રાજકોટ તરફથી ભગવાન રામને નાનકડી ભેંટ
શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 22 જાન્યુઆરીનાં રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં મંદિરનો ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. 500 કરતા વધુ વર્ષ બાદ યોજાનાર આ સમારોહને લઈ દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ભારે ઉત્સાહ છવાયો છે. આ મહોત્સવ માટે સૌ કોઈ યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. ત્યારે શહેરની માતૃમંદિર કોલેજનાં છાત્રો દ્વારા ભગવાન શ્રી રામ માટે એલચી, લવિંગ, અક્ષતથી 350 ફૂટનો હાર બનાવાયો છે. આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ હારની પૂજા કરવામાં આવી હતી. આકાંક્ષી રાજપૂત નામની વિદ્યાર્થીનીએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા દ્વારા અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે એક ખાસ હાર તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજે 70 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા આ માટે રાત-દિવસ મહેનત કરાઈ હતી. હારની ખાસિયત એ છે કે, તેને એલચી, લવિંગ, અને અક્ષત સહિતની વસ્તુઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેથી ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાશે.
આજે સંતોની હાજરીમાં અમારા દ્વારા હારનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાયું છે. હવે તેને અયોધ્યા ખાતે મોકલી અમારા તરફથી રામ ભગવાનને નાનકડી ભેંટ આપવામાં આવનાર છે. પ્રોફેસર દિશાંક કાનાબારે મિડીયાને જણાવ્યું હતું કે, આ હાર બનાવવા માટે 70 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા 7 દિવસથી કાર્યરત હતા. જેમાં એક હાથ વિનાની દિવ્યાંગ દીકરી પણ સામેલ હતી. આ હારની ખાસિયત એ છે કે, દેશનો મોટામાં મોટો હાર રાજકોટમાં બન્યો છે. છાત્રોને મનમાં હતું કે, મોટામાં મોટી અગરબત્તી, ઘંટડી, નગારુ જેવી વસ્તુઓ ગુજરાતમાં બની છે. ત્યારે અહીંથી પણ આવી જ કોઈ વસ્તુ તૈયાર કરવામાં આવે. જેને કારણે દેશનો સૌથી મોટો હાર પણ હવે અહીંથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ હારનું પૂજન કરવામાં આવ્યું છે. આજે રાત્રે અથવા આવતીકાલ સવાર સુધીમાં હારને અયોધ્યા ખાતે રવાના કરવામાં આવશે.