તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થથી હત્યા કરી મૃતદેહ પાણીમાં ફેંકી દીધો હોવાનું પ્રાથમિક તારણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના હરીપર રોડ નજીક આવેલી નાગાબાવાની વાવ તરીકે ઓળખાતા આશ્રમની પાછળ આવેલા અવાવરૂ વિસ્તારમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા મૃતદેહ નજરે પડતાં તાત્કાલિક ધ્રાંગધ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પીઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતદેહ આશરે 30 વર્ષીય યુવાનનો હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો તેમજ શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા અને બોથડ પદાર્થ વડે માર માર્યાની ગંભીર ઇજાઓ સ્પષ્ટ રીતે નજરે પડી હતી. ઉપરાંત મૃતકના હાથ બાંધેલા હોવાનું પણ સામે આવ્યું છે, જેના આધારે યુવાનની નિર્મમ હત્યા કરી બાદમાં લાશ પાણીમાં ફેંકી દેવાઈ હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ મૃતકની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગે ધ્રાંગધ્રા પોલીસ મથકના પીઆઈ એમ. યુ. મસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હાલ મૃતકની ઓળખ મેળવવાની તેમજ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દૃષ્ટિએ મૃતદેહ પર ગંભીર ઇજાઓ જોવા મળતાં હત્યાનો ગુનો હોવાનું જણાય છે, જોકે સંપૂર્ણ હકીકત તપાસ બાદ સ્પષ્ટ થશે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



