સોમનાથ, સત્તા અને સામૂહિક આત્મવિશ્ર્વાસ
સૌજન્ય:-ઑપ્પ ઈન્ડિયા, ગુજરાતી
- Advertisement -
મોદીનું સોમનાથ: આસ્થા, આત્મવિશ્ર્વાસ અને અતિત
ભારતમાં સરકાર માત્ર સત્તા સુધી સીમિત નથી, તે સંકેત પણ આપે છે. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનું કોઈપણ જાહેર પગલું, કોઈપણ વક્તવ્ય, માત્ર વ્યક્તિગત મત નથી હોતું, તે રાષ્ટ્રની દિશા, પ્રાથમિકતા અને આત્મબોધને પણ વ્યાખ્યાયિત કરે છે. એ જ કારણ છે કે જ્યારે સોમનાથ મંદિર જેવા સભ્યતાગત પ્રતીકની વાત આવે ત્યારે માત્ર મંદિર જ નહીં, ભારતની આત્મા પણ વિમર્શના કેન્દ્રમાં આવી જાય છે.
આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથને હિંદુ સ્વાભિમાન, આસ્થા અને ભારતની ઐતિહાસિક ચેતના સાથે જોડીને ગર્વથી સ્મરણ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે એ અતીતની યાદ અપાવે છે જ્યારે સત્તાના શિખર પર બેઠેલા લોકોને આ જ સોમનાથથી સમસ્યા થતી હતી. કોઈ પણ વડા પ્રધાનનું ઇતિહાસના કોઈ અધ્યાય પર બોલવું કે લખવું માત્ર અતીતનો ઉલ્લેખ નથી હોતું, તે એ સંકેત આપે છે કે રાષ્ટ્ર કઈ સ્મૃતિ સાથે આગળ વધવા માંગે છે.
ઇતિહાસનું એ તથ્ય હવે ચર્ચાનો વિષય નથી રહ્યું કે જવાહરલાલ નેહરુ સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અને ખાસ કરીને તેની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ખુશ નહોતા. તેમની ચિંતા માત્ર એક ધાર્મિક આયોજન સુધી મર્યાદિત નહોતી, પરંતુ તેઓ આ ઘટનાને ‘હિંદુ પુનરુત્થાનવાદ’ તરીકે જોતા હતા. એ જ કારણ છે કે તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને મંદિર ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો.
નેહરુનો તર્ક હતો કે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિનું મંદિર ઉદ્ઘાટનમાં જવું ભારતની છબીને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ આ તર્ક પોતાનામાં જ અનેક પ્રશ્ર્નો ઊભા કરે છે. શું ધર્મનિરપેક્ષતાનો અર્થ પોતાનાં સભ્યતાગત મૂળથી અંતર બનાવવાનો છે? શું બહુસંખ્યક સમાજની આસ્થાને જાહેર જીવનમાંથી બહાર રાખવી જ સેક્યુલરિઝમ છે?
ડો. રાજેન્દ્ર પ્રસાદે નેહરુના વાંધાને અવગણીને સોમનાથ જવાનું પસંદ કર્યું. તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત આસ્થાનો નહોતો, પરંતુ એ વિચારનો પણ હતો કે ભારતીય રાજ્ય પોતાની સંસ્કૃતિથી અળગું ચાલી શકતું નથી.
નેહરુ યુગની સેક્યુલરિઝમની અવધારણા વ્યવહારમાં એક સિલેક્ટિવ મૌન બની હતી. જે ઘટનાઓમાં હિંદુ સમાજની પીડા, આક્રમણ અને સાંસ્કૃતિક વિનાશની કથા હતી, તેને ‘અસુવિધાજનક’ માનીને જાહેર વિમર્શથી દૂર રાખવામાં આવી હતી. સોમનાથ પર થયેલા વારંવારના હુમલા માત્ર ઐતિહાસિક તથ્યો નહોતા, તે આ ઉપખંડની સભ્યતા પર થયેલા સંગઠિત આઘાતના પુરાવા પણ હતા અને ખેદ એ વાતનો છે કે સ્વતંત્ર ભારતની સ્વાયત્ત સરકારને તેની કોઈ પડી નહોતી.
નેહરુથી ઠીક વિપરીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોમનાથ પર લખેલો લેખ એક અલગ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના માટે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ હજાર વર્ષોના હુમલા અને પુનર્નિર્માણ વચ્ચે ઊભેલા ભારતનો આત્મવિશ્ર્વાસ છે. તેઓ ઇસ્લામી આક્રમણોને યાદ કરે છે, પરંતુ પીડિત માનસિકતા સાથે નહીં, પરંતુ એ બતાવવા માટે કે વિધ્વંસની વિચારધારા રાખનારા કટ્ટરપંથીઓ ભૂંસાઈ ગયા, પણ સભ્યતા આજેય અડીખમ ઊભી છે.
વડાપ્રધાન રહેતાં મોદીએ વારંવાર એ સ્પષ્ટ કર્યું છે કે સંસ્કૃતિ અને ધર્મ કોઈ વ્યક્તિગત ખૂણો નથી, પરંતુ ભારતની સભ્યતાગત નિરંતરતાનો આધાર છે. સોમનાથને હિંદુ સ્વાભિમાન સાથે જોડીને ગર્વથી સ્મરણ કરવું આ જ આત્મવિશ્ર્વાસનું પ્રમાણ છે. મોદી એ દલીલ નથી સ્વીકારતા કે મંદિરની વાત કરવી કે ઇતિહાસના હુમલાઓને યાદ કરવા ભારતની છબીને નબળી પાડે છે.
શાસન વ્યવસ્થા તરફથી, સર્વોચ્ચ સ્થાનેથી જ્યારે કોઈ વાત કહેવામાં આવે ત્યારે એ પ્રતીકાત્મક નથી રહેતી, તેમાં અનેક સંકેતો હોય છે. મોદીએ વડા પ્રધાન રહેતાં કાયમ સંસ્કૃતિ, ધર્મને ઉપર રાખ્યાં છે. એ જ સાચું સેક્યુલરિઝમ છે. નેહરુએ જે કર્યું હતું તેને તુષ્ટિકરણ કહેવાય. સાથે એ સમજવું પણ જરૂરી છે કે જ્યારે કોઈ સામાન્ય ઇતિહાસકાર સોમનાથ પર લખે છે અને જ્યારે ભારતના વડાપ્રધાન લખે છે તો બંનેના પ્રભાવમાં તફાવત હોય છે. વડાપ્રધાનનો લેખ રાષ્ટ્રને એ સંકેત આપે છે કે હવે આ વિષય ‘વર્જિત ક્ષેત્ર’ નથી. હવે એ સ્વીકાર્ય છે કે ભારત પોતાની અતીતની પીડાને યાદ કરે, તેમાંથી શીખે અને આગળ વધે.
મોદીનો સોમનાથ પર લેખ લખવો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ એ માનસિકતાનો અંત છે, જેમાં હિંદુ સમાજની ઐતિહાસિક પીડાને ‘અસુવિધાજનક’ માનીને હાંસિયે મૂકવામાં આવી હતી. લેખ એ સંકેત આપે છે કે ભારત હવે પોતાની આસ્થાને ‘સમસ્યા’ નથી માનતું. તે મંદિર, સંસ્કૃતિ અને પરંપરાને રાષ્ટ્રીય ચેતનાના ભાગરૂપે સ્વીકારીને આગળ વધવા માંગે છે.
એક તરફ નેહરુ હતા, જેમને રાષ્ટ્રપતિનું મંદિર જવું પણ રાજ્ય માટે જોખમ લાગતું હતું. બીજી તરફ મોદી છે, જે વડાપ્રધાન રહેતાં એમ કહે છે કે સોમનાથ ભારતની આત્માનું શાશ્ર્વત પ્રતીક છે. આ તફાવત માત્ર વ્યક્તિઓનો નથી, દૃષ્ટિકોણોનો છે. નેહરુને ભય હતો કે ક્યાંક હિંદુ સમાજ પોતાનાં મૂળને ઓળખી ન લે. મોદીને વિશ્ર્વાસ છે કે પોતાનાં મૂળને ઓળખવાથી જ ભારત વૈશ્ર્વિક મંચ પર મજબૂતીથી ઊભું રહેશે.



