કાર્તિકોલોજી:કાર્તિક મહેતા
શીતળા માતાજીનો મહિમા જેવો જહોન ઝેડ હોલવેલ નામનાં અંગ્રેજ સર્જને જાણ્યો એવો પછી કોઇ એ નથી જાણ્યો
- Advertisement -
એમાં બન્યું એવું કે ઇસ્ટ ઇન્ડિયા કંપની પોતાનો કારોબાર વિકસાવી રહી હતી.હજી ઇસ 1757 વાળું પલાશી(ખાખરાના જંગલ)નું યુદ્ધ તાજુ હતું. રોબર્ટ ક્લાઇવ પોતાની સાથે લગભગ બારસો અંગ્રેજો લાવ્યો હતો જેમાં હિસાબનીશ/મુનશીઓ, વેપારીઓ, સૈનિકો, શ્રમિકો, દલાલો વગેરે સહિત અમુક અધિકારીઓ પણ હતા.
એમાંથી એક પ્રબુદ્ધ અધિકારી હતા જહોન ઝેડ હોલ્વેલ. હોલવેલ એક કટ્ટર સામ્રાજ્યવાદી હતા અર્થાત તે એમ માનતા કે ગોરાઓનો જન્મ બીજા ઉપર શાસન કરવા માટે થયો છે. છતાં હોલવેલની અંદરનો બુદ્ધિમાન માણસ જીવતો હતો. હોલવેલ ભારતને જાણવા માટે ફરતા રહેતા અને પોતાની ડાયરીમાં નોંધ ટપકાવતા રહેતા.
આવી એક ડાયરી નોંધમાં હોલવેલ એક નિરીક્ષણ નોંધે છે કે ભારતમાં બંગાળથી લઈને કાશી સુધી ગામેગામ, પંદરથી સોળ વર્ષના બાળકોના હાથ ઉપર અસ્ત્રાથી હળવો કાપો મૂકીને કઈક ઘસવામાં આવે છે.
હોલવેલ સાહેબે નોંધ્યું કે કાશીથી દીક્ષિત થયેલા બ્રાહ્મણ અને અન્ય જાતિઓના યુવાન લોકો એના ગુરુની આજ્ઞા અને શિક્ષા અનુસાર દસ વીસની ટુકડીઓમાં ગામેગામ પહોંચી જાય છે. આ લોકો પાસે સામાનમાં સોનાકે ચાંદીનો એકદમ ધારદાર અસ્ત્રો, એક સોય અને રૂમાં લપેટેલી એક “વસ્તુ” હોય છે. આ લોકોની ટુકડીઓ ગામેગામ પહોંચીને પંદરેક વર્ષના બાળકોને એકઠા કરતા. આ ટુકડીના લોકો બાળકોના હાથ ઉપર સોનાના ધારદાર અસ્ત્રા વડે લોહીનો ટશિયો ફૂટે એવો એક સૂક્ષ્મ કાપો બહુ કુશળતાથી મૂકતા. કાપો તાજો હોય ત્યાં જ એ કાપા ઉપર રૂમાં લપેટેલી “વસ્તુ” ને સોય વડે તે કાપા ઉપર ઘસતા.
હોલવેલે નોંધ્યું કે આ રૂમાં લપેટેલી વસ્તુ શીતળા સંક્રમિત ગાયના આંચળથી એકઠું કરેલું રસીદ્રવ્ય (પસ) હતું.
હોલવેલે આ નિરીક્ષણ ઉપરથી એક નિબંધ તૈયાર કર્યો જેનું મથાળું/શીર્ષક એણે “પૂર્વ ભારતમાં શીતળાના ઉપાય તરીકે રસીકરણ નો પ્રયોગ” એવું રાખ્યું. યાદ રહે કે આ શોધનિબંધ ઇસ 1767માં પ્રકાશિત થયો ત્યારે હજી એડવર્ડ જેનર નામનાં વિજ્ઞાની દ્વારા શીતળાની રસી શોધવાને લગભગ ત્રીસ વર્ષની વાર હતી.
ક્લાઇવના ગયા બાદ જહોન ઝેડ હોલવેલ બંગાળનો ગવર્નર પણ બન્યા.. પણ મૂળ તો શોધખોળના જીવ એટલે એણે ખૂબ અભ્યાસ કર્યો અને અનેક પુસ્તક અને નિબંધો પ્રકાશિત કર્યા. હોલવેલ એક કટ્ટર અંગ્રેજ હોવા છતાં કહેતા ગયા કે ગ્રીક અને લેટિન ગ્રંથો હિન્દુઓના ગ્રંથોની નકલ છે. હિન્દુઓના ગ્રંથોનો અભ્યાસ કરતા એમને પ્રતીત થયું કે હિન્દુઓનું ગણિત, ખગોળ અને તત્વદર્શન આ જગતમાં સર્વોચ્ચ છે. હોલ્વેલ શુદ્ધ શાકાહારી બની ગયા અને ઇંગ્લેન્ડ પરત ફરીને ત્યાં પણ એમણે શાકાહારનો
- Advertisement -
પ્રચાર કર્યો જે યુરોપમાં બહુ નવતર વાત હતી.
હોલવેલ એ હતા જેણે ભારતને અને હિન્દુઓને પોતાના ભવ્ય ભૂતકાળની ક્રેડિટ આપી. (એટલે હોલવેલ ભારતની ઇતિહાસની પુસ્તકોમાંથી ગાયબ છે. કેમકે અમુક સ્થાપિત હિતોને ભારત એક પછાત દેશ હતો તે સાબિત કરવાનું ઝનૂન છે)
હવે જ્યાં વર્ષોથી રસીકરણ થતું હોય ત્યાં કોઈ રોગને માતાનું નામ આપીને પૂજવાની શી જરૂર?એવો પ્રશ્ર્ન સહેજે થાય.
ભારત દસમી સદી સુધી એક તંત્રમાર્ગી દેશ રહ્યો હતો એવું અનેક ઇતિહાસકારો માને છે.
તંત્ર માર્ગ થોડો અઘરો માર્ગ છે. જેમ આધુનિક દવાઓ ખાતી વખતે કે ઇન્જેક્શન લેતી વખતે આપણે એના ડોક્યુમેન્ટ કે રિપોર્ટ વાંચતા નથી એમ તંત્ર માર્ગી પ્રથાઓ ના મૂળ કોઈ જાણતું નથી (કે જાણવા પ્રયાસ કરતું નથી) પણ એને બસ પાળવામાં આવે છે. શીતળા પૂજા એક એવી તાંત્રિક પ્રેક્ટિસ છે જે વિશુદ્ધ વૈજ્ઞાનિક અભિગમથી પાળવામાં આવતી.
આપણા હોલવેલ સાહેબે એમના નિબંધમાં નોંધેલું છે કે રસી લીધા બાદ બાળકને શીતળાના દાણા ફૂટી નીકળતા, તાવ ચડતો અને છેવટે દાણા ફૂટી જતાં. આખો ક્રમ આઠ દિવસ ચાલતો. છેવટે બાળકને લીમડાના પાનના પાણીથી નવડાવીને એને શીતળા મુક્ત ઘોષિત કરાતો. આ આઠ દિવસ સુધી રસી આપનાર લોકોની ટુકડી શીતળા પૂજન કરતી. (જુઓ આવ્યાને વિજ્ઞાન અને માતાજી એકસાથે???) જેથી બાળકને ચડતાં તાવને લીધે બાળક ને હાનિ થાય નહિ.
શીતળા જવર એટલે કે તાવનો વિનાશ કરતી દેવી કહેવાય છે. એમનું વાહન ગદર્ભ એટલે કે ગધેડો જવરાસુર (તાવ રૂપી અસુર) ગણાય છે. આમ શીતળા પૂજન તાવને નિયંત્રણ કરવા માટે કરવામાં આવતું. બાળકને આઠ દિવસ આરામ અને સાથે મિષ્ટાન્ન ભોજન આપવાનો નિર્દેશ કરવામાં આવતો. આ સામૂહિક રસીકરણ નો કાર્યક્રમ પૂર્ણ થતા શિષ્યોનો સમૂહ પોતાના ગુરુ પાસે કાશી પરત ફરતો. (આજના કેટલા ડોક્ટરોમાં આવી નિસ્બત છે?)
અહી નોંધવા લાયક છે કે રસીકરણ કરવા વાળા વ્યક્તિઓ બ્રાહ્મણ સહિત અન્ય જાતિઓના પણ રહેતા.
આજે પણ ભારતમાં ગામેગામ રહેલા શીતળા માતાના મંદિરમાં પૂજારી તરીકે જાટવ અને માળી સમાજના ભાઈઓ હોય છે બ્રાહ્મણો નથી હોતા છતાં હિંદુ ધર્મના દરેક સમાજના લોકો શીતળા માતાને માથું ટેકવવા અચૂક આવતા હોય છે. આ ભારત ઉપર લાગેલા જાતિવાદ ના કલંક સામે એક ઐતિહાસિક અને ઊજળું પ્રકરણ છે તે ખાસ
નોંધ લેવા જેવી.
શીતળા રસીકરણ નો ઉલ્લેખ શાકતેય ગ્રંથ અને યોગ ચિંતામણી નામનાં ગ્રંથોમાં વિવરણ સહિત છે.
એડવર્ડ જેનર ની રસી ભારતમાં પ્રચલિત બનવા લાગતા જાન્યુઆરી 1819માં પ્રકાશિત મદ્રાસ કોર્તિયર નામનાં દૈનિકમાં એક તમિલ ભારતીય ઉકળાટ સહિત લખે છે કે આ રસી તો તમિલ પ્રદેશોમાં અમે વર્ષોથી આપીએ છીએ. તમિલ વાંચક સાથે સાથે ગ્રંથોના નામ અને વર્ણન આપે છે જેમાં રસીકરણ ભારતમાં સામાન્ય અને સોફિસ્તિકેટેડ હતું એવો પુરાવો પ્રાપ્ત થાય છે (મદ્રાસ કોર્તીયર ની નકલ આ લેખ સાથેના ફોટોમાં જુઓ). 1767માં હોલવેલે ભારતની પ્રાચીન રસીકરણ પદ્ધતિ વિશ્વ સમક્ષ મૂકી ત્યારબાદ 1772 માં એક અંગ્રેજ ગામડિયા બેન્જામિન જેસ્ટી એ પોતાના બાળકો અને પત્નીને સંક્રમિત ગાયોનાં આંચળ થી રસી લઈને એમના ઘાવ પર મૂક્યું. એના બાળકો અને પત્નીને શીતળા(સ્મોલ પોકસ)ના લક્ષણો આવ્યા પણ ભારતમાં બાળકોને થતું એમ તે દૂર પણ થઈ ગયા. બેન્જામિન એક ગામડિયો હતો જ્યારે એડવર્ડ જેનર એક પ્રતિષ્ઠિત અને વગદાર માણસ હતો.આથી બેન્જામિન જેસ્ટી પણ ઇતિહાસમાં ખોવાઈ ગયો. (જોકે એનું સન્માન રોયલ સોસાયટી દ્વારા થયેલું કેમકે એણે રસીના સફળ અખતરા થી અનેકને શીતળા થી બચાવ્યા હતા)
મજાની વાત એ છેકે એડવર્ડ જેનરે પણ સંક્રમિત ગાયોના આંચળ (ની લસિકા ગ્રંથિઓ) થી રસી દ્રવ્ય લીધું હતું. બેન્જામિન જેસ્ટિ એ પણ ત્યાંથી જ લીધું અને ભારતમાં તો એ પહેલા વર્ષોથી ગાયોનાં આંચળ ની લસિકા ગ્રંથિઓ થી જ પ્રવાહી લેવામાં આવતું. લસિકા ગ્રંથિની સિસ્ટમ શરીરની રોગ પ્રતિકાર માટે અનિવાર્ય સિસ્ટમ છે. અને તાવ આવે ત્યારે લસિકા ગ્રંથિના કોષો વધુ પ્રભાવક રીતે કાર્ય કરે છે એ એક વૈજ્ઞાનિક સત્ય છે. આથી તાવ રોગ નથી પણ તે દવા છે. પરંતુ તાવ નિયંત્રણ બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ માટે જે કોર્સ કરવો પડે તે શીતળા પૂજન. જેમાં આપણે માત્ર પૂજન યાદ રાખ્યું પણ શીતળા ની તાંત્રિક/વૈજ્ઞાનિક ઉપાસના વિસરી ગયા છીએ.
આ શીતળા સાતમ જેવા તહેવારો જીવંત ઇતિહાસ છે, એને ભૂલવા જેવા નથી. ભૂલી જશું તો હજી કોઈ એડવર્ડ જેનરનો બંદો આવીને કહેશે કે આ બધું તો અમે શોધેલું છે. તમે તો પછાત છો.
ભલું થજો ડોકટર જહોન ઝેડ હોલવેલનું જેણે રસીકરણના આ પ્રાચીન ભારતીય વારસાની ક્રેડિટ ભારતને જ મળે તેવા નક્કર પુરાવા એકઠા કરીને એને સાચવવાની જહેમત લીધી. કોઈ જૂઠો સંસ્કૃતિરક્ષક આવી જહેમત કદી નહી લે. માતા શીતળા જેવા ડોકટર જહોન ઝેડ હોલવેલને ફળ્યા એવા સહુને ફળજો.