ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
અમદાવાદના અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દીવાલ ધસી પડી હતી. દીવાલ ધસી પડતાં બાજુમાં રહેતાં કુલ પાંચ લોકો દટાયા હતા. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે. જ્યારે ત્રણ લોકોને ઈજા થતાં સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે ફાયરની ટીમ પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢી લીધા હતા. જેમાં બે વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલાં હતાં. જ્યારે અન્ય ત્રણ લોકો બેભાન હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
- Advertisement -
ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, દીવાલ કેવી રીતે ધરાશાયી થઈ અને આ લોકો દીવાલ પાસે કેવી રીતે રહેતા હતા તે અંગે હજી જાણવા મળ્યું નથી. ફાયરબ્રિગેડની ટીમ હાલમાં કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલો છે કે કેમ તે અંગે સર્ચ ઓપરેશન કરવાની કામગીરી કરી રહી છે.
ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડ ક્ધટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, અસારવા વિસ્તારમાં બેઠક નજીક દાદા હરિની વાવ પાછળ જે રેલવે પેરેલલ દીવાલ આવેલી છે તે ધરાશાયી થઈ છે અને કેટલાક માણસો દબાયા છે. જેથી ફાયર બ્રિગેડની બે ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. જોકે ફાયરબ્રિગેડના અધિકારીઓ ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલાં જ સ્થાનિક લોકો દીવાલ નીચે જે દબાયા હતા તેમને બચાવવાની શરૂઆત કરી દીધી હતી.