રત્નાબાપાએ કહ્યું, સાહેબ, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડીઘણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનિટાઇઝર આપતા પૂછ્યું, દાદા, કેટલા વરસ થયા? દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ 99મું ચાલે છે. કોરોનાકાળ ચાલતો હતો અને દાદાના કપડાં જોતા સાવ સામાન્ય પરિસ્થિતિના જરૂરિયાતમંદ માણસ લાગ્યા એટલે ચોકીદારે પૂછ્યું, કોઈ મદદ લેવા આવ્યા છો ? દાદાએ કહ્યું, ના ભાઈ કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. મારી પાસે અંગત બચતની થોડી રકમ પડી હતી તેમાંથી 51,000નો ચેક કલેક્ટર સાહેબને આપવા આવ્યો છું. દાદાની વાત સાંભળીને બે ઘડી તો ચોકીદાર પણ અવાક થઈ ગયો.
આ દાદાનું નામ હતું રત્નાભાઈ મનજીભાઈ ઠુંમર. દેખાવ પરથી સામાન્ય લાગતા આ દાદા ખરેખર અસામાન્ય હતા. તમને જાણીને આશ્વર્ય થશે કે 99 વર્ષના આ દાદા 1975થી 1980ના સમયગાળા દરમિયાન મેંદરડા-માળિયા મતવિસ્તારમાંથી ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ જેટલો સમય ધારાસભ્ય તરીકે ગુજરાત રાજ્યની સેવા કરી એટલો સમય ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને નિવૃત્તિ બાદ ધારાસભ્યને મળતું પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે.
- Advertisement -
ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલબહાદૂર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે અપીલ કરી હતી. શાસ્ત્રીજીની એ અપીલના આધારે દેશને આત્મનિર્ભર બનાવવા કેટલાય લોકોએ અઠવાડિયામાં એક દિવસ એક ટંકનો ઉપવાસ શરુ કર્યો હતો. રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ 99 વર્ષની જૈફ વયે પણ એમણે તૂટવા નથી દીધો.
51,000નો ચેક જૂનાગઢના એડિશનલ કલેક્ટરને અર્પણ કર્યો ત્યારે રત્નાબાપાએ કહ્યું, સાહેબ, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડીઘણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું. ભારત મહાન છે કારણ કે ભારત પાસે રત્નાબાપા જેવા મુઠ્ઠી ઊંચેરા માણસો પણ છે. રત્નાબાપાની આ વાત ભારતના વડાપ્રધાન સુધી પહોંચી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સામેથી ફોન કરીને રત્નાબાપા સાથે વાત કરીને એમના ખબર અંતર પૂછ્યા હતા. જેની પાસે ચારિત્ર્યની ચમક હોય એને બીજા કોઈ દેખાડાની જરૂર નથી અને જેની પાસે ચારિત્ર્યની ચમક નથી એ ગમે એટલા દેખાડા કરે તો પણ એની કોઈ અસર થતી નથી. કસ્તુરીની જેમ ચારિત્ર્યની સુવાસ ફેલાયા વગર રહે જ નહીં.