ગૃહમંત્રી હર્ષ સંઘવીનો અભૂતપૂર્વ, સ્તુત્ય નિર્ણય
‘ખાસ-ખબર’ પણ ચલાવી રહ્યું છે નશીલા દ્રવ્યો વિરૂદ્ધ ઝૂંબેશ
છેલ્લાં દોઢેક મહિનાથી ‘ખાસ-ખબર’એ પણ દારૂ-જુગાર, ગાંજા વિરૂદ્ધ રીતસર ઝૂંબેશ ઉપાડી છે અને આ ચળવળની પોઝિટિવ અસરો પણ દેખાઈ રહી છે. ‘ખાસ-ખબર’એ અનેક દેશી દારૂનાં અડ્ડા, જુગાર, ગાંજાના વેપારીઓનાં સ્ટિંગ ઓપરેશન કર્યા છે અને પુરાવાઓ સાથે પ્રકાશિત કર્યા છે. ‘ખાસ-ખબર’નાં અહેવાલ પછી મહિલા બુટલેગર ઝિન્નતને ત્યાં વિજિલન્સની રેઈડ આવી હતી અને બે દિવસ પહેલાં પોલીસ સાથે મળીને ગાંજાનાં વેપારીઓને પકડાવ્યા હતા જેમાં દોઢ કિલો કરતાં વધુ ગાંજો હાથ લાગ્યો હતો.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પદભાર સંભાળતાવેંત જ પોતાની આગવી આવડતનો પરિચય આપવાનું શરૂ કરી દીધું છે. બાળક શિવાંશને તેના પિતા નોંધારું છોડી ગયાનો મામલો હોય કે પછી પોલીસ દળમાં નવી ભરતીનો હોય, દરેક કિસ્સામાં તેમણે પુરવાર કર્યું છે કે, તેમની ઉંમર ભલે નાની હોય, વિચારવિશ્વ અને કાર્યક્ષમતા બહુ મોટા છે. કાલે તેમણે ડ્રગ્સ, ચરસ, ગાંજો સહિતના માદક પદાર્થની બાતમી આપનારને મુદ્દામાલની કિંમતના 20% સુધીનું ઇનામની જાહેરાત કરી છે – જે એક નવતર અને ક્રાન્તિકારી પગલું છે.
- Advertisement -
ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત મુજબ, રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરવાનો નિર્ણય કરાયો છે. આ કેફી દ્રવ્યોના ગુનાઓમાં બાતમીદાર તથા રાજય સેવકોને પ્રોત્સાહીત કરવા નવતર અભિગમ છે. યુવાનોને નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવા સરકારનો મક્કમ નિર્ધાર છે તેમ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નશાબંધીને લગતા ગુન્હાઓને નેસ્તનાબુદ કરવા એ રાજ્ય સરકારની પ્રાથમિક અગ્રિમતા છે. રાજયનું યુવાધન માદક દ્રવ્યોના નશાની ચૂંગાલમાં ન ફસાય તે માટે આવી પ્રવૃતિઓને અટકાવવા માટે પોલીસ તરફથી થતા પ્રયત્નોમાં જોડાયેલા કર્મચારી/અધિકારીશ્રીઓ તેમજ આ કેફી દ્રવ્યો અંગેની માહિતી આપનાર બાતમીદારના જોખમને ધ્યાને લેતાં તેઓને ઇનામ તરીકે આકર્ષક રકમ આપવામાં આવે તો તેઓનો ઉત્સાહ જળવાઈ રહે અને ખંતથી કામ કરે તેમજ આ પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સરકારશ્રીની યોજના સફળ થઈ શકે. તે આશયથી રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ રીવોર્ડ સંપૂર્ણપણે એક્સ-ગ્રેટિયા/ઇનામ તરીકે ચુકવાશે. અને સક્ષમ સત્તાતંત્ર આવા રીવોર્ડને મંજુર કરી શકશે. બાતમીદારે આપેલ બાતમીના આધારે કરવામાં આવેલ જપ્તીના સંદર્ભમાં માહિતીની વિશિષ્ટતા અને ચોક્ક્સાઇ, લેવામાં આવેલ જોખમ, તકલીફો, બાતમીદારે કરેલ મદદ અને તેનું પ્રમાણ, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના પદાર્થોની હેરાફેરીમાં સંકળાયેલ વ્યક્તિઓ અને ટોળકીઓની કડી આપે છે કે કેમ ? વિગેરે બાબતો પણ રીવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાને લેવાની રહેશે. સરકારી કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા કાર્યવાહી આવી હોય એવા કિસ્સામાં સફળ જપ્તી થઇ હોય તેવા કિસ્સાઓમાં અધિકારીઓ,કર્મચારીઓ દ્વારા કરાયેલા ખાસ પ્રયત્નો, કામગીરીમાં લીધેલું જોખમ, સતર્કતા, દર્શાવેલી ચતુરાઈ વિગેરે ધ્યાને લેવાના રહેશે. માલિકો, આયોજકો, નાણાં પૂરાં પાડનારાઓ, કાવતરાખોરો તેમજ હેરફેર કરનારાઓની ધરપકડ થઈ છે કે કેમ? તે ધ્યાને લેવાનું રહેશે. સામાન્ય ફરજના ભાગ રૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રીવોર્ડ આપવામાં આવશે નહીં. જપ્ત કરેલા પદાર્થોની હાલની ગેરકાયદેસર કિંમતના 20% સુધીના રીવોર્ડને પાત્ર રહેશે. સરકારી કર્મચારીઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન રૂ.20 લાખથી વધુ નહીં એટલી કુલ રકમનો રીવોર્ડની મંજૂરી, ચુકવણી માટે પાત્ર રહેશે, એકજ કેસમાં રીવોર્ડની બાબતમાં વ્યક્તિગત કર્મચારી, અધિકારીઓને કુલ રૂ. 2 લાખથી વધુ રકમનો રીવોર્ડ મંજૂર કરી શકાશે નહીં. સરકારી અધિકારી/કર્મચારી જો બાતમીદારની ભુમીકામાં હોય તો મળવા પાત્ર રકમના પ્રમાણમાં રીવોર્ડની રકમથી સ્વતંત્ર રીવોર્ડ રકમ મેળવવા હકદાર રહેશે.
ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ રાજ્યના યુવા ધનને આવા કેફી પદાર્થોના નશાથી દૂર રહેવા અપિલ કરતા કહ્યું કે, અત્યારના યુગમાં આ કેફી પદાર્થ આપને પેશન લાગશે, પરંતુ કાયમી ધોરણે જીવનભર દાગ લાગશે એટલું જ નહીં શરીરને નુકસાન પહોંચાડે છે ત્યારે આપ સૌએ આવા પદાર્થોથી દૂર રહેવું અને આપને આપના વિસ્તારમાં જ્યાંય પણ આવા કેફી પદાર્થોનું વેચાણ થતું હોય તો સ્થાનિક પોલીસ તંત્ર, પોલીસ અધિક્ષક કે મારી કચેરીએ જાણ કરવી તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
- Advertisement -



