મહાભારતના યુધ્ધ વખતે શ્રીકૃષ્ણને બરાબર ખ્યાલ હતો કે જ્યાં સુધી ગુરૂ દ્રોણ પરાજિત નહીં થાય ત્યાં સુધી પાંડવોની જીત અસંભવ છે.
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
દ્રોણાચાર્યને શસ્ત્રહીન કરવા અશક્ય હતાં, જેની પાછળ તેમનું દ્રઢ મનોબળ અને ઉત્કૃષ્ટ યુધ્ધકલા કારણભૂત હતી, પરંતુ તેમની એકમાત્ર નબળાઈ તેમનો પુત્ર અશ્ર્વત્થામા હતો. કૃષ્ણ જાણતાં હતાં કે અશ્ર્વત્થામાનાં મૃત્યુનાં સમાચાર જ ગુરૂ દ્રોણને આહત કરી શકશે. પણ આ સમાચાર ફેલાવે કોણ? દ્રોણાચાર્ય શ્રીકૃષ્ણની યુધ્ધનીતિ વાકેફ હતાં આથી નજરે જોયા વગર કોઈની વાત પર ભરોસો કરી લે તેવા કાચાપોચા પણ નહોતા! કૃષ્ણે એક આખરી ઉપાય તરીકે યુધિષ્ઠિરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ. સૌ કોઈ યુધિષ્ઠિરની પ્રામાણિકતા અને સત્ય-ઉચ્ચારણની પ્રતિજ્ઞાથી વાકેફ હતાં. ‘અશ્વત્થામા’ નામક હાથીની હત્યા કરાવ્યા બાદ યુધિષ્ઠિર પાસે તેની ઘોષણા કરાવવામાં આવી. બીજી બાજુ, દ્રોણાચાર્યને પણ યુધિષ્ઠિરની સત્યવાણી પર પૂરેપૂરો ભરોસો! તેમને લાગ્યું કે પોતાનો પુત્ર અશ્વત્થામા હણાયો છે. પુત્રનાં મૃત્યુથી તેઓ ઘણા દુ:ખી થઈ ગયા. એ જ વખતે પાંચાલ નરેશ દ્રુપદનાં પુત્ર દ્રુષ્ટદ્યુમ દ્વારા તેમનો અંત આણવામાં આવ્યો.
- Advertisement -
પિતાનાં વધની ખબર મળતાં જ અશ્ર્વત્થામા યુધિષ્ઠિરે ઉચ્ચારેલા અર્ધસત્યથી ખૂબ ગુસ્સો ભરાયો. તેનાં કપાળ પરનાં મણિને લીધે તે અજર-અમર હતો. પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરીને તેણે પાંડવપુત્રોની હત્યા કરી નાંખી. ફક્ત આટલેથી ન અટકતાં, તેણે અભિમન્યુની પત્ની ઉત્તરાનાં ગર્ભમાં ઉછરી રહેલ પુત્ર પરીક્ષિત પર બ્રહ્માસ્ત્ર છોડી તેને મારી નાંખવાનો પ્રયાસ કર્યો. અશ્વત્થામાનાં આ હિચકારી કૃત્યથી કૃષ્ણ અત્યંત રોષે ભરાયા અને તેમણે અશ્ર્વત્થામાનાં કપાળ પરથી મણિ ખેંચી કાઢી તેને શાપ આપ્યો કે યુગ-યુગાંતર સુધી તે બિમાર અવસ્થામાં ભટકતો રહેશે. તેના શરીરમાંથી પરૂ ઝરશે તથા અસહ્ય પીડાની સાથે દુર્ગંધ આવશે. દુનિયાની કોઈ તાકાત તેને આ નર્કસમાન પીડામાંથી મોક્ષ નહી અપાવી શકે. કળિયુગનાં અંત સુધી તેણે આ અવસ્થામાં પૃથ્વી પર ભ્રમણ કરતાં રહેવું પડશે. લોકો સાથે હળવા-મળવાની કે વાતો કરવાની સ્વતંત્રતા છીનવાઈ જશે અને તેનું સમગ્ર જીવન અંધકારમય બની જશે.
અશ્ર્વત્થામાને મળેલ આ શાપને લીધે તેનો દેહ હજુ પણ પૃથ્વી પર ભટક્યા કરતો હોવાની માન્યતા સેવાઇ રહી છે. મધ્યપ્રદેશનાં બુરહાનપુરથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા આસીરગઢ કિલ્લામાં સ્થિત શિવમંદિર આજે પણ અશ્વત્થામાની હાજરી પૂરાવે છે. માનવામાં આવે છે કે દરરોજ વહેલી સવારે અશ્વત્થામા અહીં ભગવાન શિવની આરાધના કરવા માટે પ્રગટ થાય છે. કિલ્લાની અંદર એક તળાવ પણ આવેલું છે, જ્યાં સ્નાન કર્યા બાદ તે મંદિરમાં પૂજા-અર્ચના કરે છે. આસીરગઢ કિલ્લો દરિયાની સપાટીથી 750 ફૂટ ઉપર આવેલા સાતપુડા પહાડોનાં શિખર પર નિર્માણ થયેલો છે. ઉનાળાની ઋતુમાં અહીં ધોમધખતો તાપ પડતો હોવા છતાં તળાવનું પાણી ક્યારેય સૂકાયેલું નથી જોવા મળ્યું! તળાવથી થોડે જ આગળ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, જેની ચારેબાજુ ઉંડી ખીણો પથરાયેલી છે. કિવદંતી અનુસાર, આ તમામ ખીણોમાંથી કોઈ એક ખીણમાં આવેલો ગુપ્ત રસ્તો ખાંડવ વન (ખંડવા જિલ્લા)માંથી પસાર થઈને સીધો મંદિરનાં પટાંગણ સુધી પહોંચે છે. આ રસ્તે થઈને અશ્વત્થામા મંદિરમાં પ્રવેશ કરે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, મંદિરની અંદર પશુ-પંખીઓનું પણ નામોનિશાન જોવા નથી મળતું! અહીંયા કોઈ પ્રકારની કૃત્રિમ લાઈટ કે ઈલેક્ટ્રીસિટી ગોઠવવામાં નથી આવી, છતાં દરરોજ અચૂકપણે કોઈ અજાણ શક્તિ શિવલિંગ પર તાજા પુષ્પ અને ગુલાલ ચઢાવી જાય છે!
બુરહાનપુરનો ઇતિહાસ 5000 વર્ષ પહેલાના મહાભારતકાળથી ચાલ્યો આવે છે. આ વિસ્તાર પહેલાનાં સમયમાં ખાંડવ વનનાં નામે ઓળખાતો. આસીરગઢ કિલ્લાનું નિર્માણ ત્યાંના રાજા આસા આહિરને હસ્તે કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1380માં ફારૂખી વંશનાં બાદશાહોએ તેનું પુનરૂધ્ધાર કરાવ્યો હોવાની સાબિતી મળી આવી છે. દર વર્ષે હજારો લોકો દૂર-દૂરથી બુરહાનપુરનાં આ પ્રાચીન શિવ મંદિરનાં દર્શનાર્થે આવે છે. સૌથી વધુ ભીડ શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન જોવા મળતી હોય છે. પરંતુ અશ્ર્વત્થામાની દંતકથાને કારણે સંધ્યા સમય પછી અહીંયા માણસ તો દૂર, ચકલું પણ નથી ફરકતું!
- Advertisement -
હિંદુ વેદ-પુરાણોમાં કુલ આઠ અમર પાત્રોમાંનું એક પાત્ર એટલે અશ્વત્થામા. તેમના ઉપરાંત રાજા બલિ, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને ઋષિ માર્કંડેયને પણ અમર હોવાનું વરદાન પ્રાપ્ત છે. નીચેનાં શ્લોકમાં તેમનાં અમર હોવાની વાત કહેવાઈ છે :
अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:
कृप: परशुरामश्च सप्तएतै चिरजीविन: ॥
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित ॥
આસીરગઢના શિવ-મંદિર ઉપરાંતનાં અન્ય છ મંદિરોમાં અશ્વત્થામા દર્શન કરવા આવે છે. મધ્યપ્રદેશનાં જબલપુર ખાતેનાં જ અન્ય એક સ્થળ પર અશ્વત્થામાની હાજરીનો અનુભવ કરવામાં આવ્યો છે. શહેરના ગોરીઘાટ (નર્મદા નદી)નાં કિનારે અશ્વત્થામા પોતાનાં કપાળ પરથી વહી રહેલા લોહીને અટકાવવા યાત્રિકો પાસેથી હળદર અને તેલની માંગણી કરતો નજરે ચડે છે. ત્યાંના સ્થાનિક લોકો પાસે તેમની પુષ્કળ આપવીતી સાંભળવા મળે છે. કેટલાક કહે છે કે તેમનાં પરદાદાઓએ અશ્વત્થામાને સદેહે નિહાળ્યો છે! અન્ય ગામવાસીનું કહેવું એમ પણ છે કે તેઓ જ્યારે નદીકિનારે માછલી પકડવા ગયા ત્યારે કોઈક અદ્રશ્ય તાકતે પાછળથી આવીને તેમને પાણીમાં જોરથી ધક્કો માર્યો! સ્થાનિક લોકોનું માનવું છે કે જે વ્યક્તિ એક વાર અશ્વત્થામાને તેનાં મૂળ અવતારમાં જોઈ લે છે, તેનું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે.
આ ઉપરાંત, કાનપુરનાં શિવરાજપુરમાં ગંગા નદીથી બે કિલોમીટર દૂર આવેલા શિવ-મંદિર વિશેની કથાઓ તો વધુ પ્રગાઢ છે. મંદિરનું નિર્માણ ખુદ દ્રોણાચાર્યનાં હસ્તે થયું હોવાની માન્યતા છે. અશ્વત્થામાનું જન્મ-સ્થળ મનાતું આ મંદિર, દરરોજ સાંજે આઠ વાગ્યાથી વહેલી સવાર ચાર વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવે છે. અહીં શિવલિંગ પર ફક્ત ગંગાજળ ચઢાવવાની પ્રથા ચાલી આવે છે. પૂજારી દ્વારા રાખવામાં આવેલા સફેદ ફૂલોમાંથી એક ફૂલનો રંગ બદલીને લાલ થઈ જાય છે. મંદિર ખોલતાંની સાથે જ શિવલિંગ પર બિલ્લી પત્ર, ભાંગ-ધતૂરો, કેસર, ચોખા અર્પણ થયેલ જોવા મળે છે. દરરોજ રાત્રે બારથી એક વાગ્યાની વચ્ચે અશ્વત્થામા અહીં શિવલિંગની પૂજા કરવા માટે હાજર થાય છે, તેવી સ્થાનિક લોકોની માન્યતા છે!
પિતાનાં વધની ખબર મળતાં જ અશ્ર્વત્થામા યુધિષ્ઠિરે ઉચ્ચારેલા અર્ધસત્યથી ખૂબ ગુસ્સો ભરાયો, તેનાં કપાળ પરનાં મણિને લીધે તે અજર-અમર હતો. પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરીને તેણે પાંડવપુત્રોની હત્યા કરી નાંખી, અશ્વત્થામાનાં આ હિચકારી કૃત્યથી કૃષ્ણ અત્યંત રોષે ભરાયા અને તેમણે અશ્ર્વત્થામાનાં કપાળ પરથી મણિ ખેંચી કાઢી તેને શાપ આપ્યો કે યુગ-યુગાંતર સુધી તે બિમાર અવસ્થામાં ભટકતો રહેશે. તેના શરીરમાંથી પરૂ ઝરશે તથા અસહ્ય પીડાની સાથે દુર્ગંધ આવશે.