દેખાવમાં રમ્યતા, ગતિમાં ભવ્યતા, આંખમાં ચપળતા અને અંગભંગિમામાં રૌદ્રતા… ચિત્તા, જાણે પ્રકૃતિની ગતિમય કવિતા
ચિત્તા,આદિકાળથી પૃથ્વીના પટ પર વિચરતી આ પ્રજાતિનાં હિસ્સે ઉત્ક્રાંતિના વર્ષોમાં અવિરત સંઘર્ષ રહયો છે. આ પ્રજાતિનો પડકારજનક ઉત્ક્રાંતિ ઇતિહાસ એક વિશિષ્ટ, ગતિકેન્દ્રિત શરીરરચનામાં પરિણમ્યો છે.
- Advertisement -
અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકામાં આશરે ચાર મિલિયન વર્ષ જુના, ચિત્તાનાં અવશેષો મળ્યા છે.
ભારતમાં ચિત્તાનાં અસ્તિત્વના પ્રમાણ મૂળે આદિકાળથી મળે છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં નવપાષાણયુગના ગુફાચિત્રો એ સ્પષ્ટ કરે છે કે ચિત્તા એક સમયે સમગ્ર દેશમાં જોવા મળતાં હતા. ભાષાવિદ્દોનાં મત મુજબ, સ્થાનિક નામ ‘ચિત્તા’ ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં બોલાતી હિન્દુસ્તાની ઉર્દૂનો શબ્દ છે. કદાચ આ એકમાત્ર સસ્તન પ્રાણી છે જેને સમગ્ર વિશ્વમાં એક જ નામે, ચિત્તા તરીકે ઓળખાય છે. ‘ચિત્તા’ શબ્દ સંસ્કૃત શબ્દ ચિત્રક/ચિત્રકાયનો અપભ્રંશ છે, જેનો અર્થ ટપકાંયુક્ત એટલે કે સ્પોટેડ એવો થાય છે.
બિલાડી કુળની 39 અન્ય પ્રજાતિઓથી (જેમાં દીપડો, વાઘ, સિંહ વગેરેનો સમાવેશ થાય છે) ચિત્તા આકારશાસ્ત્ર, શરીરરચના તેમજ વર્તનની દ્રષ્ટિએ ઘણાં અલગ છે. આ પ્રજાતિની વિશેષતા એ છે કે ચિત્તા તેના પંજા બંધ કરી શકતા નથી, તેથી તેની પકડ નબળી હોવાથી ઝાડ પર ચઢી શકતાં નથી. પરંતુ તે ’પૃથ્વી પર રહેતું સૌથી ઝડપી પ્રાણી’ છે. 120 સળ પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરવામાં સક્ષમ છે તેમજ તેની મહત્તમ ઝડપ 130 કિમી પ્રતિ કલાક છે.વળી, તે માત્ર 3 સેક્ધડમાં શૂન્યથી 100 કિમી સુધીની ગતિ પ્રાપ્ત કરવા સક્ષમ છે, જે વિશ્વની અતિ મોંઘી લેવીશ કારના પીક્અપ કરતા પણ વધુ છે. ચિત્તા તેની મહત્તમ ઝડપથી દોડતી વખતે 7 મીટર સુધીની છલાંગ લગાવી શકે છે. હળવું, પાતળું અને ચપળ શરીર જે એરોડાયનેમિક્સના સિદ્ધાંતોને અનુરૂપ છે.
- Advertisement -

નાનું માથું, લાંબી પૂંછડી જે દોડતી વખતે દિશા ઝડપથી બદલવામાં અને સંતુલન જાળવવામાં મદદ કરે છે, તો મોટા નસકોરા જે મહત્તમ ઓક્સિજન ગ્રહણ કરવામાં સહાયક છે. પ્રમાણમાં મોટું હૃદય અને ફેફસાં જે કાર્યક્ષમ રીતે ઓક્સિજનનું પરિભ્રમણ થાય એ રીતે એકસાથે કામ કરે છે. શરીરરચનાની આ બધી વિશેષતા ચિત્તાને પૃથ્વી પરનો સૌથી ઝડપી દોડવીર બનાવે છે.
અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકામાં આશરે ચાર મિલિયન વર્ષ જુના, ચિત્તાનાં અવશેષો મળ્યા છે
ચિત્તા, રાજ-રજવાડાંનો માનીતો મહેમાન, શિકારના ખેલનો સાથીદાર
બંને આંખથી લઈને મોં સુધી ’કાજલ’ જેવી કાળી પાતળી પટ્ટી, (ટીયર લાઇન) આ પ્રાણીની ઓળખ છે જે તેને, ખાસ કરીને દીપડાથી અલગ પાડવામાં મદદ કરે છે. ચિત્તાનાં શરીર પર લગભગ 2,000 જેટલા કાબરચિતરા સ્પોટ હોય છે અને દરેકમાં એક વિશિષ્ટ પેટર્ન હોય છે જે તેને અન્ય ચિત્તાઓથી અલગ પાડે છે.
પુખ્ત નર અને માદા ચિત્તા ફક્ત સંવનન માટે મળે છે. બાકીના સમયમાં અલગ અલગ રહે છે. નર ચીત્તા અને માદા ચીત્તા અલગ અલગ સંગઠન બનાવી એક ચોક્કસ વિસ્તાર પર કબજો કરીને સામાન્ય રીતે જીવનભર આ સંગઠનમાં રહે છે, સાથે શીકાર કરે છે.(અથવા માદા ચિત્તા સંગઠન વગર એકલી રહેતી હોય એવું વલણ પણ છે) માદા ચીત્તા સામાન્ય રીતે નર ચીત્તા કરતાં ઘણાં મોટા ગૃહપ્રદેશો ધરાવે છે.
માદા ચિત્તાનો ગર્ભાવસ્થાનો ગાળો ત્રણક મહિનાનો હોય છે. માદા ઊંચા ઘાસ અને ગીચ વનસ્પતિના આવરણમાં 2થી 8 બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચા શિકાર થઈ જવાનું ઉચ્ચ જોખમ અને મૃત્યુ દર 90% જેટલો ઊંચો છે. બચ્ચાનો ઉછેર અને શિકાર કરવાની બેવડી જવાબદારી માદા ચિત્તા એકલા હાથે નિભાવે છે. બચ્ચા દોઢેક વર્ષ પછી માતાથી અલગ થઈ પોતાના પ્રદેશો સ્થાપિત કરવા આગળ વધે છે અને આ માટે નર ચિત્તા ઘણી વખત લાંબા અંતરની મુસાફરી કરે છે કારણ કે નિવાસી નર સંગઠનો દ્વારા યુવાન નરને ભગાડવામાં આવે છે. જ્યારે, માદા તેની માતાના વિસ્તારમાં જ પોતાનો પ્રદેશ સ્થાપિત કરે છે.

ચિત્તા જંગલમાં દસથી બાર વર્ષ જીવે છે. માદા નર કરતાં લાંબુ જીવે છે. પાળતું ચિત્તા લાંબા સમય સુધી જીવે છે .તેમની સરેરાશ આયુષ્ય લગભગ 15 – 20 વર્ષ હોઈ શકે છે.
ભારતના અનેક શહેરોમાં ચિત્તાખાના નામનો વિસ્તાર હોય છે. એનો અર્થ એ કે રાજશાહીના અથવા બ્રિટિશકાળમાં અહીં ચિત્તાને રાખવામાં આવતાં. ઇતિહાસમાંથી પસાર થતાં ખ્યાલ આવે છે કે, રાજાઓ અને ઉમરાવોના હૃદયમાં ચિત્તાનું વિશેષ સ્થાન હતું. ચિતાની ઝડપ અને લાવણ્ય તેનાં માટેના આકર્ષણનું કારણ હતાં. તેથી રાજઘરાનાઓમાં ચિત્તાને પાળવાની લાંબી પરંપરા રહી છે
ઇતિહાસમાં પ્રથમ વખત, ચિત્તા પાળવાના પ્રમાણ 1129 એ.ડી.માં ચાલુક્ય વંશના રાજા સોમેશ્વર ત્રીજા દ્વારા લખાયેલ સંસ્કૃત ગ્રંથ ‘માનસોલ્લાસ’માં તથા જૈનગ્રંથ ‘યશતિલકાચમ્પુ’માં જોવા મળે છે.‘માનસોલ્લાસ’ ને ’અભિલાષિતાર્થચિંતામણિ’ પણ કહેવામાં આવે છે. જેમાં હરણને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા ‘ચિત્રકાય’ (ચિત્તા)નું વર્ણન છે. તેમજ કાળિયારનો શિકાર કરવા માટે ચિત્તાને કેવી રીતે તૈયાર કરવા, શું તાલીમ આપવી જોઈએ તેનું વિવરણ છે. બીજું, વર્ષ 1613માં, મુઘલ સમ્રાટ જહાંગીરની આત્મકથા તુઝુક-એ-જહાંગીરીમાં બંદીવાન ચિત્તાએ એક બચ્ચાને જન્મ આપ્યો તેનું દુર્લભ વર્ણન છે. આ અત્યાર સુધીનો પહેલું અને છેલ્લું એવું વિવરણ છે જેમાં આવી ઘટનાનો ઉલ્લેખ હોય. મુઘલ શાસકો ખાસ કરીને તેમના દબદબા અને પ્રકૃતિપ્રેમ માટે જાણીતા હતા.
એમાં પણ સમ્રાટ અકબર ચિત્તાના કૌશલ્યોથી વિશેષ મોહિત હતા. આ આકર્ષણે શિકારી પ્રાણી અને શાસક વર્ગ વચ્ચેના ગાઢ સંબંધને પ્રોત્સાહન આપ્યું હતું.‘ધ એન્ડ ઓફ ધ ટ્રાયલ’માં દિવ્ય ભાનુસિંહ નોંધે છે કે મુઘલ સમ્રાટ અકબરે પોતાના 49 વર્ષના શાસન દરમિયાન લગભગ 9000 ચિત્તાઓને તેમના શાહી પ્રાણી સંગ્રહાલયમાં રાખ્યા હતા. રજવાડામાં ચિત્તાનાં સંમોહનનું કારણ ચિત્તાની એ વિશેષતા કે તેઓ શાહી માલિકના કાબુમાં રહેનાર વફાદાર સાથી તરીકે જાણીતા હતા. ચિત્તા માણસ પ્રત્યે નરમ પ્રકૃતિના અને પાળવાયોગ્ય વલણવાળા તેમજ બિલાડીકુળના અન્ય પ્રાણીઓ, સિંહ, વાઘ, દીપડાથી વિપરીત, ચિત્તા ભાગ્યે જ મનુષ્યો માટે ખતરારૂપ હોવાથી ચિત્તાનું સંમોહન તેમનો શિકાર કરવામાં નહીં પરંતુ તેમને પાળીતા કરી શિકારની તાલીમ આપી શિકારના સાથીદાર બનાવવા માટે રહેતું.
જ્યાં, રાજાઓ અને ઉમરાવો માટે શિકાર, પ્રાઇમટાઇમ સ્પોર્ટ્સ હતો તો સામાન્ય લોકો માટે નિર્વાહનું સાધન હતું. ઇ.સ. 1900 સુધી, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જોવા મળતી એક આદિજાતિ પારધીઓ પાસે ચિત્તાઓને જાળમાં ફસાવી અને તેમને શિકાર માટે તાલીમ આપવાની સ્વતંત્રતા હતી. આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા જૂથો ચિતાવાલા, પારધી, તરીકે ઓળખાતા હતા, જે સૂચવે છે કે ભારતના હિંદુ અને મુસ્લિમ શાસકોમાં ચિત્તાને પકડવાની, પાળવાની, શિકાર માટે તાલીમ આપવની લાંબી, સમૃદ્ધ પરંપરા રહી છે. ચિત્તાઓને તાલીમ આપીને તૈયાર કરવાં એ વારસાગત વ્યવસાય બની ગયો હતો અને વંશપરંપરાગત તે જ પરિવારો રાજા ઉમરાવોના પ્રાણી સંગ્રહલયની વ્યવસ્થા જાળવવામાં વિશેષતા ધરાવતા હતાં. સમયાંતરે રાજવી કુટુંબોમાં ચિત્તાની લોકપ્રિયતામાં ઓટ આવતી ગઈ.
વળી, બ્રિટિશ વસાહતી શાસન દરમિયાન ચિત્તાઓના અસ્તિત્વ પર રીતસરનો ખતરો ઉભો થયો. અંગ્રેજો વસાહતીઓ ચિત્તાને તેમના પશુધન અને તેમના પાલતું જાનવર માટે જોખમ તરીકે જોતા હતા. એમાંય, વિશાખાપટ્ટનમમાં એક અંગ્રેજ ઓફિસર પર ચિત્તાએ હુમલો કરી દેતાં ચિત્તાને ‘વાઈલ્ડ એનિમલ’ની કેટેગરીમાં ગણવામાં આવ્યાં અને ત્યારથી આ આખીય પ્રજાતિની દુર્દશાની શરુઆત થઈ! ઉપરોક્ત કારણોસર બ્રિટિશકાળમાં વહીવટીતંત્ર સક્રિયપણે ચિત્તાનો શિકાર કરતું હતું અને જે લોકો ચિત્તાને પકડે અથવા મારી નાખે તેમને પુરસ્કાર આપવામાં આવતાં. ઘેટાં-બકરાં ચરાવનાર સમૂહો દ્વારા ચિત્તાને મારી નાંખવાની ઘટનાઓ બહુ સામાન્ય થઈ ગઈ હતી. આમ, શિકાર, માનવ વસાહતોમાં વૃદ્ધિ, ઘાસના મેદાનો અને વન્યવિસ્તારોનો ખેતી હેતુ ઉપયોગમાં લેવાનાં ચલણમાં વૃદ્ધિ અને જંગલો કપાવાને કારણે ચિત્તાનાં કુદરતી રહેઠાણમાં વિક્ષેપ સર્જાતો ગયો. વળી, રાજા-ઉમરાવો દ્વારા પાળીતાં કરવાની પરંપરાને કારણે ચિત્તાને પીંજરામાં અથવા તો ખુલ્લામાં સાંકળ બાંધીને રાખવામાં આવતાં એના કારણે ચિત્તાને તેનો કુદરતી પરિવેશ ન મળતાં પ્રજનન માટેની સહજતાના અભાવમાં, મુગલકાળ દરમ્યાન જ ચિત્તાના જન્મદરમાં નોંધપાત્ર ઘટાડો થતો દેખાયો હતો એમાં ઉપરોકત કારણો ઉમેરાતાં થોડા જ દાયકામાં ચિત્તાની વસ્તીમાં ધરખમ ઘટાડો થઈ ગયો.
પુખ્ત નર અને માદા ચિત્તા ફક્ત સંવનન માટે મળે છે. બાકીના સમયમાં અલગ અલગ રહે છે, નર ચીત્તા અને માદા ચીત્તા અલગ અલગ સંગઠન બનાવી એક ચોક્કસ વિસ્તાર પર કબજો કરીને સામાન્ય રીતે જીવનભર આ સંગઠનમાં રહે છે, સાથે શીકાર કરે છે.
70 વર્ષ પછી ભારતની ધરતી પર ચિત્તાના પુનર્વસનની યોજના
ભારતમા છેલ્લા બચેલા ત્રણ નર એશિયાટીક ચિત્તાને મધ્યપ્રદેશના(હાલ છત્તીસગઢ) કોરિયા જિલ્લાના સાલ જંગલોમાં 1947માં મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દેવ દ્વારા મારવામાં આવ્યા હતા. આ છેલ્લા વધેલા ત્રણ ચિત્તાના મૃત્યુ સાથે, એક સમયની સમૃદ્ધ વસ્તી શૂન્ય થઈ ગઈ. જોકે ત્યાર પછીથી મધ્યપ્રદેશ અને ડેક્કન પ્રદેશોમાંથી ચિત્તા જોયાનાં કેટલાક તૂટક તૂટક, અપ્રમાણિત અહેવાલો આવ્યા હતા. આખરે વર્ષ 1952માં સરકારે આ પ્રજાતિને વિલુપ્ત જાહેર કરી.
આમ, ભારતીય ચિત્તાનો ઇતિહાસ પ્રાચીન અસ્મિતા, શાહી શિકારોમાં તેની ભાગીદારી, સંસ્થાનવાદી શોષણ અને પર્યાવરણ પર માનવ હસ્તક્ષેપના પરિણામોમાંથી પસાર થાય છે. એક તરફ આ પ્રાણી પ્રત્યેના માનવીય મોહને કારણે(મુગલકાળ દરમ્યાન પાળવાની પ્રથા) તો બીજી તરફ તેના તરફની નફરતને(અંગ્રેજોનું ચિત્તા પ્રત્યેનું નિર્દયી વલણ) કારણે આ પ્રજાતિ લુપ્ત થવાને આરે પહોંચી ગઈ.
વિશ્વમાં એક સમયે ચિત્તાની લગભગ સાતેક પ્રજાતિ અસ્તિત્વમાં હતી. આજે વિશ્વમાં ચિત્તાની માત્ર બે જાતિઓ બચી છે. એક છે:- એશિયાટિક ચિત્તા (એસીનોનીક્સ જુબેટસ વેનેટીકસ; રેડ લિસ્ટ: ’ક્રિટિકલી એન્ડેન્જર્ડ’) બીજી, આફ્રિકન ચિત્તા એશિયાટિક ચિત્તા હવે માત્ર ઈરાનમાં જ છે અને તેની વસ્તી પણ ખૂબ જૂજ છે.
અલબત્ત, ભારતમાં ચિત્તાઓના પુનર્વસનની આ યોજનાનો વિચાર નવો નથી. 1990ના દાયકામાં, ભારતે ઈરાનથી ચિત્તા લાવવાનો પ્રયાસ કર્યો. ઈરાનમાં પણ એશિયાટિક ચિત્તા છે, તેથી તેમના માટે ભારતીય પર્યાવરણને અનુકૂળ થવું સરળ હતું. પરંતુ આ યોજના નિષ્ફળ રહી. ત્યારબાદ 2008-09માં, ભારત સરકારે ભારતમાં આફ્રિકન ચિત્તાઓના પુનર્વસન માટે નિષ્ણાત સમિતિની રચના કરી. વર્ષોના પ્રયત્નો પછી આ વખતે ભારતે નામીબિયાને ચિત્તા આપવા કહ્યું. ત્યાંથી સહમતિ મળતાં ‘પ્રોજેકટ ચિત્તા’ અસ્તિત્વમાં આવ્યો.
ચિત્તાના વસવાટ માટે પસંદ કરાયેલું ,સાતપુડા-વિંધ્યાચલ પર્વતમાળાના પ્રદેશમાં આવેલું, મધ્યપ્રદેશનું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન, નિષ્ણાતોનાં અભ્યાસમાં તારણ આવ્યું કે નામીબિયા અને કુનો નેશનલ પાર્કની આબોહવા- પરિવેશમાં ઘણી સમાનતાઓ છે. ઉપરાંત અહીં ચિત્તાના શિકાર માટે અસંખ્ય નાના પ્રાણીઓ ઉપલબ્ધ છે. ભારતમાં ચિત્તાના પુનર્વસનની યોજના અંતર્ગત, 17 સપ્ટેમ્બર 2022ના રોજ નામીબિયાથી ભારત લાવવામાં આવેલા, પાંચ માદા અને ત્રણ નર, કુલ આઠ ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં છોડ્વામાં આવ્યા. અને આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ, દક્ષિણ આફ્રિકાના 12 વધુ ચિત્તા કુનો આવ્યા.
26 માર્ચ, 2023ના રોજ, નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તા શાશાનું કિડનીમાં ઇન્ફેક્શનને લીધે મૃત્યુ થયું. અને બીજા દિવસે માદા ચિત્તા જ્વાલાએ 4 બચ્ચાને જન્મ આપ્યો. ત્યારબાદ કુનોમાં, એક પછી એક એમ, નવ ચિત્તાનું મૃત્યુ થયું . કારણોમાં, બીજા ચિત્તા દ્વારા હુમલા, હાર્ટ એટેક, કુપોષણ, એક્સપાયર્ડ /ઓછી ગુણવત્તા વાળી દવાનો ઉપયોગ, ભીષણ ગરમીને લીધે ડીહાઈડ્રેશન તેમજ નબળાઈ, કીડનીમાં ઇન્ફેક્શન, પેશીઓમાં માખીનાં લાર્વાનું સંક્રમણ, ઓળખ માટે ચિત્તાને ગળે લગાવેલાં બેલ્ટને કારણે ઇન્ફેક્શન થતું હોવા છતાં બેલ્ટ કાઢવામાં ઢીલ, પ્રોજેક્ટમાં કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ વચ્ચે તાલમેલનો અભાવ … વગેરે

નવ-નવ ચિત્તાના મૃત્યુ પછી, વિશ્વભરમા, ભારતના ‘પ્રોજેક્ટ ચિત્તા’ પર સવાલો ઊઠ્યાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. અનેક આશંકા ઊભી થઈ. કોર્ટે ઉઠાવેલાં સવાલો અને સરકારના જ્વાબોને અંતે, 14 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતમાં ચિત્તાઓને પુન:સ્થાપિત કરવાના પ્રોજેક્ટ પર સરકારને પ્રશ્ન કરવાનું કોઈ કારણ નથી,
સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યું કે વિશ્વમાં પ્રથમ વખત ચિત્તાને એક ખંડથી બીજા ખંડમાં ખસેડવામાં આવ્યા છે. ચિત્તાના નિવાસન સ્થળનું ઊંચું તાપમાન પણ તેમના માટે મુશ્કેલ છે કારણ નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના નીચા તાપમાનની સરખામણીમાં અહીંનું તાપમાન ઊંચું રહે છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે મહત્વની વાત એ છે કે ભારતમાં તમામ પડકારો હોવા છતાં, ચિત્તાનો મૃત્યુદર વિશ્વના અન્ય પ્રદેશો કરતા ઘણો ઓછો છે તે એક સિદ્ધિ છે. ચિત્તાના સર્વાઇવલ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અમારા માટે પ્રતિષ્ઠાનો પ્રોજેક્ટ છે અને અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. તો બીજી બાજુ, એક ખંડમાંથી બીજા ખંડમાં સ્થળાંતર કરનારા ચિત્તાઓ ધીમે ધીમે અહીંની આબોહવાને સમજવા લાગ્યા છે, પ્રોજેકટ ચિત્તા પર સમગ્ર વિશ્વના વન્યજીવ નિષ્ણાતોની નજર છે.
પીસીસીએફ અસીમ શ્રીવાસ્તવ કહે છે કે આપણાં જંગલો મહેમાન ચિત્તા માટે તદ્દન નવા હતા. ન તો તેમને અહીંના પર્યાવરણ વિશે કોઈ ખ્યાલ હતો કે ન તો અમને તેમના વર્તન વિશે કોઈ ખ્યાલ હતો. આફ્રિકાની કડકડતી ઠંડી બાદ જ્યારે ચિત્તાઓને અહીં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે સૌથી મોટી સમસ્યા અહીંની ગરમી હતી. પરંતુ ચિત્તાએ એક વર્ષમાં અહીંના હવામાનને સમજી લીધું છે . પ્રોજેક્ટ ડાયરેક્ટર ઉત્તમ શર્મા કહે છે કે ‘હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે પ્રોજેક્ટ ચિત્તા સફળ થશે. હવે આપણે સંપૂર્ણપણે વિદેશીઓ પર નિર્ભર નથી. આ માત્ર આપણા માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે નવું છે. તમે જેને ભૂલો કે અવગણના કહો છો તે અમારું શિક્ષણ છે. આ સમયમાં અમે જે પાઠ શીખ્યા છે તેનાથી જ અમે પ્રોજેક્ટને સફળ બનાવી શકીશું.’
આ બધા દાવા છતાં, પ્રોજેકટ ચિત્તા કેટલો સફળ નીવડશે એ તો ભવિષ્ય જ કહેશે.



