સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
હમ લોગો કો સમજ સકો તો સમજો દિલબર જાની,
જીતના ભી સમજોગે ઉતની હોગી હૈરાની.
– જાવેદ અખ્તર
- Advertisement -
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટની સ્થિતી શેરબજાર જેવી થઈ ગઈ છે. ક્યારે પટકાશે અને ત્યાંથી કેવી ઉપર ચડશે તેની આગાહી કોઈ ક્રિકેટ પંડિત કરી શકતા નથી. જોકે, ઓવરઓલ આપણી ટીમની તાસીર જ એ રહી છે. ક્રિકેટજગતની સૌથી અનપ્રેડીક્ટેબલ ટીમ ભારતની રહી છે પછી તે ’83માં વિન્ડીઝની ભયંકર ટીમ સામે વર્લ્ડકપ જીત્યો એ સિદ્ધિ હોય કે પછી લગાતાર નબળું પરફોર્મન્સ આપવું એ હોય. એક તરફ 36માં આખી ટીમ સૂઈ જાય છે તો બીજી તરફ એ જ ટીમ બી ગ્રેડના ખેલાડીઓ સાથે એ સિરીઝ જીતી જાય છે. ક્રિકેટ ફેન્સ તાજેતરમાં કિવીઓ અને કાંગારૂઓ સામે મળેલી નાલેશીભરી હાર માટે આઈપીએલને જવાબદાર ઠેરવે છે. બેશક આઇપીએલે ભારતીય ક્રિકેટની ઘોર ઘણી હદ સુધી ખોદી જ છે પણ તેના સિવાય પણ બીજા કારણો જવાબદાર છે જ. કેટલા બધા કેપ્ટન: સૌથી પહેલા વાત એ આવે કે એક ટીમમાં એક જ કેપ્ટન હોય એ જ હિતાવહ છે. આઈપીએલની કૃપાથી ટીમમાં ખેલાડી કરતાં કેપ્ટન વધી ગયા હોય એવું લાગે છે કારણ કે ટીમમાં ફલાણો કે ઢીકણો પ્લેયર કોઈને કોઈ ફ્રેંચાઈઝીનો કેપ્ટન, વાઇસ કેપ્ટન, એક્સ કેપ્ટન કે છૂપો કેપ્ટન કે સુનટુબી કેપ્ટન હોય છે. અને હવે આઇપીએલ ટ્રોફી જીતવી એ સફળ કેપ્ટન હોવાનો માપદંડ ગણવામાં આવે છે. એટલે ગાડા નીચે ચાલતા કૂતરાની જેમ ક્રીડાવીરોને એવી ફાંકો આવી જ જાય છે કે લીગ ક્રિકેટમાં હું ચાલ્યો તો ઈન્ટરનેશનલ લેવલે પણ હું ચાલીશ. હવે આટઆટલા મહાપુરુષો ભેગા થાય ત્યારે તેમની આવડતનો સરવાળો થવાને બદલે ઈગો ટકરાવાના ચાન્સ વધી જતા હોય છે. ટુ મચ એકસપેરીમેન્ટસ: અત્યારના મશરૂમની જેમ ફૂટી નીકળેલા રસોઈયા અને આ ટીમના મેનેજમેન્ટમાં શું કોમન છે? બને મનફાવે એમ પ્રયોગો કરે છે. હવે કૈક ભલુ થતું હોય તોય આ બધા નવા નુસખા લેખે લાગે પણ આ લોકો તો ગુલાબજાંબુને ચટણી સાથે પીરસશે, બરફીનું શાક બનાવશે અને કહેશે કે આ તો અમારું ફયુઝન છે. અરે, તારી ભલી થાય હહરીના! પ્રયોગશીલતાના નામે તે ટીમની દશા બેસાડી દીધી. આઇપીએલના પ્રદર્શનના આધારે ટીમમાં જગ્યા આપી દેવી, ફોર્મેટ મુજબ પ્લેયર ન રાખવા, સારું રમતા ખેલાડીઓને મંજીરા વગાડવા સારુ બેસાડી દેવા, વારંવાર કેપ્ટન બદલવા આવા બધા પ્રયોગો આપણી માથે મારવામાં આવે છે. અંતે, કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી એવો ઘાટ સર્જાય છે.
વિરામ:
અત્યારની સિલેક્ષન કમિટીને જોઈને શ્રીલંકન ક્રિકેટર મર્વન અટ્ટાપટુએ ત્યારના શ્રીલંકન ટીમના સિલેક્ટરોને બંચ ઓફ જોકર્સ કહેલા એ યાદ આવે છે. ઘર કી મુર્ગી દાલ બરાબર: અત્યારના સિનિયર ક્રિકેટરો પણ ડોમેસ્ટિક ક્રિકેટની ઘોર અવગણના કરે છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તો એવા પ્લેયર જ ચાલે કે જે ઘરેલુ ક્રિકેટમાં સખત તપ કરીને આવ્યા હોય. પણ અહીં તો આઇપીએલનો કોન્ટ્રાક્ટ મળી ગયો એટલે મોટાભાગના ખેલાડીઓ ગગનવિહારી બની જાય છે. સચિન જેવો સચિન તેના કરિયરની સાવ છેલ્લા તબક્કામાં પણ મોકો મળ્યે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો. છેલ્લે વિરાટ કે રોહિત ક્યારે લિસ્ટ એ મેચોમાં રમ્યા? મેરા બચ્ચા હૈ તું: આમ તો સગાવાદ કે માનીતાવાદ તો ભારતમાં કોર્પોરેટ ઓફિસ્થી લઈને રાજકીય પક્ષ સુધી ફેલાયેલ છે જ. ધોનીથી લઈને રોહિત સુધી આ દુષણ ચાલ્યું જ છે. માન્યું કે અમુક ખેલાડીઓની આવડત પર તમને ભરોસો હોય અને તમે તેમને ચાન્સ આપવા માગતા હોય પણ એ ક્યાં સુધી? ધોનીએ સીએસકે ક્વોટા બનાવી આ જૂથવાદ શરૂ કર્યો અને થોડા સમય પહેલા પણ એવા સમાચાર હતા કે ભારતના બોલિંગ કોચ તરીકે ઝહિર ખાનનું નામ લિસ્ટમાં હતું પણ સ્વદેશી ખેલાડીને બદલે ગંભીરે કેકેઆરના ક્વોટામાંથી મોર્ને મોર્કેલને ચાન્સ આપ્યો. અત્યારે બેટિંગ કોચ પણ અભિષેક નાયર છે કે જે કેકેઆરથી જ આવે છે. ગંભીર જે બાબતે ધોનીનો વિરોધ કર્યો એ તેણે પોતે પણ કરી જ ને. તકલીફ એ છે કે તે વાતથી સફળતા મળી નથી. આટલી બધી હાલાકી હોવા છતાં પણ આપણી ટીમે છેલ્લા દસ પંદર વર્ષોમાં વિશ્વક્રિકેટમાં જે સ્થાન મેળવ્યું છે તે નોંધનીય છે. પેલો શેર છે ને કે ગીરતે હૈ શાહ એ સવાર મૈદાન એ જંગ મેં, વો ભી કયા ગીરે જો ઘૂટનો કે બલ ચલે. તેના મુજબ અપેક્ષા પણ ટીમ સારી હોય તો જ રખાય બાકી એશિયામાં અત્યારે પાકિસ્તાન, શ્રીલંકા કે બાંગ્લાદેશ ભારતની સરખામણીમાં ક્યાંય નીચે છે. હવે 2025માં આપણી ટીમની હતી પછી ઉપર તરફ થાય તળિયાની બદલે એ પ્રાર્થના!
પૂર્ણાહુતિ:
ભારતીય ક્રિકેટનું ઉંડાણ ડરાવી દે તેવું છે.
- Advertisement -
– એબી ડિવિલિયર્સ