કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
તાજેતરમાં ફ્રાન્સમાં ડાબેરી ઝુકાવ ધરાવતી સરકાર ચૂંટાઈને આવી. કહેવાય છે કે આ નવી સરકાર ધનિકો ઉપર નેવું ટકા જેટલો ઇન્કમ ટેક્સ લાગુ પાડવાનું વિચારી રહી છે.
અગાઉ ફ્રાન્સમાં ફ્રાન્સીસ હોલાન્ડેની સરકારે ધનિકો ઉપર 70 ટકા ઇન્કમ ટેક્સ લગાડવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો પણ તેને ફ્રેન્ચ સંસદમાં પસાર કરાવી શક્યા નહોતા.
બરાક ઓબામા પણ અમેરિકામાં ધનિકો ઉપર સીતેર ટકા આસપાસ ટેક્સની ભલામણ કરી ચુક્યા છે. પણ એમને ય પ્રતિસાદ મળ્યો નહોતો.
ધનિકો ઉપર આકરો ઇન્કમ ટેક્સ નાખવો તે એક અર્થશાસ્ત્રીય પગલું છે. આવક વેરાનો ડેટા લઈને સરકારની આવક સાથે જ્યારે એને જોડવામાં આવે અને ગ્રાફ બનાવવામાં આવે તો ખ્યાલ આવે છે કે સીતેર ટકા જેટલો મહત્તમ ઈનકમટેક્સ (ધનિકો ઉપર ) લાગુ પાડવાથી સરકાર ને મહત્તમ આવક પ્રાપ્ત થાય. આ ગ્રાફને લેફર કર્વ કહેવાય છે. આ ગ્રાફ ઉપરથી ખ્યાલ આવે છેકે સીતેર ટકાથી વધારે ઈનકમ ટેક્સ લાગુ પાડવાથી સરકારની આવક ઘટી જાય છે કેમકે લોકોની કમાવાની શક્તિ નબળી પડે છે. (જુઓ લેફર કર્વ નું ચિત્ર) .
શુક્રાચાર્ય સ્મૃતિમાં ગુરુ શુક્રાચાર્ય કહે છે કે રાજાએ પ્રજાને પહેલા કર ભરવા પાત્ર થાય એટલા આવકના સ્ત્રોત આપવા જોઈએ અને પછી મધમાખી , જળો જેમ અનુક્રમે ફૂલનો રસ અને લોહી ચૂસે છે એમ પ્રજા પાસેથી થોડો થોડો ટેક્સ વસુલ કરવો જોઈએ .
ઇન્કમટેક્સ સહુથી પહેલા ઇસ્લામિક રાજ્યોમાં નોન મુસ્લિમ લોકો ઉપર લાગુ પાડવામાં આવેલો વેરો હતો. જેને જઝીયા કહેવાતો અને તે જે તે બિન -મુસ્લિમ વ્યક્તિની આવક ઉપર આધારિત હતો.ખ્રિસ્તીઓએ મુસ્લિમો સાથે ક્રૂઝેડ નામનાં ધર્મયુદ્ધ કરવા માટે પણ ઈનકમ ટેકસ લાગુ પાડ્યો હોવાના ઉલ્લેખ છે. મુસ્લિમ કાળમાં ભારતના લોકો ઉપર સહુથી વધુ પચાસ ટકા જેટલો અધધ વેરો લાગુ પડ્યો હતો. હિંદુ રાજ્ય વ્યવસ્થામાં લોકો વધુમાં વધુ પચીસ ટકા કરવેરો આપતા હતા.
અન્યથા હિંદુ સંસ્કૃતિમાં વેરો હમેશા ઉપજ કે વેચાણ ઉપર રહેતો. આવક ઉપર વેરો ક્યારેય નહોતો.
આવક વેરાની શરૂઆત લોકશાહી સાથે ઈંગ્લેન્ડમાં થઇ. આ ઇન્કમ ટેક્સ પ્રોગ્રેસિવ પ્રકારનો હતો. અર્થાત ધનિકો ઉપર તે વધુ હતો અને ગરીબો ઉપર એકદમ ઓછો. સામ્યવાદી / સમાજવાદી અને લોકશાહી વિચારધારા હમેશા ધનિકો ઉપર ભારે અને ગરીબો ઉપર નહિવત ઈનકમ ટેક્સ ની ભલામણ કરે છે. અંગ્રેજોએ ભારતમાં પણ ઈનકમ ટેકસ માળખું રચી કાઢ્યું જેમાં રાજવીઓ અને ધનવાનો ને જ ઈનકમ ટેકસ ભરવાનો હતો. પણ વાઘ લોહી ચાખી ગયો હતો એટલે પછી તો લોકોને લૂંટવા માટે દરેક વર્ગને ઈનકમ ટેક્સ ની જાળમાં ફસાવવામાં આવ્યા. આજે મધ્યમ વર્ગ પણ ઈનકમ ટેકસ ભરે છે અને કરચોરી પણ કરી શકતો નથી.
ઇન્કમ ટેક્સ એક લેવલર નું કામ કરે છે અને ગરીબ ધનિક વચ્ચેની જે ખીણ છે એને જરા ઓછી કરે છે. જ્યા સમાજવાદ /સોશિયલીઝ્મ (જે સામ્યવાદનું સોફ્ટ સ્વરૂપ છે) તેવા અતિ વિકસિત દેશોમાં કચરો વીણવા વાળા (રેગ પીકર) અને ડોકટર લગભગ સમાન કમાય છે એટલો ભારે ઈનકમ ટેક્સ છે. સામે સરકારી સવલતો પણ ખૂબ સારી ગુણવત્તા વાળી આપવામાં આવે છે.
ડાબેરીઓ હમેશા ધનિક વિરોધી હોવાથી એમને ધનિકો ઉપર ભારે ઇન્કમ ટેક્સ લગાડવાની નીતિ અપનાવે છે. ભારતમાં સમાજવાદી વિચાર ધરાવતી કોંગ્રેસે એક સમયે 2 લાખ કે તેથી વધુની આવક ઉપર 97% ઇન્કમ ટેક્સ લગાડયો હતો.
ઇન્કમટેક્સ ને કારણે ધનવાનોની ધન કમાવાની અને સંઘરવાની લાલસા ઘટે તે ઉદ્દેશ્ય હોય છે. વણજોઈતું સંઘરવું યોગ, જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ એમ તમામ ભારતીય દર્શનોમાં પાપ ગણવામાં આવ્યું છે. અપરિગ્રહ એટલે કે સંઘરાખોરીના ત્યાગને તમામ ભારતીય દર્શનોમાં અગત્યનો નિયમ ગણવામાં આવ્યો છે.નાણાંને સંસ્કૃતમાં દ્રવ્ય કહેવાય છે જે વહેતું રહેવું જોઈએ.
જાણીતા પ્રાકૃતિક ચિકિત્સક ડોક્ટર મહેરવાન ભમગરા કહેતા કે જે સમાજોમાં ધન સંઘરવાની વૃત્તિ વધારે છે તેઓ ટૂંકું અને રોગમય જીવન જીવે છે અને પેટની બીમારીઓથી પીડાય છે.
કાશ્મીરના ગિલગિટ હુંઝા પ્રાંતમાં વર્ષોથી કોઈ અતિ ધનિક બનતું નથી. બધા શાકાહાર કરે છે અને દીર્ઘાયુ નિરોગી જીવન જીવે છે. ગિલગિટમાં બસો વર્ષ પહેલા ગયેલ એક અંગ્રેજ સંશોધકે ત્યાંના સ્થાનિકને પૂછ્યું કે તમારે ત્યાં કોઈ અતિ ધનિક બને તો તમે શું કરો ??
સ્થાનિકે ઉત્તર આપ્યોકે ” તો અમે એનું ગળું કાપી નાખીએ.”ખ્રિસ્તીઓની એમીષ કમ્યુનિટી પણ આવું સામહીક જીવન જીવે છે અને આવકની વહેંચણી સમાન રીતે કરે છે જેથી એમનામાં કોઈ અતિ ધનિક બનતું નથી.
જ્યા જ્યા લોકો સુદીર્ઘ અને સ્વસ્થ જીવન જીવે છે ત્યાં ત્યાં આવકની વહેચણી સમાન છે અને કોઈ અતિશય ધનવાન બનતું નથી. જ્યા જ્યા આવકની વહેચણી અસમાન છે ત્યાં લોકો દુ:ખી અને રોગમય જીવન જીવે છે.
ગાંધી કહેતા કે જ્યા સુધી આવકની વહેંચણીમાં અતિ અસમાનતા છે ત્યાં સુધી ગુનાખોરી અટકશે નહિ. ઇન્કમ ટેક્સ થીયરિટિકલ રીતે આવકની આ અસમાન વહેંચણીને થોડી સમાન કરવાનો પ્રયાસ છે. પણ વાસ્તવમાં શું થાય છે ?? વાસ્તવમાં ઇન્કમ ટેક્સ બચાવવા માટે અપાર ભ્રષ્ટાચાર થાય છે. ઇન્કમ ટેક્સ ને લીધે “કાળા નાણાં” નામના શબ્દનો જન્મ થયો છે.સ્વિસ બેંકો ભારતીયોના કાળા નાણાંથી ઉભરાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે આ કાળું નાણું એટલું બધું છે કે જો એની પૂર્ણ રિકવરી થાય તો દરેક ભારતીયને પંદર લાખ રૂપિયા જેટલી રકમ મળે. જોકે અમુક અણસમજુ અણઘડ લોકો એ વડાપ્રધાનશ્રીની આ વાતને કોઈ વાયદો માનીને અપપ્રચાર કર્યો હતો.
જે સ્વિત્ઝર્લેન્ડના ઘડિયાળ ઉદ્યોગથી કાર્લ માર્ક્સને નફાની સમાન વહેંચણીનો વિચાર આવેલો એ જ સ્વીત્ઝર્લેન્ડ આખા જગતનું કાળું નાણું સંઘરીને માલામાલ થયું છે તે કેવી વિસંગતિ છે!!!
કાર્લ માર્ક્સ એ જ્યારે ત્યાંનો ઘડિયાલ ઉદ્યોગ જોયો ત્યારે એણે નિરીક્ષણ કર્યું કે ઘડિયાળ ફેકટરીના માલિકો કોઈ માલેતુજાર ઉદ્યોગપતિઓ નથી પણ સામાન્ય કારીગરો પોતે છે . વળી એક ઘડિયાળ સેંકડો પૂર્જાઓથી બને છે અને દરેક પૂર્જાનાં સ્પેશિયાલિસ્ટ કારીગર હોય છે. ઘડિયાળ ના વેચાણનો નફો તમામ કારીગરો વચ્ચે વહેંચવામ આવે છે , કારીગરોનું શોષણ કરવામાં નથી આવતું. આ જોઈને કાર્લ માર્ક્સને સામ્યવાદ એટલે કે નફાની સમાન વહેંચણીનો વિચાર આવ્યો હતો. કાર્લ માર્ક્સ પોતે યહૂદી હતા અને યહૂદીઓ જગતની નાણાં વ્યવસ્થા ઉપર કબજો ધરાવે છે. માર્કસ પોતે એક ધનવાન વકીલના પુત્ર હતા. તે પણ એક વિસંગતિ છે. આમ, ઈનકમ ટેક્સ આધુનિક સમયનું અનિવાર્ય અનિષ્ટ છે. પણ જો પારદર્શક અને સુચારુ વ્યવસ્થા થકી એનું નિયમન કરવામાં આવે તો તે એક અમોઘ શસ્ત્ર છે જેના થકી પિરામિડની ટોચ ને બુઠ્ઠી કરી શકાય છે અર્થાત્ ધનવાનોનાં ધન સંગ્રહને ઓછો કરી શકાય છે..
ધનની સમાન વહેચણી એક આદર્શવાદ છે જે પૂર્ણ રીતે શક્ય નથી પણ એની નજીક પહોંચી શકાય છે. ધનિકો ઉપર માપસર ઈનકમ ટેકસ એક આદર્શવાદ છે જેને કારણે ભારતના 0.1 ટકા ધનિકો કુલ ઈનકમ ટેક્સ નો પચીસેક ટકા ભાગ ભરે છે પણ વાસ્તવમાં એની કાળી બાજુ કાળાં નાણાં છે જે અનેક અનિષ્ટોને જનમ આપે છે.