મર્યાદામાં જ રહેવાનું, પહેલાં જે હતું એવું નથી કહી દેજો: કોર્પોરેટર લાલઘૂમ
નવો બનેલો રોડ પાણીની લાઇન માટે ખોદ્યોને ગેસની લાઇન ફાટી
200 ઘરોમાં ગેસનો ધુમાડો ફેલાઈ જતા સ્થાનિક લોકોમાં દોડધામ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
મર્યાદામાં જ રહેવાનું, મર્યાદા ચૂક્યા તો મારી મારીને તોડી નાખીશ, અહીં કોઈ નહિ આવે આડુ, આ શબ્દ છે જૂનાગઢ મહાનગર પાલિકા વોર્ડ નંબર 7 નવનિયુક્ત નગર સેવક જયેશભાઈ (મુન્નાભાઈ) બોધરાના જેનો જૂનાગઢના ભૂગર્ભ ગટરના કામને લઈને એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. જેમાં મર્યાદામાં જ રહેવાનું મર્યાદા ચૂક્યા તો મારી મારીને તોડી નાખીશ. અહીં કોઈ નહિ આવે આડુ આવું. જૂનાગઢ મહાનગર પાલિકા વોર્ડ નંબર 7 નવનિયુક્ત નગર સેવક જયેશભાઈ (મુન્નાભાઈ) બોધરા કહી રહ્યા છે. આ વીડિયોમાં જયેશભાઈ (મુન્નાભાઈ) બોધરા એવું પણ કહી રહ્યા છે કે પહેલા જે હતું એવું નથી કહી દેજો. હવે હું છું અહીંયા તો પહેલા જેમ તમે હાંકી લેતા હતા એમ હવે કોઈનું નહી ચાલે એટલે મર્યાદામાં જ વાત કરવાની. બીજો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે મોડી રાત સુધી ખાડા ખુલ્લા રાખી કામ કરવાની પરવાનગી શા માટે આપવામાં આવી હશે..? શહેરના વોર્ડ નંબર 7 ઝાંઝરડા રોડ ઉપર આવેલ કૈલાસ પાર્ક સોસાયટીમાં બુધવારની મોડી રાત્રિના મેઈન રોડ પર પાણીની પાઇપ લાઈનના ચેકીંગ માટે નવા બનેલ રોડનું ખોદાણ કામ થઇ રહ્યું હતું.
આ કામગીરી વખતે અચાનક ખાનગી કંપનીની ગેસની પાઈપલાઈન તૂટી જતા મોટો ધડાકો થયો હતો. ધડાકો થતા આસપાસના અનેક ઘરોની અગાસી પર પથ્થરો પડતા સોલાર પેનલને નુકસાન થયું હતું. સાથે ગેસ લીકેજ થવા લાગ્યો હતો અને 15 થી 20 મીનીટ સુધી ધૂળ અને ગેસના ધુમાડા નીકળવા લાગ્યા હતા. આ દુર્ઘટનાને લીધે આસપાસ ના 200 ઘરોમાં ગેસનો ધુમાડો ફેલાઈ જતા સ્થાનિક રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી. આશરે 1,000 લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. બાદમાં આ અંગેની સ્થાનિક લોકોએ જાણ કરતા ખાનગી ગેસ કંપનીના કર્મચારીઓ આવ્યા હતા. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બાદમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર કિરીટભાઇ ભીંભા અને હાલના કોર્પોરેટર જયેશભાઇ બોઘરા તુરત દોડી આવ્યા હતા અને સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો. કૈલાસ પાર્કનો રોડ હજુ 6 મહિના પહેલા જ નવો બન્યો હતો. જોકે, મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીને લીધે પાણીની લાઈનનું ટ્રાયલ કર્યા વિના ઉપર રોડ બનાવી દીધો હતો. હવે પાણી વિતરણમાં વિક્ષેપ પડતા પાણીની લાઈનમાં પથ્થર, માટી રહી ગઈ હોય તેના નિકાલ માટે નવો રોડ તોડીને રીપેરીંગ કરવા આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં છેલ્લા વર્ષોથી ભૂગર્ભ ગટર યોજના સાથે ગેસ લાઈન અને પાણીની પાઇપ લાઈન નાખવાની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે.અને ગમે ત્યારે ગમે એ વિસ્તારમાં કઈ પણ ફોલ્ટ આવે એટલે નવા બનેલા રોડ તોડી પાડવામાં આવે છે.પછી રીપેર તો થતા નથી અને સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવે છે. ત્યારે શહેરીજનો રાહ જોઈને બેઠા છે કે, ક્યારે રસ્તા તોડવાની કામગીરી બંધ અને અને ક્યારે ભૂગર્ભ ગટર અને ગેસ લાઈન સાથે પાણીની લાઈનના કામ ખૂટશે સારા રોડ તૂટવાના કારણે લોકોની પણ ધીરજ ખૂટી છે. માંડ માંડ બનેલા રોડ કોઈના ફોલ્ટના લીધે તોડી પાડવામાં આવે છે.
અણધડ વહીવટના લીધે અનેક જગ્યાએ ત્રણ લાઈનો ભેગી
જૂનાગઢ શહેરમાં જાણે અણધડ વહીવટ થતો હોઈ તેવા દર્શ્યો જોવા મળી રહ્યા છે શહેરમાં અનેક જગ્યા પર ત્રણ ત્રણ લાઈનો સાથે જોવા મળે છે. ત્યારે એક કોઈપણ એક લાઈનમાં ફોલ્ટ આવે એટલે રસ્તાઓ ખોદવામાં આવે છે. અને અને અન્ય બીજી લાઈનોમાં નુકશાની આવે છે. તેમાં પણ હજુ અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન પણ આવેલી તેમાં પણ ઘણીવાર નુકશાની થવાથી ફરીથી રસ્તા તોડવામાં આવે છે. આમ શહેરમાં મનપાના કર્મચારીઓ કે, ઈન્જીનીયરોના અણધડ વહીવટથી પ્રજા પીસાઈ રહી છે.