આજે સવારે રાજકોટ સહિતના જિલ્લામાં ધાબડીયું વાતાવરણ: કાળઝાળ ગરમી બાદ આંક 2થી 3 ડિગ્રી નીચે ઉતર્યો: આજે પણ વરસાદની આગાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
- Advertisement -
હવામાન-વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં ગઈકાલથી ફરી હવામાન પલ્ટો સર્જાયો છે.અને ઠેર-ઠેર ઝડપી પવન સાથે કમોસમી વરસાદ પડતા લોકોને કાળઝાળ ગરમી માંથી રાહત મળી હતી ગઈકાલે અનેક સ્થળોએ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ ગયો હતો.અને મોટાભાગનાં સ્થળોએ 33 થી 41 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ભારે તાપ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજયના અમુક જિલ્લાઓમાં કમૌસમી વરસાદની આગાહી કરી હતી. જેને પગલે શનીવારે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો.
જિલ્લાની સરહદે આવેલા વિરમગામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેની અસર રૂપે જિલ્લામાં રવીવારે સવારે વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ. અને વિરમગામને અડીને આવેલા દસાડા તાલુકાના અમુક ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.જોકે, સવારે 10 કલાક પછી જિલ્લાભરમાં સુર્યનારાયણે ફરી આકાશમાંથી અગન વર્ષા શરૂ કરી દીધી હતી. હવામાન વિભાગ દ્વારા આજે તા. 5 મેના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમૌસમી વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. જેમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની શકયતા વર્ણવાઈ છે.
બીજી તરફ વરસાદને લીધે ઉનાળુ તલના પાકને નુકશાન થવાની શકયતાથી ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. જયારે સમગ્ર સોરઠમાં હવામાન વિભાગ ની આગાહી ને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે અને અસહ્ય ગરમી અને ધાબડીયુ વાતાવરણ હાલમાં જોવા મળે છે ત્યારે શું અહિં પણ વરસાદી માહોલ જોવા મળશે ખરો કે શું ? તેવી ભિતી ખેડૂતો સેવી રહ્યા છે તો બીજી તરફ ગયકાલે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં માવઠારૂપી વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગ ધ્વારા પાંચ અને છ તારિખે જૂનાગઢમાં પણ માવઠારૂપી વાતાવરણ સજોય તેવી સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે આજે વહેલી સવારે થી વાતાવરણ ધાબડીયુ જોવા મળી રહીયુ છે અને અસહ્ય ગરમી અને ઉકળાટ અત્યારે જોવા મળે છે ત્યારે દિવસ દરમિયાન શું થશે તે જોવું રહ્યું છે. તથા જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી તા.7 સુધી વરસાદી આગાહી વચ્ચે મહતમ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે લઘુતમ તાપમાન 27.8 ડિગ્રી રહ્યું હતી.તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા રહેતા ગરમી અને બાફનું જોર વધ્યું હતું.જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 12.8 કિમિ પહોંચી હતી.



