2 ઓગસ્ટના અંતમાં ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સોફટ લેન્ડીંગ કરશે: જુલાઈ મહિનામાં પૃથ્વી અને ચંદ્ર એકબીજાથી વધુ નજીક હોય છે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઈસરો ચાર વર્ષના અંતરાલ બાદ ફરી એકવાર આવતીકાલે શુક્રવારે ચંદ્ર પર ચંદ્રયાન મોકલવાના ત્રીજા મિશન માટે તૈયાર છે. આ મિશન અંતર્ગત 43.5 મીટર લાંબુ રોકેટ આવતીકાલે 14 જુલાઈએ બપોરે 2-35 વાગ્યે બીજા લોન્ચ પેડ પરથી પ્રક્ષેપિત કરવામાં આવશે. આજથી જ આ ચંદ્રયાન-3 મિશનની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે.
- Advertisement -
મંગળવારે જ પ્રક્ષેપણ રિહર્સલ પુરું કરી લેવાનું હતું. ઈસરો ચંદ્ર પર સોફટ લેન્ડીંગ કરાવવાના (સુરક્ષિત રીતે ઉતારવાનું) મિશનમાં જો સફળ થાય તો અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયેત સંઘ એટલે કે રશિયા બાદ આ યાદીમાં સામેલ થનારો ચોથો દેશ ભારત બની જશે. ચંદ્રની સપાટી પર સોફટ લેન્ડીંગ ઓગષ્ટના અંતમાં નિર્ધારિત છે. આ મિશન ભાવિ આંતરગ્રહીય મિશન માટે પણ સહાયક સાબીત થશે.
જુલાઈમાં પૃથ્વી અને ચંદ્ર એક બીજાથી વધુ નજીક હોય છે
જુલાઈ મહિનામાં ચંદ્રયાન-3 પ્રક્ષેપણ કરવાનું કારણ એ છે કે વર્ષમાં આ સમયે પૃથ્વી અને તેનો ઉપગ્રહ ચંદ્ર એકબીજાની ખૂબજ નજીક હોય છે. આ કારણે જ ચંદ્રયાન-3 મિશન માટે જુલાઈ મહીનો પસંદ કરાયો છે.