આરોગ્ય સંરક્ષણનું પ્રાચીન કાળથી પ્રચલિત ઉત્તમ ઔષધ લીમડો
ભૂલોકનાં કલ્પવૃક્ષ તરીકે લીમડો જન-આરોગ્યનું ઉમદા વૃક્ષ છે. પ્રાચીન કાળમાં ધાર્મિક માન્યતાઓ સાથે સાંકળીને ચૈત્રમાસમાં લીમડાનું સેવન કરાવવામાં આવતું, તેવું કહેવાય છે.
- Advertisement -
આરોગ્યની દ્રષ્ટિએ લીમડાનું સેવન
ચૈત્ર માસમાં પ્રારંભે જ ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાની પણ શરૂઆત થાય છે. ઉનાળાની ગરમીથી પેટના અનેક રોગો જેવા કે અર્જીણ, મરડો, કોલેરા, ટાઈફોડ વગેરે તથા પિત્તપ્રકોપથી લોહી વિકારના દર્દી ઉત્પન્ન થતા હોય છે. કડવો અને તુરો રસ પિતનું શોધન અને શમન કરનારો હોવાથી ચૈત્ર માસમાં લીમડાનું સેવન ઉપયોગી માનવામાં આવ્યું છે. ઉનાળામાં આરોગ્યની સાવચેતી રૂપે લીમડાનું મહત્વ સ્વીકારાયું છે.
લીમડાનું સહજ સેવન કરવાની પધ્ધતિ
લીમડો કડવો હોવાથી તેનું સેવન સહજ રીતે થઈ શકે તે માટે કેટલીક સરળ પદ્ધતિઓ છે. લીમડાનું સરબત, ચટણી બનાવીને તેનુ સરળતાથી રોવન થઈ શકે છે. લીમડાના ફુલ-કોર સહિત કૂણાં પાન ઘઉંને તેના સમાન વજને, મરી, હીંગ, સિંધવ, જીરૂ, અજમો મેળવીને ચટણી બનાવી શકાય છે. તે જ રીતે લીમડાનો રસ કાઢીને તેમાં સહેજ ખાંડ કે સાકર વગેરે મેળવીને સરબત બનાવી શકાય છે. ચૈત્રમાસમાં આ રીતે તેનું નિયમિત સેવન કરી શકાય. લીમડાનો રસ અડધાથી એક તોલા (5 થી 10 ગ્રામ) જેવુ નરણા કોઠે સવારે પીવો જોઈએ.
- Advertisement -
લીમડાના સેવનથી લાભ
ચૈત્ર માસમાં લીમડાના સેવનથી અનેક રોગો શાંત થાય છે, એવો શાસ્ત્રનો નિર્દેશ છે, કારણ કે લીમડો કફ પિતનાં રોગો મટાડનાર, લોહીનું શોધન કરનાર, પિતને શાંત કરીને ઠંડક આપનાર અને જંતુઘ્ન છે. ‘આયુર્વેદ શાસ્ત્રના મત પ્રમાણે લીમડો બધા રોગોને દૂર કરનાર તથા હરનાર છે, લીમડી માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડાના બધા અંગો દવા માટે ઉપયોગી છે. ચૈત્ર માસમાં અનુકૂળતા મુજબ લીમડાનું સેવન 15 કે 30 દિવસ સુધી કરી શકાય છે. લીમડાના સેવનથી શરીર સ્વસ્થ, નિરાળી રહે છે.
લીમડાનું વાવેતર
લીમડાનું વૃક્ષ ઘટાટોપ હોય છે અને શીતળ છાંયડો પણ આપે છે. ઘરના ફળીયામાં, મહોલ્લામાં, સીમમાં, માર્ગોની બાજુ પર, ખેતર-વાડીમાં, ફાર્મ હાઉસમાં કે ઔદ્યોગિક સંકુલોમાં લીમડાના વૃક્ષોનું વાવેતર વધુમાં વધુ કરી શકાય. આવી પર્યાવરણીય સુરક્ષા પણ વધે છે અને જાહેર આરોગ્ય માટે પણ લાભદાયી નીવડે છે. આથી આપણે સહુ વધુમાં વધુ લીમડાના વૃક્ષો વાવીએ, ઉછેરીને, જતન કરીએ અને અનુકૂળ જણાય તો તેનું ખાસ કરીને ચૈત્ર માસમાં રીવન કરીએ અને કરાવીએ.