પેટ્રોલ, સૂકાં કાષ્ઠ, ભીના કાષ્ઠ અને કનિષ્ઠ
મનુષ્યો ચાર પ્રકારના હોય છે. જ્યાં સુધી સાત્ત્વિક અને આધ્યાત્મિક વિચારો સ્વીકારવાની વાત હોય ત્યારે એક પ્રકાર પેટ્રોલ જેવા મનુષ્યોનો હોય છે. પેટ્રોલ જેમ તરત જ આગ પકડી લે, તેવી રીતે આવા મનુષ્યો તરત જ સાત્ત્વિકતા અને અધ્યાત્મને ઝીલી લે છે.
મનુષ્યોનો બીજો પ્રકાર સૂકાં લાકડાં જેવો હોય છે. સૂકું કાષ્ઠ આગ પકડવામાં થોડીક વાર લગાડે છે, પણ પછી સળગે છે અવશ્ય. આવા મનુષ્યો થોડોક સમય જવા દીધા પછી અધ્યાત્મનો માર્ગ સ્વીકારે છે.
મનુષ્યોનો ત્રીજો પ્રકાર ભીના કાષ્ઠ જેવો હોય છે, ભીનું લાકડું જલદીથી સળગતું નથી, એમાં અગ્નિ મૂકીને સારી એવી વાર સુધી એને ફૂંકવું પડે છે. ધીમે ધીમે ધુમાડાનાં વાદળો છોડ્યાં પછી એવું લાકડું આગ પકડે છે.
મનુષ્યોનો કનિષ્ઠ પ્રકાર પથ્થર જેવો હોય છે. પથ્થરને તમે ગમે એટલી આગમાં ગમે એટલા સમય માટે નાખો, એ ગરમ જરૂર થશે પણ સળગશે નહીં. આ પ્રકારના મનુષ્યો ક્યારેય અધ્યાત્મનો માર્ગ અપનાવતા નથી. એ લોકો દુન્યવી ઉપલબ્ધિઓ, ધનની કમાણીમાં, ખાવા-પીવામાં, ફિલ્મો જોવામાં, મોંઘાદાટ વસ્ત્રો ધારણ કરવામાં અને હરવા ફરવામાં જ જીવનની ધન્યતા માનતા રહે છે. એમને એમનું જીવન મુબારક.