એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી. પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખૂબ રાખતો. બીજા નંબરની રાણી બહુ રૂપાળી હતી, આથી રાજા જ્યારે બહાર કોઈ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય; ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે. ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછું બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઈ બાબત પર નિર્ણય લેવાનો હોઈ કે કોઈ મૂંઝવણ હોય; ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ મેળવે. ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય અને એ પણ સામેથી રાજા ક્યારેય મળવા ન જાય. જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો હાય હેલ્લો થાય. રાજા જ્યારે મરણપથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતી કરી. પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી. બીજી રાણી તો એથી એક ડગલું આગળ હતી. એણે તો એવું જ કહ્યું કે, સાથે આવવાની ક્યાં વાત કરો છો. હું તો તમારી વિદાય થતા તુરંત જ બીજા લગ્ન કરી લઈશ. ત્રીજી રાણીએ કહ્યું કે, મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે, પણ હું સાથે નહીં આવી શકું. રાજાને ચોથી રાણી પાસેથી તો કોઈ અપેક્ષા હતી જ નહીં. પણ ચોથી રાણીએ સામેથી કહ્યું કે, તમે મને ના પાડશો તો પણ હું તમારી સાથે આવીશ જ, કારણ કે તમે મને પરણ્યા છો કે કેમ એ ખબર નથી; પણ હું તો તમને પરણી જ છું. મિત્રો, આપણે બધાં પણ આ ચાર રાણીને પરણ્યા છીએ. પ્રથમ રાણી તે આપણું શરીર, જેને આપણે ખૂબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. બીજી રાણી તે આપણી સંપત્તિ અને પદ, જેને બહાર બીજાને દેખાડવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ. આપણી વિદાયની ક્ષણે જ એ સંપત્તિ અને પદ બીજાના થઈ જાય છે. ત્રીજી રાણી તે આપણો પરિવાર જે દરવાજા સુધી સાથે હશે. અને ચોથી રાણી તે આપણો અંતરાત્મા જે સતત આપણી સાથે રહેશે. આ અંતરાત્મા જેટલો ઊજળો હશે, જીવન એટલું જ મંગલમય બનશે. હા, એ પણ યાદ રાખજો કે એક પૂજારી, મૌલવી કે પાદરીનો અંતરાત્મા પણ કાળો હોઈ શકે અને એક વેશ્યાનો અંતરાત્મા પણ અત્યંત ઊજળો હોઈ શકે.
મેં અનેકનાં ઉપદેશ લીધા છે, અનેકની સલાહ સાંભળી છે, પણ મારા આ પ્રભાવશાળી સફેદ વાળ જેટલો ઉપદેશ કોઈનો સાંભળ્યો નથી કે અંતરાત્માના અવાજ જેટલી અસરકારક સલાહ કોઈની નથી સાંભળી
– અરબી કહેવત



