બંને જિલ્લાના સવા બે લાખ ખેડુતને લાભ મળશે : પાક નુકસાની સામે કિસાનને 50,000ની 0% વ્યાજે લોન અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદ પડયો જ હતો પરંતુ અંતિમ દિવસોમાં પણ અસધારણ વરસાદ થતા ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાની થઇ હતી અને ખેડુતોના મોઢામાં આવેલો કોળિયો ખુંચવાઇ ગયાનું ચિત્ર સર્જાયુ હતું જેને પગલે ખેડુતોને રાહત આપવા માટે રાજકોટ જિલ્લા બેંક દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજકોટ-મોરબી જિલ્લાના અંદાજીત સવા બે લાખ ખેડુતોને વગર વ્યાજે 1000 કરોડની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડુતોને મદદરૂપ બનવા માટે આ મહત્વની પહેલ કરવામાં આવી છે. આ રાહત પેકેજથી બેંકને અંદાજીત 100 કરોડની આવક-નુકસાની થશે જે બેંક દ્વારા ભોગવવામાં આવશે.
- Advertisement -
સમગ્ર સૌરાષ્ટ્રમા તાજેતરમા પડેલ અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાયેલ હોય, હરહંમેશા ખેડુતોની પડખે ઉભી રહેતી રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તથા બેંકના તમામ ડિરેક્ટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડુતોની પડખે ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે.
બેંકના ચેરમેન જયેશ રાદડિયાયે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના કાર્યક્ષેત્રે રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે સવા બે લાખ જેટલા ખેડુતોને રૂા.1000 કરોડનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કરેલ છે. ખેડુતોને આ 0% વ્યાજે ધિરાણ કરવાથી જીલ્લા બેંકને અંદાજે રૂા.100 કરોડ જેટલી માતબર રકમનો બોજ પડશે જે બોજ જીલ્લા બેંક ઉઠાવશે.
ખેડૂતોને પુરી પાડવાની આ લોનની અંદાજીત કુલ રકમ રૂ.1000 કરોડ જેટલી થશે જેના ઉપર થનાર રૂ.100 કરોડ જેટલુ વ્યાજ બેંક વહન કરશે.
જેથી ખેડૂતોને રૂ.100 કરોડનો ફાયદો થશે. આમ ખેડૂતોની હર હમેંશ ચિંતા કરનાર વિઠલભાઈ રાદડિયાના પગલે ચાલી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા તેમની ટીમએ અસરગ્રસ્ત ખેડૂતો માટે તાકીદની 0% વ્યાજે લોનની જાહેરાત કરી રાજકોટ તથા મોરબી જીલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ સામે ખૂબ જ સહાય રૂપ બનેલ છે.



