દિલ્હીમાં રહેતા ઓમકારનાથ શર્માની ઉંમર અત્યારે 80 વર્ષની છે. સ્વાભાવિક છે કે આ ઉંમરે માણસ શાંતિથી પરિવાર સાથે જીવન વિતાવે, પણ ઓમકારનાથ આ ઉંમરે પણ સવારના 6 વાગ્યાથી મોડી રાત સુધી કામ કરે છે. આશ્વર્યની વાત એ છે કે આટલી મોટી ઉંમરે અનેક શારીરિક મુશ્કેલીઓની વચ્ચે પણ ઓમકારનાથ પોતાના માટે નહીં, બીજાના માટે કામ કરે છે.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
2008માં દિલ્હીમાં મેટ્રો રેલ માટે બની રહેલો પૂલ ધરાશયી થયો અને ઘણા લોકો ઘાયલ થયા. કેટલીક હોસ્પિટલોએ અસરગ્રસ્તોને સામાન્ય સારવાર આપીને રજા આપી દીધી. આ લોકો સામાન્ય મજૂર હતા એટલે દવા ખરીદવા માટે એમની પાસે પૈસા નહોતા. દવા વગર જીવન સંગ્રામ લડતા આ સામાન્ય માણસોને જોઇને ઓમકારનાથનું હૃદય દ્રવી ઉઠયું. સામાન્ય લોકો માટે કંઈક નક્કર કામ કરવું છે એવો એણે સંકલ્પ કર્યો. 72 વર્ષની ઉંમર, સામાન્ય આર્થિક પરિસ્થિતિ અને ઘરે 44 વર્ષનો માનસિક ક્ષતિગ્રસ્ત દીકરો, આમ છતા દેશના સામાન્ય લોકોને મદદ કરવા માટે આ માણસે ભેખ ધારણ કર્યો.
- Advertisement -
મોંઘી દવા ન ખરીદી શકવાને કારણે ઘણા લોકો મૃત્યુના દરવાજે પહોંચી જાય છે. આવા લોકો માટે ઓમકારનાથ શર્માએ મફતમાં દવા આપવાની વ્યવસ્થા શરૂ કરી. એમની પોતાની આર્થિક સ્થિતિ એવી નહોતી કે એ કોઈને મદદ કરી શકે એટલે એણે બીજો રસ્તો અપનાવ્યો. રોજ સવારે 6 વાગ્યે ઘરેથી નીકળી જાય. દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ફરે અને ઘરે ઘરે જઇને કોઈના ઘરમાં બિનઉપયોગી દવા પડી હોય તો દાનમાં આપવા માટે વિનંતી કરે. ભેગી કરેલી આવી દવાને એક્સપાયરી ડેઇટ જોઇને દવાના ક્ધટેન્ટ પ્રમાણે જુદી પાડે અને પછી સેવાભાવી સંસ્થાઓ અને હોસ્પિટલમાં પહોંચતી કરે કે જ્યાંથી જરૂરિયાતમંદ લોકોને મફતમાં દવા મળી જાય. આ માટે જરૂર પડે ત્યાં ફાર્માસીસ્ટની મદદ લે.
ઓમકારનાથ શર્મા સીનિયર સિટિઝનના પાસ સાથે સરકારી બસમાં મુસાફરી કરે છે કારણ કે એની પોતાની પેન્શનની આવકથી ઘર માંડમાંડ ચાલે છે. જ્યાં બસ ન જતી હોય ત્યાં આ દાદા ચાલીને જાય છે. દાદાને પૂછવામાં આવ્યું કે આ ઉંમરે ચાલીને જવું પડે તો તમને તકલીફ નથી પડતી ? ઓમકારનાથે હસતાં હસતાં કહ્યું, “ઉંમરને કારણે તકલીફ તો પડે જ, પણ જો આપણે આપણી શારીરિક તકલીફનો વિચાર કરીએ તો પછી બીજાની તકલીફ દૂર કરવામાં મદદરૂપ કેવી રીતે થઈ શકીએ ?”
ઓમકારનાથ શર્માની આ સેવાને કારણે અનેક ગરીબ લોકોને મફતમાં દવા મળતી થઈ છે. લોકો એમને ‘મેડિસિનબાબા’ તરીકે ઓળખે છે. આજે ઓમકારનાથ શર્મા એકલા નથી બીજા કેટલાય યુવાનો પણ આ સેવામાં જોડાયા છે. યુવામિત્રોએ www.medicinebaba.in નામની વેબસાઇટ પણ બનાવી છે.
આપણને બધી જ અનુકૂળતા હોવા છતા આપણે બીજા માટે કંઇ કરતા નથી અને મેડિસિનબાબા જેવી વ્યક્તિઓ ઘરમાં મનોવિકલાંગ દીકરો હોવા છતા બીજાની સેવા માટે 80 વર્ષે પણ દોડયે રાખે છે.