ચૂંટાયેલા લોક પ્રતિનીધીઓ નિષ્ક્રિય હોય તેવું જણાઇ રહ્યું છે. અવાર નવાર પશુઓ આડા પડવાથી વાહન ચાલકોના અકસ્માત સર્જાઇ છે, જેને પરીણામે ઇજાઓ અને કયારેક તો મૃત્યુ સુધીની ઘટનાઓ ઘટે છે. તાજેતરમાં જ જૂનાગઢ વંથલી હાઇવે પર ગોજારા અકસ્માતમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત માટે પણ રખડતા પશુઓ જવાબદાર હતાં. શહેરની સરકારી કચેરીઓના દરવાજે જ પશુઓ અડિંગો જમાવી બેઠા હોય છે ત્યારે સામાન્ય લોકોને અંદર પ્રવેશવા કે બહાર નીકળવામાં મુશ્કેલી ઉભી થાય છે. આ ઉપરાંત નાની મોટી ગલીઓ, શેરી-મહોલ્લામાં જયાં જુઓ ત્યાં પશુઓના ટોળા કાળ બનીને રખડે છે. ત્યારે નગરજનો દ્વારા વારંવાર થતી રજુઆતોને તંત્ર દ્વારા અવગણવામાં આવે છે.
તંત્રની અને લોક પ્રતિનીધીઓની ઉદાસીનતા તથા મૌન નગરજનોને અકળાવે છે. માત્ર ગાયો અને ખુંટીયા જ નહી ભુંડ અને કુતરાઓના પણ ટોળા ઉમટે છે. વાહન ચાલકો પાછળ દોડતાં કુતરાઓ પણ કયારેક અકસ્માત માટે નીમીત બને છે. પ્રજાજનોએ પણ આ બાબતે થોડી તકેદારી રાખવી પડશે. જાહેર રોડ રસ્તા ઉપર પશુઓને ખાવાનું નાખતા જયાં લોકોની અવર જવર ન હોય તેવી જગ્યાએ ખાવાનું આપવું જોઇએ. જેથી રોડ-રસ્તા પર પશુઓને આવતા અટકાવી શકાય કેટલીક જગ્યાએ પશુઓ દ્વારા સંપુર્ણ રસ્તો બંધ થઇ ગયા હોવાનું પણ બને છે. કેટલાક પશુપાલકોની બેદરકારીના કારણે પણ પશુઓ જાહેર માર્ગો ઉપર ભટકતાં હોય છે. આવા સમયે શહેરમાં ટ્રફિકને કારણે પણ કયારેક અકસ્માતો થતાં જોવા મંળે છે. પશુઓના ત્રાસની આવી ફરિયાદો રાજયના અનેક શહેરોમાં જોવા મળે છે ત્યારે સરકારે પણ આ અંગે વિચારવું જરૂરી છે.
- Advertisement -
કેટલાક લોકોનું એવું પણ માનવુ છે કે, ગૌચરના થઇ રહેલા નાશના કારણે પણ આ સમસ્યા ઉદ્ભવે છે. હાલ ગામડા અને શહેરોમાં વધી રહેલાં વિકાસના પરીણામે ગૌચર ની જમીનો ઓછી અથવા તો પેશકદમી થતી જવાથી પશુઓ શહેરના માર્ગો પર આવવા લાચાર બન્યાં છે. આ બાબતે પણ તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે જો આની આ પરિસ્થિતી રહેશે,તો ભવિષ્યમાં રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી ઉદભવી શકે છે અને અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઇ શકે છે. રાહદારીઓ એ પણ હેલ્મેટ પહેરીને નીકળવું પડે તેવી પરિસ્થિતી સર્જાય તે પહેલા યોગ્ય કરવામાં આવેતે જરૂરી છે.
જવાહર રોડ ઉપર તો કાયમી અડિંગો
જૂનાગઢનાં તમામ માર્ગો પર પશુ જોવા મળે છે. પરંતુ જવાહર રોડ અને ગિરનાર દરવાજા રોડ ઉપર પશુઓનો કાયમી અડિંગો જોવા મળે છે. શહેરની સોસાયટી વિસ્તારમાં પણ પશુઓ રસ્તા ઉપર બેસી રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.