મૃત્યુ પામેલા વ્યકિત હોસ્પિટલમાંથી ભાગી ગયાનું પરિવારને કહી દીધું
જેને મૃત જાહેર કર્યો હતા તે ઘરે પહોંચતા સ્ટાફની બેદરકારી સામે આવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોરબેદરકારીના કારણે બે પરિવારના સભ્યો હેરાન પરેશાન થઇ ગયા હતાં.સિવિલ હોસ્પિટલનાં સ્ટાફે મૃતકને ભાગી ગયેલા અને ભાગી ગયેલાને મૃતક જાહેર કરી દીધા હતાં.જેના કારણે બન્ને પરિવાર ખુજ હેરાન થયા હતાં. જૂનાગઢ સિવિલનાં સ્ટાફની બેદરકારી વારંવારે સામે આવતી રહે છે. પરંતુ કોઇ જ પગલા લેવામાં આવતા નથી.
રાજકોટમાં એક હોસ્પિટલમાં પણ તબીબની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હતો.જેમાં જેનું ઓપરેશન કરવાનું હતું,તેની જગ્યાએ અન્ય મહિલાનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું. તેમજ હોસ્પિટલમાં બેદરકારીનાં કારણે ઘણી વખત દર્દીઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે. અથવા કાયમી ખોટ રહી જતી હોય છે. આવા કિસ્સાઓ વારંવાર બનતા રહે છે. તેમજ જીવત વ્યકિતનાં પરિવારજનોએ અન્યનો મૃતદેહ આપી દેવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બન્યો છે. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢના દોલતપરામાં રહેતો અશોક જેઠાભાઇ કણસાગરા (ઉ.વ.45) ગત તા.24 ના રોજ એસીડ પી જવાથી તેને સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 502 માં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે જ વોર્ડમાં ઇવનગર ગામના તુલસીદાસ મણીલાલ નામના એક વ્યકિતને પણ દાખલ કરવામાં આવ્યા હતા. એક જ વોર્ડમાં બે દર્દી દાખલ હતા. જેમાં ગત તા.2 ના રોજ અશોકનું મોત નીપજતા ફરજ પરના સ્ટાફે તેના પીએમ માટે કાગળો કરીને મૃતદેહ પીએમ રૂમમાં મોકલી દીધો હતો. તેનું પીએમ પણ કરાવી નાખવામાં આવ્યું હતું અને મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખી દેવામાં આવ્યો હતો. પરંતુ અશોકના પરિવારજનો રવિવારે ખબર અંતર પૂછવા આવ્યા ત્યારે સ્ટાફે અશોક ભાગી ગયા હોવાનું કહ્યું હતું. તેના પરિવારજનો તેને શોધવા છેલ્લા ત્રણ દિવસથી આમતેમ ભટકતા હતા અને સિવિલ હોસ્પિટલનાં ધકકા ખાતા હતા. તો બીજી તરફ જે દર્દી ખરેખર ભાગી ગયેલા તે તુલસીદાસને સ્ટાફે મૃત્યૃ પામેલા હોવાનું જણાવી તેના પરિવારને ડેડબોડી લેવા આવવા કહી દીધું હતું. પરંતુ તે અરસામાં તે પોતાના ઘરે જીવિત પહોંચ્યો હતો, જેને કારણે સમગ્ર ઘટના સામે આવતા અંતે તપાસ કરતા જે વ્યકિત મૃત્યૃ પામેલ તે અશોક કણસાગરા હોવાનું અને જે વ્યકિત જીવિત હતો અને ભગી ગયેલ તે તુલસીદાસ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ સ્ટાફની આ બેદરકારીના કારણે હાલ આ બન્ને પરિવારજનોને રઝળપાટ કરવી પડી હોવાનું અને માનસિક તનાવ અનુભવતા હોવાનું સામે આવ્યું હતું, અશોકના બહેન હંસાબેને આ સઘળી હકીકત જણાવતા કહ્યું કે, તેનો ભાઇ મૃત્યૃ પામેલા હોવા છતાં તેને ભાગી ગયેલા બતાવીને સ્ટાફે મોટી ભૂલ કરી છે, તેની સામે પગલા લેવા જોઇએ.
સિવિલ તંત્ર દ્વારા તપાસનાં આદેશ અપાયા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં સ્ટાફની બેદરકારી સામે આવ્યાં બાદ ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડો. અતુલ કુબાવતે કહ્યું હતું કે, સ્ટાફથી ભુલ થઇ છે. આ અંગે તપાસનાં આદેશ આપવામાં આવ્યાં છે. તપાસ કમિટી તપાસ કરીને તેનો રીપોર્ટ રજુ કરશે.બાદ જવાબદાર સામે પગલે લેવામાં આવશે.
- Advertisement -
તાજેતરમાં જ ખોટો બાટલો ચડાવી દેવાની ઘટના પણ બની હતી
જૂનાગઢ સિવિલમાં સ્ટાફની બેદરકારી વારંવાર સામે આવતી રહે છે.તાજેતરમાં દર્દીને ખોટો બાટલો ચડાવી દીધો હતો. આ ઘટના બાદ સ્ટાફ સામે પગલે લેવામાં આવ્યાં હતાં.
ખાનગીમાં તો સહી લઇને કાંડા જ કાપી નાંખવામાં આવે છે
સરકારી હોસ્પિટલમાં બેદરકારીનાં કિસ્સાઓ સામે આવતા હોય છે.તેમજ ઘણી વખત કેટલીક ખાનગી હોસ્પિટલમાં પણ બેદરકારીનાં કિસ્સા સામે આવતા હોય છે.ખાનગી હોસ્પિટલમાં દર્દીનાં ઓપરેશન કે અન્ય સર્જરી પહેલા દર્દી અને તેના પરિવારજનોની સહિ લઇ લેવામાં આવે. આમ કરી પરિવારજનોનાં કાંઠા જ કાપી નાખવામાં આવે છે.