શ્રાવણ મહિનો અને જન્માષ્ટમી તહેવાર ટાણે જ વીજ ધાંધિયા
પૂરતો પાવર ન મળતા બે દિવસથી જગ્યામાં પાણી નથી
- Advertisement -
મહંત, સેવકો અને શ્રદ્ધાળુઓમાં વીજતંત્ર સામે રોષ ભભૂક્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ ભાજપના શાસકો મહિના પહેલા સત્તામાંથી ઉતર્યા, અને લોકો સામે વિકાસના બણગા ફૂંકયા.પરંતુ વાસ્તવિકસતા જુદી છે. પ્રવાસનના વિકાસની વાતો જોરશોરથી કરવામાં આવે છે. ખાસ કરીને ગીરનાર માટે કરોડો રૂપિયા ફાળવામાં આવ્યાં છે. પરંતુ ગીરનારનો વિકાસ કેટલો છે તે સૌકોઇ જાણે છે. છેલ્લા કેટલાક દિવસથી ગીરનારના મુખ્ય પ્રવેશ દ્વારા તરીકે ઓળખાતા જટાશંકર મહાદેવના મંદિરે લાઇટની સમસ્યા ઉભી થઇ છે જેના કારણે જગ્યાના મહંત અને સેવકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એક તરફ સરકાર દ્વારા ગિરનારને યાત્રાધામ તરીકે વિકાસ કરવા કરોડો રૂપિયા ફાળવી રહી છે બીજી તરફ જ્યાં પાયાની સુવિધાની જરૂરી છે તે પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી.
ગિરનાર મુખ્ય પ્રવેશ દ્વાર જેના માનવામાં આવે છે તેવા જગ વિખ્યાત જટાશંકર મંદિર જગ્યામાં વીજતંત્ર દ્વારા યોગ્ય પાવર ન આવતા પાણી ભરવાની મોટર પણ ચાલુ થતી નથી. છેલ્લા બે દિવસથી મંદિરે પાણી નથી. તેમજ અહીં શ્રાવણ માસમાં રવિવાર, સોમવારના અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. વાસણ સફાઇ માટે ઉંચકીને નદી સુધી જવું પડે છે. તેમજ સવારના આરતી પણ અંધારામાં થઇ રહી છે. અભિષેક પણ લોકો અંધારામાં કરી રહ્યાં છે. શ્રાવણ માસ પહેલા પીજીવીસીએલના અધિકારીઓએ ખાતરી આપી હતી કે, શ્રાવણ માસમાં લાઇટ જશે નહીં. પરંતુ આજે બે દિવસથી જૂનાગઢ પીજીવીસીએલના અધિકારીઓ ફોન ઉપડતા બંધ થઇ ગયા છે.
જટાશંકર મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ તંત્રની ધોર બેદરકારીના કારણે લોકમાં રોષ ફેલાયો છે. અહીં મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે. વહેલી સવારથી ભક્તોની લાઇન લાગે છે. પરંતુ પૂરતો પાવર ન મળતા અંધારામાં લોકો દર્શન કરી રહ્યાં છે. પૂરતો પાવર ન મળવાના કારણે પાણીની સમસ્યા સર્જાઇ છે. શ્રાવણ મહિના પવિત્ર દિવસોમાં હજારો લોકો જટાશંકર મહાદેવ મંદિરે દર્શન કરવા પધારે છે તો બીજી તરફ શનિવાર અને રવિવાર અને સોમવારે જન્માષ્ટમી છે એટલે શિવ ભક્તો ખુબ મોટી સંખ્યામાં પધારશે એવા સમયે ધાર્મિક જગ્યામાં વીજ પુરવઠો અનિયમિત અને પૂરતા પ્રમાણમાં નહિ મળતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગિરનાર પર્વત પર આવેલ ધાર્મિક જગ્યાઓમાં વીજ પુરવઠાની સમસ્યા કાયમી જોવા મળે છે.
- Advertisement -
અનેકવાર ફરિયાદ કરવામાં આવે છે પણ થોડા સમય માટે વીજ પુરવઠો શરુ થઇ જાય છે પણ પછી ફરી એજ સમસ્યા સામે આવે છે આજ રીતે ગિરનાર અંબાજી મંદિર ખાતે પણ અનેકવાર વીજ પુરવઠો ખોરવાય જાય છે અને સ્થાનિક સેવા પૂજા કરનાર સેવકો અને દૂર દૂરથી આવતા યાત્રિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સેવકોનું કેહવું છે કે, ગિરનાર પર આવેલ તમામ ધર્મસ્થાનોમાં કાયમી વીજ પુરવઠાની સમસ્યા ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.જયારે શ્રાવણ માસમાં વીજ પુરવઠો નહિ ખોરવાય તેવી વાત કરનાર અધિકરીઓ આજે ખરા સમયે ગુમ થઇ જતા ધાર્મિક જગ્યાના સંતો અને સેવકોમાં રોષ જોવા મળે છે.
ગિરનાર પર્વતની ધાર્મિક જગ્યાઓમાં પાણી અને વીજળીની સમસ્યા
ગીરનાર પર્વત પર અનેક ધાર્મિક જગ્યાઓ આવેલી છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પાણી સમસ્યાની સાથે વીજળીની સમસ્યા પણ જોવા મળી રહી છે. જેનો કાયમી ઉકેલ આવતો નથી અને જગ્યાના સંતો તેમજ સેવકો અને ભાવિકો આ બંને સમસ્યાથી ત્રસ્ત જોવા મળે છે વારે વારે વીજળી ગુલ થવાથી પાણીની સમસ્યા ઉદભવે છે હાલ ગિરનાર ઉપર પાણી પહોંચાડવા તંત્ર દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવી છે પણ હકિકતે કયારે પાણી પહોંચશે તે પણ એક મોટી સમસ્યા છે અને વિજળી પર પુરતા પ્રમાણમાં કયારે મળશે તે પણ એક મોટી સમસ્યા જોવા મળી રહી છે.