ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસું જામી ગયું હોવા છતાં મોરબી જીલ્લામાં હજુ વાવણી લાયક વરસાદ ન થવાના કારણે અનેક ખેડૂતોની હાલત કફોડી બનતા મોરબી જિલ્લાના ખેડૂતો તેમજ અલગ અલગ સંગઠનના આગેવાનો દ્વારા રાજ્યમંત્રી મેરજાને તેમજ રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોની સિંચાઈ માટે પાણીની માંગણીને ધ્યાને લઈ અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી સરદાર સરોવર નર્મદા નિગમના મુખ્ય ઇજનેર, મેનેજિંગ ડિરેક્ટર, ચેરમેન, જળ સંપત્તિ મંત્રી, નર્મદા રાજ્યમંત્રી તેમજ મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્ત કરી હતી જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબી, માળીયા તેમજ ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા હુકમ કર્યો છે. મુખ્યમંત્રીએ નર્મદાના નીરને આ ત્રણેય બ્રાન્ચ કેનાલમાં છોડવા હુકમ કર્યો છે જે અંતર્ગત માળીયા બ્રાન્ચ કેનાલમાં 800 ક્યુસેક પાણી, ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં 1000 ક્યુસેક પાણી તેમજ મોરબી બ્રાન્ચ કેનાલમાં 1200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
અષાઢી બીજનો વરસાદ હજી મન મૂકીને વરસ્યો નથી તે પહેલા જ ખેડૂતોને આવડા મોટા ઉપહારનો વરસાદ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સરકાર પાસેથી અપાવ્યો છે. રાજ્યમંત્રી મેરજાએ ખેડુતોની આ લાગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નર્મદા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, જળ સંપત્તિ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વગેરે સમક્ષ ભારપૂર્વક રજૂ કરી હતી. આ કાર્ય સફળ બનાવવા સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા અને વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરિયા, સહકારી અગણી મગનભાઈ વડાવિયા, પૂર્વમંત્રી જયંતિભાઈ કાવડિયા, દુર્લભજીભાઈ દેથરિયાએ પણ જહેમત ઉઠાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના આ નિર્ણયથી ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમણે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યક્ત કર્યો છે.