રાજકોટ શહેરના 30,000થી વધુ કડવા પાટીદાર પરિવારોનું જ્ઞાતિ સમૂહભોજન
ઈશ્ર્વરીયા ખાતે ત્રિવેણી સમારોહમાં પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞ: ભૂમિ દાન આપનાર દાતાઓ યજમાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પરિશ્રમ, સાહસ અને પ્રામાણિકતાનો સરવાળો કરી ભાગ્યરેખા બદલનાર સૌરાષ્ટ્રના કડવા પાટીદારો આજે દરેક ક્ષેત્રમાં અગ્રેસર બન્યા છે. પાટીદારો કુળદેવી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા પણ ધાર્મિક ઉત્સવોને સમાજ વિકાસ સાથે જોડી એક નવતર અભિગમ દ્વારા સામાજિક, શૈક્ષણિક અને સંગઠનની કેડી કંડારાય છે. 21મી સદી જ્ઞાનની સદી તરીકે ઓળખાય છે ત્યારે ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ શૈક્ષણિક ક્ષેત્રે નવી દિશા તરફ આગળ ધપી રહેલા પાટીદાર સમાજે રાજકોટની ભાગોળે ઈશ્ર્વરીયા ખાતે 32 વિઘા જમીનમાં 125 કરોડના શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત ‘જીવન વિદ્યાપીઠ’નું આગામી તા. 26 ને રામનવમીના રોજ ભૂમિપૂજન થશે. તા. 21થી 25 માર્ચ દરમિયાન ઈશ્ર્વરીયા ખાતે ત્રિવેણી સમારોહનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞ, રાજકોટમાં વસતા સમગ્ર કડવા પાટીદારોનું જ્ઞાતિ સમૂહભોજન, ધર્મસભા દાતા સન્માન, મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ત્રિવેણી સમારોહમાં ભાગ લેવા સમગ્ર પાટીદારોને આમંત્રણ આપવાના હેતુસર તાજેતરમાં મા ઉમિયાના ભવ્ય ઉમારથનું રાજકોટના વોર્ડવાઈઝ વિસ્તારોમાં રથયાત્રાનું પરિભ્રમણ દરમિયાન કડવા પાટીદારો સહિત અન્ય સમાજના લોકોએ પણ ઉમારથનું ઉમળકાભેર ભવ્ય દિવ્ય સ્વાગત કર્યું હતું. રાજકોટના આંગણે આ અનેરા અવસરના વધામણા કરવા પાટીદાર સમાજમાં
થનગનાટ જોવા મળી રહ્યો છે.
પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞ: ભૂમિદાન આપનાર દાતા પરિવારો યજમાન
રાજકોટથી 13. કિ.મી. દૂર આવેલા ઈશ્ર્વરીયા ખાતે ઉમિયા માતાજી મંદિર દ્વારા 32 વિઘા જમીનમાં નિર્માણાધિન જીવન વિદ્યાપીઠના ભૂમિપૂજન પ્રસંગે તા. 21થી 25 માર્ચ ત્રિવેણી સમારોહમાં પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઈશ્ર્વરીયાના શૈક્ષણિક પ્રોજેક્ટમાં ભૂમિદાન આપનાર દાતા પરિવારો આ મહાયજ્ઞમાં યજમાન બનશે. ત્રિવેણી સમારોહમાં બપોરે 1થી 5 દરમિયાન મહાયજ્ઞ દર્શન તેમજ પ્રદક્ષિણાનો લાભ દર્શનાર્થીઓ લઈ શકશે. શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચારના આધ્યાત્મિક અલૌકિક વાતાવરણમાં મહાયજ્ઞમાં યજમાન પરિવારો દ્વારા સરસ્વતી પૂજન, યજ્ઞ આહુતિઓ અપાશે. ઈશ્ર્વરીયા શૈક્ષણિક પ્રોજેક્ટના મુખ્ય દાતા જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી પરિવાર મુખ્ય યજમાનનો લ્હાવો લેશે.
532 વિઘા જમીનમાં સવાસો કરોડના ખર્ચે નિર્માણાધિન જીવન વિદ્યાપીઠ- રાજકોટનું ભૂમિપૂજન થશે
ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા, મંત્રી જયેશભાઈ પટેલે જણાવ્યું છે કે સિદસર ખાતે રજત જયંતી મહોત્સવ વેળાએ શરૂ કરવામાં આવેલી ઉમિયા સમૃદ્ધિ યોજના-2 અંતર્ગત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે ભવ્ય શૈક્ષણિક સંકુલ બનાવવાની કરાયેલી જાહેરાત ચરિતાર્થ થતી નજરે પડે છે. ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ રાજકોટની ભાગોળે ઈશ્ર્વરીયા ખાતે 32 વિઘા જમીન પ્રાપ્ત કરવામાં આવી છે. આ વિશાળ જગ્યામાં પાટીદાર સમાજની ભાવી પેઢીના ઘડતરનો પાયો નાખવા માટે સરસ્વતી ધામ ‘જીવન વિદ્યાપીઠ’ રાજકોટનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે. આ વિદ્યા સુકંલમાં મુખ્ય દાતા તરીકે જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો છે. રાજકોટના ત્રીજા રીંગ રોડ પર 32 વિઘા જમીનમાં આ અદ્યતન શૈક્ષણિક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. 125 કરોડના ખર્ચે નિર્માણાધિન જીવન વિદ્યાપીઠમાં પ્રથમ તબક્કામાં કડવા પાટીદાર 500 જેટલા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સરસ્વતી ધામ એવા જીવન વિદ્યાપીઠ- રાજકોટમાં સ્પર્ધાત્મતક પરીક્ષાઓની તૈયારી માટે વિશેષ સંકુલ, આઈ.એ.એસ., યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી., આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ. માટેની તૈયારીઓ, હાઈસ્કૂલ કક્ષાએથી જ આઈ.એ.એસ., આઈ.પી.એસ. વર્ગ 1-2 અધિકારીઓ માટેની તૈયારીઓ કરવા વિદ્યાર્થીઓને સજજ કરાશે. સમાજના આર્થિક જરૂરિયાતમંદ હોશીયાર વિદ્યાર્થી માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરાશે. સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ગ્રુપ જેવી તમામ બાબતો પણ ચોકસાઈસભર કામ કરી વિકાસઉન્મુખ પરિણામો લાવશે અને ખરા અર્થમાં ઉમિયાની આરાધના થકી સરસ્વતીની સાધના કરવામાં આવશે. ઈશ્ર્વરીયા શૈક્ષણિક પ્રોજેક્ટ ઉપરાંત ગુજરાતના એજ્યુકેશનનું હબ ગણાતા અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર 11400 ચો.મા. મોકાનું ઉમા હોસ્ટેલ સંકુલનું નિર્માણ થનાર છે. આશરે 125 કરોડના ખર્ચે નિર્માણાધિન આ પ્રોજેક્ટમાં પાટીદાર યુવક-યુવતીઓ માટે સુવિધાયુક્ત હોસ્ટેલ બિલ્ડિંગ બનશે. જેના 100 મીટરના અંતરે મેટ્રો રેલવે સ્ટેશન, મેટ્રો કનેક્ટિવિટી, ગીફટ સિટીથી નજીક નોલેજ કોરીડોર બનશે. જેમાં પ્રારંભિક તબક્કામાં 500 જેટલા દીકરા-દીકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે.
અમદાવાદ-ગાંધીનગરમાં 125 કરોડના ખર્ચે ઉમા હોસ્ટેલ સંકુલનું નિર્માણ કરાશે
ધર્મસભા, દાતા સન્માન, મા ઉમિયાની મહાઆરતી સહિત દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાઓ IAS, UPSC, GPSC ક્લાસ 1-2 ઑફિસરો સ્કીલ ડેવલોપમેન્ટ સહિતની તૈયારીઓ કરાવશે
18 માર્ચ બુધવારે રેસકોર્સથી શ્રીનાથધામ હવેલી સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા
ઈશ્ર્વરીયા ખાતે ત્રિવેણી સમારોહમાં યોજાનારા જ્ઞાતિ સમૂહભોજનના કાર્યક્રમ સમયે કડવા પાટીદારોના સમૂહ ભોજનના ભવ્ય ભૂતકાળની વિગતો જાણીએ તો રાજકોટમાં વર્ષો પહેલાં આવી વસવાટ કરનાર સત્યવિજય ગ્રુપના સ્થાપક નિન્દ્રોડા પરિવારના મોભી માવજીભાઈ જેરામભાઈએ નાતજમણની શરૂઆત કરી હતી. રાજકોટમાં કડવા પાટીદારોનું નાતજમણ 1959થી 1968 સુધી થયું હતું. ત્યાર બાદ 2014માં ઈશ્ર્વરીયા ખાતે રજત જયંતી મહોત્સવ સ્મૃતિદિનની ઉજવણીના ભાગરૂપે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા જ્ઞાતિ સમૂહભોજન યોજવામાં આવ્યું હતું. સવા દાયકા પછી આગામી તા. 21થી 25 માર્ચ દરમિયાન યોજાનાર ‘ત્રિવેણી સમારોહ’માં રાજકોટ વસતા પાટીદાર પરિવારોનું સમૂહ જ્ઞાતિભોજન યોજાશે. ઉમિયા ધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી તથા મંત્રી જયેશભાઈ પટેલે જણાવ્યું છે કે રાજકોટ શહેરના 30,000થી વધુ પરિવારો તેમજ સૌરાષ્ટ્રભરના રાજકીય, સામાજિક અને સંસ્થાકીય પાટીદાર અગ્રણીઓ, કાર્યકરો રાજકોટમાં સમૂહભોજન પ્રસાદ લેશે. આ સમૂહ ભોજન પાંચ તબક્કામાં યોજાશે. બપોરે 3થી સાંજે 8 કલાકે યોજાનારા આ જ્ઞાતિ સમૂહ ભોજનમાં પાંચ દિવસ દરમિયાન રાજકોટ શહેરના વોર્ડવાઈઝ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમાં તા. 21 ને શનિવારે વોર્ડ નં. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તા. 22 ને રવિવારે વોર્ડ નં. 9, તા. 23 ને સોમવારે વોર્ડ નં. 10, 13, 14, 15, 16, 17 અને 18, તા. 24 ને મંગળવારે વોર્ડ નંબર 11, તા. 25 ને બુધવારે વોર્ડ નંબર 12ના કડવા પાટીદારો મહાયજ્ઞ દર્શન સહિત સમૂહ ભોજનનો લ્હાવો લેશે. ઉપરોક્ત નક્કી કરેલ વિસ્તાર કે વોર્ડ સિવાયના પરિવારોને કોઈપણ દિવસે ભોજન પ્રસાદ લેવા આમંત્રણ પાઠવાયું છે. પાંચેય તબક્કામાં ભોજન પ્રસાદ એકસરખો રહેશે. રાજકોટ શહેરના સમૂહ ભોજનમાં સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના દાતાઓ, સામાજિક, રાજકીય, મહાનુભાવો પધારશે. મહોત્સવના આયોજન અને અમલીકરણ સમિતિના અધ્યક્ષ કૌશીકભાઈ રાબડીયા, ઉપાધ્યક્ષ હર્ષિતભાઈ કાવર, મંત્રી પ્રફુલભાઈ કાથરોટીયાના માર્ગદર્શન હેઠળ 40 જેટલી સમિતિઓમાં આશરે ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો ખડાપગે તૈનાત રહી સેવા આપશે. રાજકોટવાસીઓને સમારોહ સ્થળે જવા-આવવાની વ્યવસ્થાના ભાગરૂપે 100 જેટલી બસો વિવિધ વિસ્તારોમાંથી સમારોહ સ્થળ સુધી જશે.
કાલે જગતજનની મા ઉમિયાની રાજકોટના રાજમાર્ગો પર નગરયાત્રા: સર્વે સમાજ દ્વારા સ્વાગત થશે
જગતજનની મા ઉમિયાની રથયાત્રા રાજકોટ શહેરમાં વોર્ડવાઈઝ સાડા છ દિવસ પરિભ્રમણ કર્યા બાદ આવતીકાલે મા ઉમિયાના રથ તથા વિવિધ સામાજિક સંદેશા આપતા ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા રાજકોટના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. વિવિધ જ્ઞાતિઓ તથા વિવિધ સંસ્થાઓ આ શોભાયાત્રામાં રાષ્ટ્રીય, આરોગ્ય, કૃષિ, શિક્ષણ, જીવદયા, પર્યાવરણ, જળસંચય, ગ્રામ્ય સંસ્કૃતિ તથા ભારતીય સંસ્કૃતિ જેવા સંદેશા સાથે ટેબલો (ફ્લોટ્સ) સાથે જોડાશે તેમજ શોભાયાત્રામાં 40 જેટલા સ્વાગત પોઈન્ટ પર વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ તેમજ સંસ્થાઓ આ શોભાયાત્રાનું સ્વાગત કરી જગતજનની મા ઉમિયાના આશીર્વાદ મેળવશે. રાજકોટના રાજમાર્ગો પર જગતજનની મા ઉમિયા નંદીની સવારી પર રથમાં બિરાજમાન થઈને સૌને આશીર્વાદ આપવા નગરયાત્રા કરશે. આ શોભાયાત્રામાં પાટીદાર ભાઈ-બહેનો ઉપરાંત સર્વે સમાજના લોકો ઉત્સાહભેર જોડાશે. રાજકોટના રાજમાર્ગો પર તા. 18 માર્ચ ને બુધવારના રોજ જગતજનની મા ઉમિયા નંદીની સવારીએ રથમાં બિરાજમાન થઈ સૌને આશીર્વાદ આપવા નગરયાત્રા કરશે. આ શોભાયાત્રા રમેશ પારેખ રંગમંચ રેસકોર્સ ખાતેથી પ્રસ્થાન કરશે. ત્યાંથી બહુમાળી ભવન, સરદાર પટેલ સ્ટેચ્યુ, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, મહિલા કોલેજ સર્કલ, બાનલેબ ઓફીસ, અક્ષરમાર્ગ, અમીનમાર્ગ, 150 ફૂટ રીંગ રોડ, નાના મૌવા સર્કલ, નાના મૌવા મેઈન રોડ, ભીમનગર ચોક સર્કલ થઈ સ્પીડવેલ ચોક, શ્રીનાથધામ હવેલી ખાતે પૂર્ણાહુતિ થશે.
જગતજનની મા ઉમિયાની રથયાત્રા રાજકોટ શહેરમાં વોર્ડવાઈઝ સાડા છ દિવસ પરિભ્રમણ કર્યા બાદ આવતીકાલે મા ઉમિયાના રથ તથા વિવિધ સામાજિક સંદેશા આપતા ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા રાજકોટના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. વિવિધ જ્ઞાતિઓ તથા વિવિધ સંસ્થાઓ આ શોભાયાત્રામાં રાષ્ટ્રીય, આરોગ્ય, કૃષિ, શિક્ષણ, જીવદયા, પર્યાવરણ, જળસંચય, ગ્રામ્ય સંસ્કૃતિ તથા ભારતીય સંસ્કૃતિ જેવા સંદેશા સાથે ટેબલો (ફ્લોટ્સ) સાથે જોડાશે તેમજ શોભાયાત્રામાં 40 જેટલા સ્વાગત પોઈન્ટ પર વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ તેમજ સંસ્થાઓ આ શોભાયાત્રાનું સ્વાગત કરી જગતજનની મા ઉમિયાના આશીર્વાદ મેળવશે. રાજકોટના રાજમાર્ગો પર જગતજનની મા ઉમિયા નંદીની સવારી પર રથમાં બિરાજમાન થઈને સૌને આશીર્વાદ આપવા નગરયાત્રા કરશે. આ શોભાયાત્રામાં પાટીદાર ભાઈ-બહેનો ઉપરાંત સર્વે સમાજના લોકો ઉત્સાહભેર જોડાશે. રાજકોટના રાજમાર્ગો પર તા. 18 માર્ચ ને બુધવારના રોજ જગતજનની મા ઉમિયા નંદીની સવારીએ રથમાં બિરાજમાન થઈ સૌને આશીર્વાદ આપવા નગરયાત્રા કરશે. આ શોભાયાત્રા રમેશ પારેખ રંગમંચ રેસકોર્સ ખાતેથી પ્રસ્થાન કરશે. ત્યાંથી બહુમાળી ભવન, સરદાર પટેલ સ્ટેચ્યુ, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, મહિલા કોલેજ સર્કલ, બાનલેબ ઓફીસ, અક્ષરમાર્ગ, અમીનમાર્ગ, 150 ફૂટ રીંગ રોડ, નાના મૌવા સર્કલ, નાના મૌવા મેઈન રોડ, ભીમનગર ચોક સર્કલ થઈ સ્પીડવેલ ચોક, શ્રીનાથધામ હવેલી ખાતે પૂર્ણાહુતિ થશે.



