– ભવ્ય રાવલ
ગુજરાતી અખબારો-પત્રોમાં અવસાન નોંધ કે મરણ નોંધ ઘણા દસકોથી છપાતી આવે છે. ગુજરાતી અખબારો-પત્રોમાં પ્રકાશિત થતી મરનારની નોંધને મરણ નોંધ કહેવાય છે. અવસાન પામનાર વ્યક્તિની અખબારમાં છપાતી નોંધ એટલે અવસાન નોંધ. મોટેભાગે તે અખબારો-પત્રોના દૃતીય અથવા તૃતીય પાનાં પર પ્રકાશિત કરવામાં આવે છે. ગુજરાતી અખબારો-પત્રોમાં છપાતી અવસાન નોંધ, મરણ નોંધ, શ્રદ્ધાંજલિમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ, તારીખ, તિથી, ઉઠમણા, બેસણાની માહિતી અને પરિવારના સભ્યોની વિગત હોય છે. શ્રદ્ધાંજલિમાં ક્યારેક શોક સંદેશ કે શાયરી પણ હોય છે. અને હા, ન માત્ર માણસ પરંતુ ક્યારેક પરિવારના અભિન્ન અંગ બની ગયેલા પાલતું પ્રાણીઓની પણ શ્રદ્ધાંજલિ અખબારમાં જોવા મળતી હોય છે અને એના પણ ઉઠમણાં – બેસણા થતા હોય છે.
- Advertisement -
ગુજરાતી અખબારોમાં હિંદુ, મુસ્લિમ, પારસી, જૈન પરિવારો દ્વારા અપાતી અવસાન નોંધ, મરણ નોંધ અને શ્રદ્ધાંજલિ જોઈ શકાય છે. તેને શોક સંદેશ પણ કહી શકાય. ગુજરાતી અખબારોમાં મોટાભાગે હિંદુઓની અવસાન નોંધ અને શ્રદ્ધાંજલિ આવતી હોય છે. પારસીઓ અને મુસ્લિમોમાં અવસાન નોંધ અને શ્રદ્ધાંજલિ આપવાનું ચલણ ઓછું છે. જોકે હવે સમય બદલાયો છે ત્યારે જેઓ દરરોજ મુંદ્રાથી લઈ મુંબઈ સુધીના ગુજરાતી અખબારોમાં નજર નાખતા હશે તેઓને અવારનવાર મુસ્લિમ, પારસી, જૈન, વ્હોરાની અવસાન નોંધ અથવા શ્રદ્ધાંજલિ પણ જોવા મળતી હશે. અવસાન નોંધ આપનાર અને લખનાર બંનેએ એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઘણી અવસાન નોંધમાં રાખેલ છે, થયેલ છે જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. રાખેલ છે, થયેલ છે જેવા શબ્દો સાચા નથી. અવસાન નોંધમાં લખાવા જોઈએ એ સાચા શબ્દો છે – થયું છે, રાખ્યું છે. આમ છતાં ઘણી અવસાન નોંધમાં થયેલ છે, રાખેલ છે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.
ગુજરાતી અખબારો જન્મની નોંધ છાપી આપતા નથી, મરણની નોંધ છાપી આપે છે. એ મુજબ પણ મરણ નોંધનું મહત્વ છે. જો કોઈ વ્યક્તિનું કુદરતી અવસાન થાય તો તે વ્યક્તિના પરિવાર-કુટુંબ તરફથી અખબારમાં અવસાન નોંધ આપવામાં આવે છે જેમાં અવસાન પામેલી વ્યક્તિ વિશે આપેલી નોંધ અખબાર દ્વારા લઈ લેવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિનું કુદરતી અવસાન થતું નથી તો અકસ્માતમાં મરનાર વ્યક્તિની નોંધ અખબારને વિવિધ સ્થાનો આપોઆપ આપી દેતા હોય છે, અથવા અખબારના ખબરપત્રીઓ એ ખુદ મેળવી લેતા હોય છે. આ રીતે પણ ઘણીવાર મરનારની નોંધ સમાચારસ્વરૂપે અખબારોમાં આવી જતી હોય છે. આ સાથે અન્ય એક ઉડીને આંખે વળગવા જેવી વાત છે, સામાન્ય માણસના મૃત્યુની નોંધ કરતા જાણીતા માણસના મૃત્યુની નોંધને અખબારમાં વધુ સ્થાન મળતું હોય છે. જેના અલગઅલગ ઘણા કારણો હોય શકે. આટલું જ નહીં પરંતુ..
ગુજરાતી પત્રકારત્વ સહિત સૌ કોઈએ અગાઉથી જ એ સ્વીકારી લીધું છે કે, મૃત્યુ પામનાર દરેક વ્યક્તિ સ્વર્ગમાં જ જાય છે. એ દેવલોક જ જાય છે, શ્રીજીચરણ જ હોય છે, કૈલાસવાસી જ થાય છે. અરિહંતશરણ જ પામે છે. અલ્લાહ પાકની રહમતમાં જ પહોંચે છે. ગમે તેવી સારી-ખરાબ વ્યક્તિ હોય મરનારની અવસાન નોંધ, શ્રદ્ધાંજલિમાં નામની આગળ સ્વ. જ લખાય છે. છપાય છે અને વંચાય છે. ગુજરાતી પત્રકારત્વ સહિતની દુનિયામાં મરનાર વ્યક્તિ નર્કમાં જતી નથી. જન્નત નશીન જ થાય છે. દોઝકમાં જતી નથી. અવસાન નોંધમાં સ્વ. સાથે તેના નામની આગળ ક્યારેક શ્રી/શ્રીમતી પણ વાચવા મળે અને ક્યારેક ગં.સ્વ. પણ. મરનારની નોંધમાં દરેક વ્યક્તિને આદર-સન્માન અપાઈ છે. ઊંચનીચના ભેદભાવ કે તેની કરમકુંડલી જોવામાં આવતી નથી. ગુજરાતી અખબારો અવસાન નોંધ નિ:શુલ્ક – મફત – વિનામૂલ્યે છાપી આપે છે પરંતુ ફોટોવાળી કે અન્ય શોક સંદેશ સાથેની વિસ્તૃત માહિતીવાળી શ્રદ્ધાંજલિના પૈસા વસૂલે છે. ક્યારેક એક આખા પાનાંની શ્રદ્ધાંજલિ અખબારમાં આવે છે. કોલમ – સેન્ટીમીટરના ભાવ મુજબ દરેક અખબારોમાં શ્રદ્ધાંજલિના ભાવ અલગ-અલગ હોય છે. મરનાર વ્યક્તિના બેસણા – ઉઠમણાની માહિતી આપતી અવસાન નોંધ – મરણ નોંધ કોઈપણ અખબાર એકવાર વિનામૂલ્યે પ્રસિદ્ધ કરી આપતું હોય છે પરંતુ ત્યારબાદ માસિક કે વાર્ષિક પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ પ્રસિદ્ધ કરવાના કોલમ – સેન્ટીમીટર મુજબ ભાવ ચૂકવવા પડે છે.
- Advertisement -
કેટલાંક ગુજરાતી અખબારોના જાહેરખબર વિભાગ સંબંધિત માર્કેટિંગ વિભાગના માણસો સ્મશાનમાંથી મરનારના સગા-સંબંધીઓનો સંર્પક મેળવી સવિનય જાહેરખબર સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવા જણાવે છે.
ગુજરાતી અખબારોમાં ક્યારેક જગ્યાનો અભાવ હોય અને અવસાન નોંધ વધુ પ્રમાણમાં હોય તો કેટલાંક સમાચારો અને જાહેરાતો કાઢીને પણ અવસાન નોંધને સ્થાન આપવામાં આવે છે. ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં આજ સુધી એવી કોઈ ઘટના બન્યાનું જાણ નથી કે મૃતકના પરિવાર તરફથી આપવામાં આવેલી અવસાન નોંધ અખબાર દ્વારા છાપી દેવામાં આવી ન હોય. ફક્ત ગુજરાતી પત્રકારત્વ જ નહીં પરંતુ ગુજરાતમાં વસતા અને ગુજરાત સાથે સંબંધ ધરાવતા દરેક વ્યક્તિ અવસાન નોંધની અગત્યતા અને અનિવાર્યતા સ્વીકારે છે. ક્યારેક વિદેશમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને અહીં ગુજરાતી અખબારમાં તેની અવસાન નોંધ પણ વાંચવે મળે. વળી, એ વાંચતાવાંચતા જ જાણ થાય કે આ તો આપણા સગા, સ્નેહી, સ્વજન છે અને આપણે એકાએક દુ:ખી થઈ જઈએ. નોંધનીય બાબત એ છે કે, દરેક વખતે ઓળખીતા, જાણીતા મૃતકની નોંધ વાંચી હૈયું એકાદ ધબકારો ચૂકી જાય એવું પણ હોતું નથી. ક્યારેક કોઈ મૃતકની નોંધ હાશકારો પણ આપી જતી હોય છે. ગુજરાતી અખબારોમાં દુ:ખદ અવસાન બહુ સામાન્ય શબ્દ છે. સ્વાભાવિક છે કે કોઈપણ વ્યક્તિનું અવસાન દુ:ખદ જ ગણાય આમ છતાં અમુક વ્યક્તિનું અવસાન એકલદોકલ વ્યક્તિ માટે આનંદદાયી પણ હોય શકે છે.
વધુ એક રસપ્રદ બાબત. ગુજરાતી પત્રકારત્વમાં દૈનિક અખબારોની સૌથી મોટી ખાસિયત અવસાન નોંધ છે. ગુજરાતી દૈનિકો અવસાન નોંધ વિના અધૂરા છે. આજે સમાચારો પ્રસિદ્ધ કરવાની બાબતમાં ડિજીટલ મીડિયા પ્રિન્ટ મીડિયાથી ઘણું આગળ છે પરંતુ અવસાન નોંધ પ્રસિદ્ધ કરવાની બાબતમાં પ્રિન્ટ મીડિયાનો હજુ પણ કોઈ વિકલ્પ નથી. અખબારમાં આવેલી અવસાનની નોંધ કે સમાચાર દસ્તાવેજીકરણ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થતા આવ્યા છે. શહેર કે ગામમાં વસતા સૌ કોઈને પરિવારની વ્યક્તિ અવસાન પામી છે તેની જાણકારી આપવા તથા ઉઠમણા – બેસણાની માહિતી પહોચાડવા પારિવારિક સભ્યો દ્વારા અખબારોમાં આપવામાં આવતી અને અખબારો દ્વારા પ્રસિદ્ધ થતી અવસાન નોંધ, મરણ નોંધ, શ્રદ્ધાંજલિ અતિ અગત્યની સાબિત થતી આવી છે. એવું ન કહેવાય કે, અખબારો વિનામૂમૂલ્યે અવસાન નોંધ છાપીને પોતાનો સમાજધર્મ – અખબારીધર્મ અદા કરે છે. ગુજરાતી દૈનિકો દરરોજ વિનામૂલ્યે અવસાન નોંધ પ્રસિદ્ધ કરી મરનારને શબ્દાંજલિ આપતા રહે છે એમ પણ કહી શકાય.
વધારો : ગુજરાતી, મુસ્લિમ અને પારસી અવસાન નોંધના નમૂના
દુ:ખદ અવસાન
મૂળ …. હાલ …. સ્વ.શ્રી. …. (ઉ.વ. ….) તેઓ …. ના પુત્ર, …. ના પતિ, …. અને …. ના પિતા તથા …. ના સસરા, …. ના નાના ભાઈ તથા …. ના જમાઈનું તા. …. ના રોજ દુ:ખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું / ઉઠમણું / પ્રાર્થનાસભા / શોકસભા તા. …. ને ….. વારના રોજ સવારે / સાંજે ….થી …. વાગ્યા દરમિયાન …. ખાતે રાખવામાં આવ્યું / આવી છે.
ખીરાઝે અકીદત
સલામ બાદ આમ મુસ્લિમ બિરાદરોને જાણ કરવામાં આવે છે કે અમારા દાદા …. (ઉ. વ. ….) જે …. ના પિતા અને …. ના ભાઈ તથા …. મામા તેમજ …. ના સગા અંગ્રેજી તારીખ …. ને …. વારના રોજ અલ્લાહ પાકની રહમતમાં પહોંચી ગયા છે. મરહુમની મગફેરત માટે તેમની જ્યારત અંગ્રેજી તારીખ …. ને …. વારના રોજ …. મુકામે રાખવામાં આવી છે.
પારસી મરણ નોંધ
…. તે …. ના ખાવિંદ. તે …. ના દીકરા, તે …. ના ભાઈ, તે …. અને …. ના બાવાજી, તે …. ના અંકલ, તે મરહુમ …. તેમજ …. ના બ્રધર-ઈન-લોનું (ઉ.વ. ….) રે. ઠે. …. ઉઠામણાની ક્રિયા તા. : …. ના રોજે બપોરે …. કલાકે …. માં થશેજી.
ગુજરાતી અખબારોમાં ક્યારેક જગ્યાનો અભાવ હોય અને અવસાન નોંધ વધુ પ્રમાણમાં હોય તો કેટલાંક સમાચારો અને જાહેરાતો કાઢીને પણ અવસાન નોંધને સ્થાન આપવામાં આવે છે, ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં આજ સુધી એવી કોઈ ઘટના બન્યાનું જાણ નથી કે મૃતકના પરિવાર તરફથી આપવામાં આવેલી અવસાન નોંધ અખબાર દ્વારા છાપી દેવામાં આવી ન હોય, ફક્ત ગુજરાતી પત્રકારત્વ જ નહીં પરંતુ ગુજરાતમાં વસતા અને ગુજરાત સાથે સંબંધ ધરાવતા દરેક વ્યક્તિ અવસાન નોંધની અગત્યતા અને અનિવાર્યતા સ્વીકારે છે.


