ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સમાં ભારે વિલંબ થતાં આજે સવારથી મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માત્ર આજની સવારની ફ્લાઇટ્સ જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મુસાફરો મંગળવારે 2 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યાથી જ એરપોર્ટ પર ફસાયેલા છે. ફ્લાઇટમાં સતત વિલંબ અને એરલાઇન તરફથી કોઈ સંતોષકારક સ્પષ્ટતા ન મળતા મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો, જેને પગલે એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકો અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ફસાયેલા મુસાફરો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. વધુમાં ઇન્ડિગોના માત્ર પાંચ જ કાઉન્ટર કાર્યરત હોવાથી એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ અને અંધાધૂંધી જોવા મળી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પરના ચેક-ઇન કાઉન્ટર પર લોકોના ટોળા વચ્ચે થઈ રહેલી દલીલ દર્શાવે છે. મુસાફરો ગુસ્સામાં આવીને ચોક્કસ ઉકેલની માંગણી કરી રહ્યા છે, જ્યારે કાઉન્ટર પરના અધિકારી વારંવાર માત્ર ‘પાંચ મિનિટ, પાંચ મિનિટ’ કહીને સમય પસાર કરી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ભૂતકાળમાં ઇથોપિયાના જ્વાળામુખીની રાખ અને શિયાળાના હવામાન ને કારણે ફ્લાઇટ્સ પર અસર પડી હતી, જેના પરિણામે વિલંબ અથવા રદ્દીકરણ થયું હતું. જોકે, વર્તમાન વિલંબનું મુખ્ય કારણ અલગ છે. એર બસ દ્વારા જારી કરાયેલી એડવાઇઝરીને પગલે ઇન્ડિગો એરલાઇન તેના અ320 એરક્રાફ્ટના કાફલામાં અપગ્રેડેશન કરી રહી છે. આ અપડેટ સોલર રેડીએશનથી ફ્લાઇટ કંટ્રોલને થતું નુકસાન અટકાવવા માટે અત્યંત જરૂરી છે. આ તકનીકી અપગ્રેડેશનને કારણે ફ્લાઇટ્સ મોડી પડી રહી છે, પરંતુ એરપોર્ટ પર જોવા મળી રહેલા આ દ્રશ્ર્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે ઇન્ડિગો એરલાઇન દ્વારા મુસાફરો માટે કોઈ ખાસ વ્યવસ્થા કે યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી રહી નથી, જેના કારણે મુસાફરોનો રોષ વધી રહ્યો છે.
બીજી તરફ, અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી રહેલા દ્રશ્ર્યો અને સૂત્રોની માહિતી અનુસાર, ઇન્ડિગો એરલાઇન્સના કાઉન્ટર પર ઉભેલા લગભગ 500 જેટલા મુસાફરો માટે કાઉન્ટર નંબર 32 થી 37 (કુલ છ કાઉન્ટર) જ કાર્યરત જોવા મળી રહ્યા છે. મુસાફરોની આટલી મોટી સંખ્યા સામે ઓછા કાઉન્ટર કાર્યરત હોવાથી એરપોર્ટના કાઉન્ટર વિભાગમાં ભારે ભીડ અને અવ્યવસ્થાના દ્રશ્ર્યો સર્જાયા છે.



