વાસ્તુની કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો શાળા-કોલેજ ખીલી ઉઠે…
મનુષ્યના જીવનના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ ખૂબ જ પાયાની અને અનિવાર્ય જરૂરિયાત છે, અને આ વાત ભારતવર્ષની અંદર વૈદિકકાળથી લોકોને સમજાઈ ગઈ હતી અને તેથી જ વિદ્યાર્થીઓ પોતાના વિષયની અંદર ઉત્તમ શિક્ષણ સાથે સંસ્કારી અને શિસ્તબદ્ધ બને તે માટે ગુરૂકુળની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાચીન સમયથી આપણે ત્યાં ગુરૂ-શિષ્ય પરંપરામાં આચાર્યને ત્યાં આશ્રમમાં રહીને સર્વગ્રાહી મેળવવામાં આવતું હતું. ગુરૂકુળમાં શિક્ષણની સાથે અસ્ત્ર-શસ્ત્રોની પણ શિક્ષા આપવામાં આવતી હતી. ભારતની આ શિક્ષણ વ્યવસ્થા દેશ-વિદેશમાં એટલી ખ્યાતિ પામેલી હતી કે ભારત બહારના વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવા ભારતીય વિદ્યાપીઠોની મુલાકાતો લેતાં હતાં. એ સમયની વિશેષતા એ હતી કે ઋષિઓ અને શિક્ષકોને રાજ્યાશ્રય મળેલો હોવાને પરિણામે તેમને વિદ્યાર્થીઓ પાસેથી પોતાના જીવનનિર્વાહ માટે કશું લેવાની જરૂરત પડતી ન હતી. વર્તમાન સમયની અંદર હવે બધી પરંપરાઓ તો રહી નથી પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ માટે યોગ્ય પ્લોટની પસંદગી કે પછી કઈ દિશા વાસ્તુ પ્રમાણે સૌથી વધારે યોગ્ય છે અને શૈક્ષણિક સંસ્થાના સરળતાથી સંચાલન માટે નિર્માણ દરમિયાન કઈ-કઈ બાબતોનું વાસ્તુ પ્રમાણે ધ્યાન રાખવું? તે વિશે આજે આપણે વિસ્તારપૂર્વક સમજીએ.
- Advertisement -
સ્કૂલ અને કોલેજની અંદર વિવિધ ઈન્ડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ થતી હોવાના પરિણામે વિશાળ જગ્યાની જરૂરિયાત રહેતી હોય છે. વર્તમાન સમયમાં જ્યારે જમીનોના ભાવ આસમાનને આંબી રહ્યા હોય છે ત્યારે શહેરી વિસ્તારમાં આ પ્રકારના પ્લોટ મળવા ખૂબ મુશ્કેલ છે, પરંતુ શહેરથી દૂર સ્કૂલ કે કોલેજ માટે જો પ્લોટની પસંદગી કરવાની હોય તો પૂર્વ દિશા તરફ રોડ હોય તેવા પ્લોટની પસંદગી પહેલાં કરવી જોઈએ, કેમકે સારા શિક્ષણની સાથોસાથ પૂર્વ દિશામાં રહેલ રોડ શાળા કે કોલેજને ખ્યાતિ અપાવશે.
* સ્કૂલ-કોલેજના બિલ્ડિંગની અંદર પ્રાર્થનાખંડ ઈશાન ખૂણામાં બનાવવો જોઈએ.
* પ્રવેશદ્વાર પાસે અને પ્રાર્થનાખંડમાં મા સરસ્વતીનો ફોટો અચૂક રાખવો.
* સ્કૂલ-કોલેજમાં રમતગમત માટેનું મેદાન પૂર્વ દિશા ઉત્તર દિશા અને ઈશાન ખૂણામાં બનાવવું.
* સ્કૂલ-કોલેજના કેમ્પસની અંદર દક્ષિણ અને પશ્ર્ચિમ દિશામાં વધારે ઊંચાઈ ધરાવતાં વૃક્ષો જેવા કે આસોપાલવ કે લીમડો વાવવા.
* ભણતી વખતે વિદ્યાર્થીઓ કઈ દિશામાં મુખ રાખીને અભ્યાસ કરી રહ્યા છે તેનો ખાસ્સો પ્રભાવ તેની ગ્રહણ શક્તિ પર પડશે તેથી બ્લેક બોર્ડની દિશા ખૂબ કાળજીપૂર્વક નક્કી કરવી. ભણતી વખતે વિદ્યાર્થીઓના પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ હોય તે રીતે બેન્ચની ગોઠવણી કરવી.
* હવેના સમયમાં વિદ્યાર્થીઓને કોલેજ અંગેની સંપૂર્ણ માહિતી સરળતાથી મળી શકે તે માટે માર્કેટિંગ ટીમની નિમણુંક કરવામાં આવે છે. કોલેજની અંદર તેમની બેઠક વ્યવસ્થા બિલ્ડિંગના ઉત્તર પશ્ર્ચિમ એટલે કે નોર્થ વેસ્ટ ખૂણામાં કરવી જોઈએ.
* દરેક ક્લાસરૂમની અંદર મોટી બારીઓ પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં ગોઠવી શકાય તો તેને ખાસ પ્રાધાન્યતા આપવી.
* ઘણી આખા દિવસ ચાલતી ડે સ્કૂલની અંદર બાળકો માટે ભોજનની વ્યવસ્થા સ્કૂલ દ્વારા કરવામાં આવતી હોય છે, તે લોકોએ રસોઈ ઘર પૂર્વ અને દક્ષિણ વચ્ચેના અગ્નિ ખૂણામાં બનાવવું.
* બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા સ્કૂલના ઈશાન કોણ કે પૂર્વ દિશામાં કરવી.
* સ્કૂલની અંદર અંડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક પૂર્વ કે ઉત્તર દિશામાં બનાવી શકાય.
* સ્કૂલની અંદર સ્વાભાવિકપણે બાળકોની સંખ્યા વધારે હોવાથી પાણીની જરૂરિયાત દિવસ દરમિયાન રહેતી હોય છે. સ્કૂલની અંદર ઓવરહેડ વોટર ટેન્ક બિલ્ડિંગની ઉપર નૈઋત્ય ખૂણામાં (સાઉથ વેસ્ટ કોર્નર)માં કરવી.
* સ્કૂલની અંદર ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ કે ટોપ મેનેજમેન્ટના લોકોએ બિલ્ડિંગના પશ્ર્ચિમ દક્ષિણ કે નૈઋત્ય ખૂણામાં પોતાની બેઠક રાખવી.
* સ્કૂલની અંદર મુખ્ય બિલ્ડિંગ એવી રીતે બનાવી શકાય કે જેમાં બ્રહ્મસ્થાન ખુલ્લું હોય તથા સૂર્યનો પ્રકાશ બ્રહ્મસ્થાનમાંથી બધા જ વર્ગોમાં મળી શકતો હોય તો તે ઉત્તમ રહેશે.
* વિદ્યાર્થીઓ માટેના ટોયલેક બ્લોક વાયવ્ય, પશ્ર્ચિમ કે દક્ષિણ દિશામાં બનાવવા જોઈએ.
* શાળાનું બિલ્ડિંગનું બાંધકામ પશ્ર્ચિમ, નૈઋત્ય અને દક્ષિણ દિશામાં કરવું જોઈએ.
* પુસ્તકાલય એટલે કે લાઈબ્રેરી વગરની શાળા કે કોલેજની આપણે કલ્પના પણ ન કરી શકીએ. બાળકોના જ્ઞાન માટેનું તે મુખ્ય સ્તોત્ર છે. વાંચન માટેની બેઠક વ્યવસ્થા પૂર્વ ઈશાન અને ઉત્તર દિશામાં હોવી જોઈએ. જ્યારે પુસ્તકાલયની અંદર પુસ્તકોના કબાટ દક્ષિણ દિશામાં અને પશ્ર્ચિમ દિશામાં રાખવા જોઈએ.
* દરેક ક્લાસરૂમની લંબાઈ તથા પહોળાઈ કેટલી રાખવી, તે અંગે વાસ્તુમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે. એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે લંબાઈ અને પહોળાઈનો રેશિયો 1:2થી વધારે ન હોય. ક્લાસરૂમનો આકાર લંબચોરસ રહે તેનું ધ્યાન રાખવું.
* વિદ્યાર્થીઓની બેઠકની ઉપર બીમ ન આવે તેની ખાસ કાળજી રાખો.
વાસ્તુની આટલી બાબતો શિક્ષણ સંકુલમાં ઊર્જાનો અદ્ભુત સંચાર કરી બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે. ફરી મળીએ આવતાં શનિવારે નવા કોઈ વિષય સાથે….
રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.