ખેતી કાર્યમાં બીજને વાવેતર કરતા અગાઉ પટ આપવો કેમ છે આવશ્યક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ પ્રાકૃતિક કૃષિ એ રસાયણ મુક્ત અથવા પરંપરાગત કૃષિ પદ્ધતિ છે જે જીવ વિવિધતા સાથે પાક વૃક્ષો અને પશુઓ સાથે કરવામાં આવતી કૃષિ પદ્ધતિ છે. પ્રાકૃતિક કૃષિ ને ઓછામાં ખર્ચની કુદરતી કૃષિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી. પોતાના ખેતરમાંથી પકવેલાં બિયારણનો જ ખેતી માટે ઉપયોગ કરવાનો છે. પાકને જરૂરી પોષણ વ્યવસ્થા ખેતરમાંથી ઉત્પાદન અનાજના અવશેષો, ગાયના છાણ-ગૌમૂત્ર, અળસિયાંની પ્રવૃત્તિને વેગવાન કરીને તથા લીલા પડવાશ દ્વારા જ કરવાનાં હોય છે. પ્રાકૃતિક કૃષિના જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્ર ખેતી/સહજીવી પાક પાંચ સ્થંભ છે. આ પાંચ સ્થંભમાનો બીજો સ્થંભ છે બીજામૃત. જેના થકી બીજની માવજતથી અંકુરણ વધુ સારી રીતે થાય છે અને બીજ અને જમીન જન્ય રોગોને અટકાવે છે. પરિણામે સ્વસ્થ (રોગ મુક્ત) અને ઉચ્ચ ગુણવતાયુક્ત ઉપજ પાકે છે.
- Advertisement -
બીજ સારવારના જુદા જુદા ફાયદાઓ થકી અંકુરિત થતા બીજ અને રોપાઓને જમીન અને બીજની જીવાતો અને રોગો સામે રક્ષણ આપે છે, અંકુરણ પ્રક્રિયામાં સુધારો કરે છે, અને અંકુરણની ટકાવારીમાં વધારો કરે છે. તે બીજની અંકુરણ શક્તિ વધારે છે જે કૃષિ અથવા ખેતીની પદ્ધતિઓમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે. સાથે પાક અથવા છોડની પ્રારંભિક સ્થિતિમાં વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ખાસ કરીને ઓછી ભેજવાળી અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પાકને પોષણ અને ભેજ આપવાનું કામ કરી ટકાવી રાખે છે. બીજામૃતનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં વાવણી પહેલા બીજને પટ આપવા માટે થાય છે. કોઈપણ પાકની વાવણી કરતા પહેલાં, બીજામૃત થી બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે. રાસાયણિક કૃષિ પદ્ધતિમાં પણ બીજની માવજત જંતુનાશકથી કરવામાં આવે છે. પરંતુ પ્રાકૃતિક કૃષિમાં બીજામૃતનો ઉપયોગ થાય છે.
બીજામૃત તૈયાર કરવા માટે 05 કિલો દેશી ગાયનું છાણ, 05 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 50 ગ્રામ પલાળેલો ચૂનો, 20 લીટર પાણી તથા 1 મુઠ્ઠી ઝાડ નીચેની માટી સહિત બધી જ વસ્તુને પાણીમાં ભેળવીને 24 કલાક સુધી રાખો. ત્યાર પછી આ બીજામૃત વડે 100 કિ.ગ્રા. બીજ માવજત કરો. ત્યાર બાદ બીજને છાયામાં સૂકવો અને સુકાઈ ગયા બાદ વાવણી કરો. આમ બીજામૃતને બીજ અમૃત તરીકે પણ ઓળખવામાં આવે છે.