હોલીવૂડના ફિલ્મી હાઇપ વચ્ચે ગુજરાતી સાહિત્યમાં નવો પ્રયોગ: ‘ધ કોલ ઑફ ક્થુલુ’
આપણે બ્રહ્માંડમાં એકલાં નથી. આપણાંથી વધુ વિકસિત જીવો બ્રહ્માંડમાં વસેલા છે. પરગ્રહવાસીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન સંપૂર્ણ માનવજાતિ માટે જોખમી છે. આ ચેતવણી કોઇ વિજ્ઞાનકથાના લેખકની નથી, પરંતુ આ ક્ષેત્રના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની છે. આવી, વાત તેમણે કોઈ કલ્પનાને આધારે નહીં, પણ બ્રહ્માંડના ઊંડા અભ્યાસ બાદ ગાણિતિક રીતે પરગ્રહવાસી હોવાની સંભાવનાઓ ગણીને કહી છે. આમ, પરગ્રહવાસીઓની વાતોને સાવ કપોળ કલ્પિત ગણી શકાય નહીં. પૃથ્વી પર જીવન વિકસ્યું એવું જીવન અન્ય તારામંડળોમાં વિકસ્યુ હોવાની સંભાવના ખૂબ વધુ છે. પરગ્રહવાસીઓ અંગે સૌથી વધુ આકર્ષણ ધરાવતી પ્રજા અમેરિકન છે. હોલીવૂડની ઘણી ફિલ્મો એ વિષયને આધારે જ બની છે. આમ, પણ આક્રમક મિજાજી અમેરિકન પ્રજાને વિશ્વની કોઇ પ્રજા કે દેશ તેમની સાથે દુ:શ્મની કરી તેમની સામે લડાઈમાં બરોબરી કરી શકે તેવું તે માનતા નથી. 1990ના દશક સુધી સોવિયેટ સંઘ એમનું મુખ્ય દુશ્મન ગણાતું ત્યારે સોવિયેટ સંઘના જાસુસો સામે કે તેની સામેની દુશ્મનીને લગતી ફિલ્મો ખાસ બનતી. પણ હવે તો તેમને બરોબરીના દુ:શમનો પરગ્રહવાસીઓ જ લાગે છે. તેનું પ્રતિબીંબ તેમની ફિલ્મોમાં પણ દેખાય છે. તેમની ફિલ્મોમાં અવકાશમાંથી આવનારી બધી આફતોથી વિશ્વને બચાવાનાર એક માત્ર તારણહાર અમેરિકા છે અને તે ધરતીનું રક્ષણ કરતું રહે છે. ભારતમાં પાકિસ્તાનને જાસુસી કે યુધ્ધની ફિલ્મો ખૂબ ચાલે છે. 2026માં ભારતમાં જેમ ધુરંધરના બીજા ભાગની આતુરતા છે એવી જ હોલીવૂડમાં આ વર્ષે સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘ડિસક્લોઝર ડે’ની છે. ડિસ્ક્લોઝર ડે એલીયનને આધારિત ફિલ્મ જ છે. પરગ્રહવાસીઓની કલ્પનાના મૂળિયાં માનવજાતિના ઇતિહાસમાં ઘણા જૂના મળી આવે છે. વીસમી સદીની શરૂઆતમાં ફ્યુચરીઝમ પ્રકારની કળાએ યુરોપ-અમેરિકામાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું. ફ્યુચરીઝમમાં વિચિત્ર કહી શકાય એવા દેખાવના ચિત્રો અને શિલ્પો કલાકારો દ્વારા બનાવવામાં આવતા. આવા જ વિચારોથી પ્રેરીત થઈ અમેરિકન લેખક એચ. પી. લવક્રાફ્ટે સાહિત્ય સર્જન શરૂ કર્યું. તેમનું પુસ્તક ધ કોલ ઑફ ક્થુલુનો ગુજરાતી ભાષામાં સૌપ્રથમ વખત અનુવાદ પ્રકાશિત થઈ રહ્યો છે. વાર્તાની શરૂઆતનો પ્રથમ ફકરો જ નીચે મુજબ છે. ‘વિશ્વમાં સૌથી રાહત આપનારી વસ્તુ મને એ લાગે છે કે માનવમનની એ અસમર્થતા, જે એને બધા વિષયોને સમજવામાં નિષ્ફળ બનાવે છે. આપણે અનંત કાળા સમુદ્રોની વચ્ચે અજ્ઞાનના શાંત ટાપુ પર રહીએ છીએ. આપણે બહુ દૂર સુધી પ્રવાસ કરી શકીએ એમ નથી. વિજ્ઞાનના વિવિધ દિશામાં થયેલા વિકાસે, અત્યાર સુધી આપણને થોડું નુકસાન પહોંચાડ્યું છે; પરંતુ કોઈ દિવસ અલગ પડેલા જ્ઞાનના ટુકડાઓને એકસાથે જોડવાથી વાસ્તવિકતાનાં એવાં ભયાનક દૃશ્યો ખૂલશે, જેનાથી આપણી સ્થિતિ એવી ભયંકર થશે કે ક્યાં તો આપણે ખુલાસાથી પાગલ થઈ જઈશું અથવા ભયાનક પ્રકાશથી નવા અંધકાર યુગની શાંતિ અને સલામતીમાં ભાગી જઈશું.’કથાની શરૂઆત જ સમગ્ર પૃથ્વી પર આધિપત્ય સ્થાપનારા માનવીને બ્રહ્માંડની અનંતતા સામેની તેના જ્ઞાનની સિમિત સ્થિતિને રજૂ કરે છે. વાર્તા પરગ્રહ પરથી અનંત સમય પહેલા પૃથ્વી પર આવેલા ક્થુલુ જીવ વિશે છે. તે માનવ જાતિના ઉદભવ પહેલા આ ધરતી પર આવી ક્યાંક ભેદી જગ્યાએ વસે છે. તે લોકોના સપનાંઓમાં આવી તેમની સાથે વાતો કરે છે. તેમાં માનનારી પ્રજા વિશ્વના વિવિધ ખૂણાઓમાં વસે છે. ક્થુલુ દેખાવે ભયાનક વિચિત્ર ઓક્ટોપસ જેવો છે. કથામાં આગળ શું થાય છે તે જાણવા આ નવિન પ્રકારની રચનાને ગુજરાતી વાચકોએ વાચવી રહી. અનુવાદક જીગર શાહ પ્રસ્તાવનામાં જણાવે છે એ મુજબ લેખકને આવા સ્વપ્નો આવતા એને આધારે તેણે કલ્પના કરી આવી વાર્તાઓનું સર્જન કર્યું હતું. લેખકે ત્યાર બાદ કોસ્મિક હોરર પ્રકારના સાહિત્યમાં ઘણી વાર્તાઓ લખી છે. તેમાં એટ ધ માઉન્ટેંસ ઑફ મેડનેસ અને ધ શેડો ઓવર ઇન્સમાઉથ કથાનું કેન્દ્ર બ્રહ્માંડની અસીમ શક્તિઓ ધરાવતા જીવો વિશે છે. લેખકનું સાહિત્ય શરૂઆતમાં એટલું સ્વીકૃત નહતું થયું. તેમની વાર્તાઓ વિયર્ડ ટેલ્સ જેવા મેગેઝિનમાં છપાતી, પરંતુ તેમના મૃત્યુ બાદ તેમના સાહિત્ય ખૂબ પ્રસિધ્ધી મળી. એમના પાત્ર ક્થુલુની કથાને આગળ વધારતી અન્ય વાર્તાઓ અન્ય લેખકોએ લખી. આજે એચ. પી. લવક્રાફ્ટને કોસ્મિક હોરરના પિતામહ ગણવામાં આવે છે. તેમની વાર્તાઓને આધારે ફિલ્મો અને વિડિયો ગેમ્સ પણ બની છે. ગુજરાતી ભાષામાં પુસ્તકો હવે સરકારી યોજનાઓમાં ખરીદાઇને લાઇબ્રેરીના કબાટોમાં સદાને માટે જ પુરાઈ જવા જ છાપવામાં આવે છે. ત્યારે આ અલગ જ વિષયનું આ લેખકનું પ્રથમ પુસ્તક ગુજરાતીમાં અનુવાદક જીગર શાહે રજૂ કર્યું છે. વાર્તાની ગૂંથણી, કલ્પના અને ભાષા બધુ થોડું અધરું છે. પણ અનુવાદક તેને સારી રીતે રજૂ કરી શક્યા છે. પુસ્તકમાં સુંદર ચિત્રો પણ છે. જે કથાની કલ્પનાઓને વધુ સારી રીતે સમજાવવામાં મદદ કરે છે.
- Advertisement -
આ પુસ્તક રાજકોટના નિચેના સ્થળોએ મળી રહેશે
1 રાજેશ બૂક સેન્ટર – રાજકોટ
ફોન નં : 99241 33519
2 પ્રવિણ પુસ્તક ભંડાર – રાજકોટ
ફોન નં : 9265044262
- Advertisement -
3 નવયુગ પુસ્તક ભંડાર – રાજકોટ
ફોન નં : 9879023703



