ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
મહારાણા પ્રતાપ કૃષિ અને ટેકનોલોજી મહાવિદ્યાલય, ઉદયપુર, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, રાષ્ટ્રીય મગફળી સંશોધન સંસ્થા, આઈ.સી.એ.આર.-આઈ.આઈ.જી.આર. જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર કાર્યરત અખિલ ભારતીય મગફળી સંકલિત સંશોધન યોજના અંતર્ગત મહારાણા પ્રતાપ કૃષિ અને ટેકનોલોજી મહાવિદ્યાલય, ઉદયપુર ખાતે યોજાયેલી એન્યુઅલ ગ્રુપ મિટિંગ- 2025 માં જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્રને સતત બીજી વખત મગફળીના પાકમાં ઉત્કર્ષ પ્રજનન બીજ ઉત્પાદન કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના મેગાસીડ વિભાગને રાજ્યના અગત્યનો ખેતી પાક મગફળીમાં ગુણવત્તા સભર બીજ ઉત્પાદન બદલ, બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ બદલ કૃષિ સંશોધન સાથે સંકળાયેલ વૈજ્ઞાનિકશ્રીઓ અને તેમની ટીમને કુલપતિ ડો.વી.પી.ચોવટિયા, સંશોધન નિયામક ડો.એ.જી.પાનસુરીયા, સંશોધન વૈજ્ઞાનિક (મગફળી) ડો.આર.બી.માદારીયા, કૃષિ યુનિવર્સીટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જે.બી.પટેલ અને ડો.એન.ડી.ઢોલરીયાને તેઓએ કરેલ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સિદ્ધિ થકી રાષ્ટ્રીય કક્ષાએ જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યનું નામ કૃષિ ક્ષેત્રમાં ફરી એક વખત ઉજળું બન્યું છે.