ઘણી જગ્યાએ બહેનો પણ દારૂ પીવે છે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખોટો છે: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બે દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ સમાજને અપીલ કરતા કહ્યું હતું કે, “પીળું પાણી રાખતા હોય તો તે છોડી દેજો, દીકરી અને પત્નીને પૂછી જોજો કે પરિણામ શું આવે છે, આપણે બધાએ બહારથી નહીં પણ અંદરથી સુધરી જવાની જરૂર છે.” દારૂ મામલે હવે શંકરસિંહ વાઘેલાએ પણ નિવેદન આપ્યું છે. વાઘેલાએ નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પાટીદારો નહીં અન્ય સમાજમાં પણ દારૂ પીવાય છે. ઘણી જગ્યાએ બહેનો પણ દારૂ પીવે છે. બાપુએ તો ગુજારતમાં દારૂબંધીના કાયદાને જ ખોટો ગણાવ્યો છે.
- Advertisement -
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે(18 ફેબ્રુઆરી 2025)ના રાજકોટની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે પટેલ સમાજમાં દારૂના દુષણ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, દારૂ માત્ર પાટીદાર સમાજ નહીં પણ અન્ય સમાજમાં પણ પીવાય છે. ઘણા ઠેકાણે બહેનો પણ દારૂ પીવે છે જે સ્વાભાવિક છે. દારૂબંધી કાયદો ગુજરાતમાં ખોટો છે. મારુ માનવું છે કે ગુજરાતના પાડોશી રાજ્યોમાં દારૂની છૂટ છે જેના કારણે ગુજરાતમાં દારૂબંધીને 100% સફળતા નહીં મળે. આ ઉપરાંત આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત મામલે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપ સરકાર હોય જેના કારણે રૂલિંગ પાર્ટીનો દબદબો હોય અને તેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દબદબો દેખાય જે સ્વભાવિક છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જીતમાં કંઈ નવાઈ નથી.
દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવ્યો: શંકરસિંહ વાઘેલા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યો છે. કોઇ સમાજમાં દારૂનું દૂષણ હોય એવું ન હોય પણ દારૂનું દૂષણ છે એ રીતે ટ્રીટ થાય છે. કારણ કે, દારૂ પીવાની પાબંધી છે, પાબંધી હોય એટલે એમાંથી અનિષ્ટ ઉભી થાય. એટલે અનિષ્ટ થઇ રહ્યું છે. માટે એને ખોલી નાખવાની વાત છે તમે આને વ્યસન તરીકે ન લો. દારૂ કાંઇ તોફાન કરવા માટે નથી. લોકો ચા-કોફી પીતા હોય છે. દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવ્યો છે. માટે પટેલ સમાજ નહીં ઘણા બધા સમાજ પીતા હોય, આમાં કોઈ એક સમાજનું નામ ન દેવાય.