એરપોર્ટ પોલીસે ફાયર બ્રિગેડની મદદથી લાશ બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે ખસેડી
ડીએનએ લેવા માટે તજવીજ હાથ ધરી : મૃતકના વાલી વારસની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બેટી રામપર ગામની સીમમાં કુવામાંથી ચાર વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે એરપોર્ટ પોલીસને જાણ થતાં ફાયર બ્રિગેડની મદદથી લાશ બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે ખસેડી, ડીએનએ સેમ્પલ લેવાયા હતાં. હાલ પોલીસે વાલી વારસની શોધખોળ આદરી છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ રામપર-બેટી ગામમાં હાઈવે નજીક સીમમાં ખેડૂત જયેશભાઇ બાંભણીયાની વાડીમાં મૃત બાળકની લાશ તરતી હોવાનું સામે આવતાં તુરંત ખેડૂતે પોલીસને જાણ કરી હતી બનાવ અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ એસ.એસ.જાડેજા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડની મદદથી બાળકને બહાર કાઢી 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ના ઇએમટી બળદેવભાઈએ બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો જે બાદ પોલીસે બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડી ડીએનએ સેમ્પલ લઈ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં બાળકને અજાણ્યાં લોકો મૃત હાલતમાં અથવા જીવિત ફેંકી ગયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ સ્થાનિક લોકોની પૂછતાછ હાથ ધરી વાળી વારસની શોધખોળ આદરી છે.



