કોઈ પણ જાતિ મંદિરની માલિકીનો દાવો કરી શકશે નહીં. ભારતના બંધારણમાં જાતિના આધારે મંદિરની માલિકી કે સત્તા મેળવવાનો ક્યાંય ઉલ્લેખ નથી. બંધારણમાં ઉલ્લેખનીય ધાર્મિક પ્રથાઓમાં પણ જાતિ આધારિત મંદિરની માલિકીનો ઉલ્લેખ નથી. મદ્રાસ હાઇકોર્ટે આ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ ભરત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, ઘણાં સામાજિક જૂથો જાતિના આધારે પોતાની ઓળખ બનાવી ધાર્મિક પ્રથાઓનું સંચાલન કરવાનો દાવો અને હક મેળવતા હોય છે. પરંતુ બંધારણમાં દર્શાવેલી ધાર્મિક પ્રથાઓને જાતિ સાથે સરખાવવાનો ક્યાંય ઉલ્લેખ નથી.
- Advertisement -
જાતિની આડમાં ઘૃણા અને અસમાનતા છુપાવવાનો પ્રયાસ
હાઇકોર્ટે આ ટિપ્પણી હિન્દુ રીલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ ડિપાર્ટમેન્ટ(એચઆરએન્ડસીઇ ડિપાર્ટમેન્ટ)ની અરૂલમિઘુ પોંકલિમ્મન મંદિરનું સંચાલન અલગ કરવાની માગ કરતી અપીલ પર કરી હતી. હાઇકોર્ટે અરૂલમિઘુ મરિઅમ્મન, અંગલમ્મન, અને પેરૂમલ મંદિરનું સંચાલન જાતિના આધારે અલગ કરવાની અરજી ફગાવતા આ ટિપ્પણી કરી હતી.
અરજદારે તર્ક આપ્યો હતો કે, અન્ય ત્રણ મંદિરનું મેનેજમેન્ટ ઘણી જાતિઓ અને વ્યક્તિ દ્વારા થઈ રહ્યું હતું. જ્યારે પોંકલીઅમ્મન મંદિરનું મેનેજમેન્ટ ઐતિહાસિક રૂપે તેમની જાતિના સભ્યો દ્વારા જ કરવામાં આવે છે. જો કે, હાઇકોર્ટે આ માગને જાતિગત ભાગલાને પ્રોત્સાહન આપવાનું ગણાવી ફગાવી હતી.