આખરી દિવસોમાં 2,59,414 કરદાતાઓએ 10થી 10 ટકા વળતર યોજનાનો લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં અમલમાં રહેલી સને 2022-23ના વર્ષમાં તા. 31 મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 10% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના 5% વળતર એટલે કે 15% અને તા. 30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 5% અને મહિલા મિલ્કત ધારકને 10% વળતરની યોજનામાં આજે મે-2022 માસના આખરી દિવસે બપોર સુધીમાં કુલ 2,59,414 કરદાતાઓએ 10 થી 15 ટકા વળતર યોજનાનો લાભ લઈ રાજકોટ મહાનગરપાલિકામાં વેરા પેટે રૂ. 151 કરોડથી વધુ રકમ જમા કરાવી હતી.
જેમાં 1,64,546 કરદાતાઓએ ઓનલાઈન રૂ. 88.42 કરોડ જેટલો ટેક્સ ભર્યો હતો. જ્યારે રોકડેથી રૂ.39.75 કરોડ અને ચેકથી રૂ.22.33 કરોડની રકમ જમા કરાવવામાં આવી છે. આ એડવાન્સ વેરા વળતર યોજનામાં ઉપરોક્ત તમામ કરદાતાઓને કુલ રૂ. 16 કરોડ જેટલું વળતર પ્રાપ્ત થયું છે. દરમ્યાન કરદાતાઓની સુગમતા ખાતર આજે સાંજે 6.00 વાગ્યા સુધી તમામ વોર્ડ ઓફિસ અને સિટી સિવિક સેન્ટર ખાતે વેરો સ્વીકારવામાં આવશે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાએ અઢી લાખ લોકોને વોટ્સએપથી બિલ મોકલ્યા હતાં અને અન્ય એક લાખ લોકોને મેસેજથી ટેક્સ અંગે જાણ કરી હતી. ગઈકાલના એક નવો રેકોર્ડ નોંધાયો હતો. જેમાં એક જ દિવસમાં 9039 કરદાતાઓએ કુલ રૂ. 6.91 કરોડનો વેરો જમા કરાવ્યો હતો. એક જ દિવસમાં આટલા લોકોએ ટેક્સ ચૂકવ્યો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોમાં કરદાતાઓ માટે અમલમાં મુકવામાં આવેલી એડવાન્સ વેરા વળતર યોજનાની તુલનાત્મક માહિતી પર દ્રષ્ટિપાત કરીએ તો વર્ષ 2019મા એપ્રિલ-મે માસ દરમ્યાન 1,97,000 કરદાતાઓએ રૂ. 97.65 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો.