તાલાલા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન જીકુભાઈ સુવાગિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો
બામણાસા ગિરથી જામવાળા ગિર માર્ગ પહોળો કરવા જંગલખાતાની 12 હજાર ચો.મીટર જમીનના બદલામાં આંકોલવાડી ગિર ગામની સરકારી પડતર જમીન જંગલખાતાને આપવા મોકલાયેલી દરખાસ્તને મંજૂરી આપો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
તાલાલા ગીરથી જામવાળા ગીર જતો સ્ટેટ હાઇવે નો માર્ગ પૈકી બામણાસા ગીરથી જામવાળા ગીર સુધીનો માર્ગ સાંકડો હોય ત્રણ જિલ્લાની પ્રજા માટે અતિ ઉપયોગી આ માર્ગ પહોળો કરવા જંગલ ખાતાની જમીનના બદલામાં સરકારી પડતર જમીન જંગલખાતા ને આપવા ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા રાજ્ય સરકારને મોકલેલ દરખાસ્તને વહેલાસર મંજૂરી આપવા આ વિસ્તારના અગ્રણી જીકુભાઈ સુવાગીયાએ માંગણી કરી છે.
તાલાલા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન જીકુભાઈ સુવાગીયા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પાઠવેલ પત્રમાં જણાવેલ વિગત પ્રમાણે ગીર સોમનાથ,જુનાગઢ,અમરેલી જિલ્લાની પ્રજા તથા આ વિસ્તારમાં આવતા અગણિત પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ તાલાલા ગીરથી જામવાળા ગીર જતા માર્ગ પૈકી બામણાસા ગીરથી જામવાળા સુધીનો માર્ગ અનામત જંગલમાંથી પસાર થાય છે પરિણામે આ માર્ગ સાંકડો છે.આ માર્ગ પહોળો કરવા જંગલખાતાની અનામત જંગલમાંથી 12 હજાર ચો.મીટર જમીન જરૂર હોય તેના બદલામાં તેટલી જમીન જંગલખાતાએ પસંદ કરેલ આંકોલવાડી ગીર ગામની સરકારી પડતર જમીનમાંથી જંગલખાતાને આપવા ગીર સોમનાથ જિલ્લા કલેકટરે દરખાસ્ત તૈયાર કરી રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલી છે.તાલાલા ગીર,જામવાળા ગીર માર્ગ ગિરનાર,સાસણ ગીર,દીવ,તુલશીશ્યામ,જામવાળા,આંબરડી નેશ વિગેરે પ્રવાસન સ્થળો ને જોડતો માર્ગ છે જેથી આ માર્ગ ઉપર અવિરત ટ્રાફિક રહે છે.પ્રવાસન સ્થળોને કારણે ટ્રાફિકમાં દર વર્ષે વધારો થાય છે.
આ માર્ગ સાંકડો હોવાનાં કારણે નાનાં મોટાં અકસ્માતો થતા હોય માર્ગ પહોળો કરવો ખૂબ જ જરૂરી છે.માર્ગ પહોળો કરવા અનામત જંગલમાંથી 12 હજાર ચો.મીટર એટલે કે એક હેક્ટર જેટલી જમીન સંપાદન કરવી પડે તેમ છે.આ માટે રાજ્ય સરકારની આંકોલવાડી ગીર ગામની પડતર જમીનમાંથી 12 હજાર ચો.મીટર જમીન જંગલખાતાને આપવાની કલેકટરે કરેલ દરખાસ્તને વહેલાસર મંજૂરી આપી ત્રણ જીલ્લાની પ્રજા તથા આ વિસ્તારમાં આવતા અગણિત પ્રવાસીઓનાં પ્રાણ પ્રશ્નનો સુખરૂપ નિવારણ લાવવા પત્રના અંતમાં જીકુભાઈ સુવાગીયા એ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે.