કાર્તિકોલોજી:કાર્તિક મહેતા
સમાજવાદી પક્ષના સાંસદ આર. કે. ચૌધરીએ સંસદ ગૃહમાં સ્પીકરની બાજુમાં મુકેલા સેનગોલ નામના રાજદંડ વિરુદ્ધ સૂર છેડ્યો છે. ચૌધરી કહે છે કે ‘ભારત એક લોકતાંત્રિક દેશ છે, અહીંયા ‘રાજા કા ડંડા’નું નહિ પણ બંધારણનું શાસન છે.
મા. સાંસદને વિશાળ વિસ્તારોમાં ફેલાયેલી સ્વતંત્ર ભારતના પૂર્વ પ્રતિનિધિઓની સમાધિઓ બાબતે વિરોધ કરવાનું કેમ સૂઝ્યું નહિં હોય? કેમ કે લોકશાહીમાં ટેક્નિકલી શાસક તો પ્રજા છે, પ્રતિનિધિઓની વિશાળ સમાધિઓનું લોકશાહીમાં કોઈ સ્થાન હોય ખરૂં?
સેનગોલ ઉપર પાછા આવીએ. સેનગોલ એક રાજદંડ છે. જે ચોલ શાસન સમયથી રાજાઓને ધર્મગુરુઓ દ્વારા એક વિશિષ્ટ વિધિ અનુસાર આપવામાં આવે છે. ભારત સ્વતંત્ર થયું ત્યારે આ સેનગોલ તત્કાલીન વડાપ્રધાન નહેરુને આપવામાં આવ્યો, જેને નહેરુએ એક મ્યુઝિયમમાં મોકલી આપ્યો.
નવા સંસદગૃહનું ઉદ્ઘાટન થયું ત્યારે વડાપ્રધાન મોદીજીએ આ રાજદંડને મ્યુઝિયમથી કઢાવીને, વિધિવત ગ્રહણ કરીને, નવા સંસદ ગૃહમાં અધ્યક્ષની બાજુમાં સ્થાપિત કર્યો.
પરંતુ આ એક રાજદંડ છે જેથી રાજાશાહીનું પ્રતીક છે અને રાજાશાહીનું પ્રતીક જોઈને સામ્યવાદી કે સમાજવાદી વિચારધારાવાળાને દુ:ખ ના થાય તો જ નવાઈ. (જો કે સમાજવાદી પક્ષમાં એક જ કુટુંબનું વર્ચસ્વ રહ્યું છે તે નોંધવું ઘટે.)
- Advertisement -
સામ્યવાદી વિચારધારા લોકશાહી અને સમાજવાદને સામ્યવાદ તરફ જવાના પ્રારંભિક પગલાં ગણાવે છે. સામ્યવાદ સત્તાના કેન્દ્રીકરણ વિરુદ્ધનો વાદ છે. સત્તાના ત્રણ કેન્દ્રો વિરુદ્ધ એમની જેહાદ ખુબ જૂની છે. એ ત્રણ સત્તાકેન્દ્રો એટલે રાજા, ધર્મગુરુ અને પેટ્રીયાર્ક/ પિતા. (રાજ્ય, ધર્મ અને કુટુંબના વડાઓ.)
લોકશાહી પ્રમાણમાં ખૂબ અર્વાચીન શાસન પદ્ધતિ છે. જગતના ઇતિહાસમાં હંમેશા રાજાઓ અને એની નજીકના વર્તુળના લોકો જ સમાજના એક મોટા ભાગ ઉપર શાસન કરતાં આવ્યા છે.
ભારતને વર્ણવાદ માટે ભાંડતા રહેતા ગોરાઓ આદિકાળથી ચાર વર્ણોમાં વિભાજીત સમાજમાં જીવતા આવ્યા છે જેને ફોર એસ્ટેટ કહેવાતા. રોમન કાળ અને એનાથી પણ પ્રાચીન આ ફોર એસ્ટેટ વ્યવસ્થા ભારતની ચાતુર્વર્ણ વ્યવસ્થા સાથે બહુ સામ્ય ધરાવે છે. આ ચાર વિભાગોમાં પ્રથમ વિભાગ: કલર્જી. એ સત્તાધીશ અને ધર્મગુરુઓનો રહેતો જે સહુથી ઊંચી જાતિઓના લોકો કહેવાતા (ભારતમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય), પછી દ્વિતીય સ્તરે નોબેલ: ઉમદા કહેવાતા ઉમરાવો, જાગીરદારો અને વેપારીઓ આવતા (ભારતમાં વૈશ્યો), ત્રીજા સ્તરે કારીગરો, ખેડૂતો આવતા અને ચોથે સ્તરે ગરીબ, ગ્રામીણ એવો શોષિત વર્ગ આવતો જેની પરિસ્થિતિ હંમેશા દારુણ કરૂણ રહેતી. આ પરિસ્થિતિનો ચિતાર આપતું એક કાર્ટૂન-ચિત્ર લેખ સાથે મૂક્યું છે. (ભારતમાં જેમ એક વિશાળ વર્ગ વંચિત હતો જોકે એમને જમીનો રાખવાનો અધિકાર હતો, ગોરાઓ એમના શોષિત વર્ગને જમીનો પણ રાખવા નહોતા દેતા એવા રાક્ષસ હતા.)
આમ રાજાશાહી અને ચાતુર્વર્ણ વ્યવસ્થા જગતની તમામ સંસ્કૃતિઓમાં વ્યાપક અને પ્રભાવક લક્ષણ હતું. જેમાં શાસક અને એના નજીકના લોકો વિકાસ કરી લેતાં પણ
છેવાડાના લોકોનો વિકાસ કરવાનું વિસરી જતા.
સત્તાના આ કેન્દ્રીકરણ સામે સહુથી પહેલા ઈંગ્લેન્ડમાં વિરોધ થયેલો. આજના ડાબેરી કે વામપંથી વિચારધારાના પૂર્વસૂરિઓએ ઈંગ્લેન્ડમાં કેથોલિક રાજા જેમ્સ બીજાને પદભ્રષ્ટ કરીને સાંસદ (પાર્લામેન્ટ)ને રાજાથી ઉપર મૂકી અને લોકશાહીના બીજ રોપાયા. જોકે તે પૂર્ણ લોકશાહી નહોતી. ત્યારથી ઈંગ્લેન્ડમાં રાણીઓ પણ શાસક બનવા લાગી.
હવે વાઘ લોહી ચાખી ગયો હતો. ઈંગ્લેન્ડમાં અમુક ગુપ્ત સંગઠન અને ક્લબો દ્વારા આ રાજાને ઉથલાવવાની ‘ક્રાંતિ’ થઇ એ જ ઢબે સમયાંતરે બધે ક્રાંતિઓ થવાની હતી.
ફંડા સિમ્પલ હતો: યુદ્ધ અને મોંઘવારીથી કંટાળેલી બેહાલ પ્રજાને ઉશ્કેરો, માધ્યમો (લેખકો, પત્રકારો, કાર્ટૂનિસ્ટો, વિચારકો) દ્વારા પ્રજાને રાજા વિરુદ્ધ ઉકસાવો. ઉશ્કેરાયેલી પ્રજાની શક્તિને ચેનલાઈઝ કરીને રાજાને ઉથલાવી નાખો.
હાર્વર્ડની સંશોધક એરિકા ચેમવર્થનું સંશોધન કહે છે કે પ્રજાની વસ્તીનો માત્ર 3.5% ભાગ (સાડા ત્રણ ટકા) ભાગ રસ્તા ઉપર ઉતારીને અહિંસક આંદોલન પણ કરે તો એ આંદોલન સફળ થતાં કોઈ રોકી શકતું નથી.
ઇંગ્લેન્ડની ક્રાંતિ પછી ઘણા સમય બાદ થયેલ જાણીતી ક્રાંતિઓમાં ફ્રેન્ચ ક્રાંતિ, જર્મન ક્રાંતિ, રશિયન ક્રાંતિ અને અમેરિકન ક્રાંતિ મુખ્ય છે.
આ તમામ ક્રાંતિઓમાં પ્રજા મોંઘવારી અને યુદ્ધની પીડાઓથી દુ:ખી હતી. પરંતુ દરેક ક્રાંતિનું પરિણામ પણ એક જ આવ્યું : રાજાશાહીનો નાશ. અને લોકશાહી અથવા સામ્યવાદની સ્થાપના.
ફ્રેન્ચ રાજા લુઇ 16માં એ અનાજના ભાવો ઉપર સરકારી નિયંત્રણ દૂર કર્યા જેથી અનાજના ભાવ અતિ વધ્યા અને પ્રજા દુ:ખી થઇ અને રાજાશાહીનો લોહિયાળ અંત આવ્યો. જર્મન ક્રાંતિમાં પણ પ્રથમ વિશ્ર્વ યુદ્ધથી બેહાલ સૈનિકો અને કામદારોએ આંદોલન કર્યા અને રાજાશાહીને નષ્ટ કરી. રશિયન ક્રાંતિમાં પણ યુદ્ધને કારણે અનાજની કિંમતો વધવાથી ઉશ્કેરાયેલી પ્રજાએ પરોક્ષ રીતે સામ્યવાદીઓને સાથ આપીને રાજાશાહીનો અંત આણ્યો.
ભારતમાં રાજાઓને અંગ્રેજોએ પોતાની અમોઘ કૂટનીતિ દ્વારા ધીરે ધીરે સત્તાહિન કર્યા. અંગ્રેજોએ જ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી જે સમાજવાદી વિચાર ધરાવતો પક્ષ હતો. (કોંગ્રેસનું અમુક વલણ હવે સમજાય છે??) ગાંધી કહેતા કે એમનું સ્વપ્નાનું ભારત એક સમાજવાદી રાષ્ટ્ર હશે. છેવટે ભારતમાંથી પણ રાજાઓ અને રાજાશાહી ભૂતકાળ બની ગયા અને કોંગ્રેસ નામના સમાજવાદી વિચારધારાના પક્ષનું શાસન આવ્યું. કોંગ્રેસી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ રાજાઓના સાલિયાણાં પણ નાબૂદ કરી નાખ્યાં. કાયદો બનાવીને જમીનદારો પાસેથી જમીનો જપ્ત કરીને ખેતમજૂરો કે ગણોતિયા વર્ગને આપી. આ જમીનની વહેંચણી પણ એક સમાજવાદી વિચાર છે. બાકી જુના સમયમાં તમામ જમીન રાજાની કહેવાતી. યુરોપમાં તો રાજાઓ અને ઉમરાવો સિવાય કોઈને જમીન રાખવાની પરવાનગી નહોતી.
તો આમ, લોકશાહી એ રાજાશાહીથી વિરુદ્ધ -વિપરીત વિચાર છે. લોકશાહીની મુખ્ય સુંદરતા એનું સત્તાનું વિકેન્દ્રીકરણ છે. જેથી એક સામાન્ય સરપંચની સત્તાઓમાં દેશનો વડાપ્રધાન પણ હસ્તક્ષેપ કરી શકતો નથી.
લોકશાહી તમામને સરખી તક આપે છે. લોકશાહીમાં શાસક અને એના મળતિયાઓનો વિકાસ થાય છે પણ સાથે અન્યોને પણ વિકાસની તક પ્રાપ્ત થાય છે ખરી. એક નિર્ધન પરિવારનો માણસ નેતા કે અધિકારી કે ડોક્ટર બની શકે છે. સરકારનો વિરોધી પણ લોકશાહીમાં જીવતો રહી શકે છે. રાજાશાહીની જેમ એ રાજાના કોપનો ભોગ નથી બનતો.
જોકે લોકશાહી અને સમાજવાદ ઠંડા વિકસિત પ્રદેશોમાં સફળ રહ્યા છે. ભારત જેવા ગરમ પ્રદેશોમાં લોકશાહીના વસ્ત્રો ભ્રષ્ટાચાર, વોટ બેન્ક પોલિટિક્સ, રમખાણો, ખૂનામરકી, કોમી ધ્રુવીકરણ, આતંકવાદ જેવા ડાઘથી ખરડાયેલા છે. આથી સેનગોલ ભલે એક રાજાશાહીનું પ્રતીક હોય, તે ભારતમાં જરૂરી છે. ગરીબ કે વિકાસશીલ દેશોમાં રાજદંડ વિના સુચારુ શાસન અશક્ય છે.
- Advertisement -
ચિત્ર સાભાર : નેશનલ લાઇબ્રેરી ઓફ ફ્રાન્સ