પૂર્વ મંત્રીએ કરેલા લોબિંગનો ફિયાસ્કો: વાઈસચેરમેન તરીકે અરજણ રૈયાણીની નિમણૂક
ખાસ-ખબર સંવાદદાતા
એશિયાના સૌથી મોટા સહકારી સંઘ ગણાતા રાજકોટ લોધીકા સંઘના ચેરમેન અને વાઈસચેરમેન પદ માટેની ચૂંટણીમાં આજે છેલ્લી ઘડી સુધી રાજકોટ જિલ્લાના સહકારી તેમજ રાજકીય અગ્રણીઓ લોબિંગ કરી રહ્યા હતા. જો કે, આમ છતાં રાજકોટ લોધીકા સંઘના ચેરમેન પદ માટે વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે અને વાઈસચેરમેન પદ પર અરજણ રૈયાણીની નિમણૂક કરવામાં આવી છે. આ જોતા એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ કરેલા લોબિંગનો ફિયાસ્કો થયો છે અને નરેન્દ્રસિંહની બોલબાલા યથાવત જોવા મળી છે.
રાજકોટ લોધીકા સંઘના ચેરમેન અને વાઇસચેરમેન પદ માટે આજે યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેડ આપવામાં આવ્યા છે. આ મેન્ડેડની અંદર ચેરમેન પદ માટે રિપીટ થિયરી અપનાવી નરેન્દ્રસિંહ જાડેજાને ચેરમેન પદ પર રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઈસચેરમેન પદ પર અરજણ રૈયાણીને મેન્ડેડ આપવામાં આવ્યું છે. ચૂંટણી પૂર્વે ચેરમેન પદ માટે પૂર્વમંત્રી અરવિંદ રૈયાણી અને રા.લો. સંઘના પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચાએ લોબિંગ કર્યું હતું. જો કે, પક્ષ દ્વારા આ લોબિંગને માન્ય ન રાખવામાં આવ્યાનું કહેવામાં આવી રહ્યું છે. વિધાનસભા ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રમાં પણ અરવિંદ રૈયાણીની અવગણના પક્ષ દ્વારા કરવામાં આવી છે.
રાજકોટ-લોધીકા સંઘના ચેરમેન કોણ બનશે તેને લઇ છેલ્લા એક મહિનાથી રાજકારણ ગરમાઈ રહ્યું હતું. રાજકોટ લોધીકા સંઘના વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાની મુદ્દત પૂર્ણ થતા આજે ચેરમેન પદ માટે ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં છેલ્લી ઘડી સુધી લોબિંગ ચાલી રહ્યું હતું. વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા તથા ગુજરાતના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ પક્ષમાં રજૂઆતો સાથે ચેરમેન પદ માટે માંગ કરી હતી. જો કે, રાજકોટ ડેરીમાં રિપીટ થિયરી અપનાવતા હવે રાલો સંઘમાં પણ રિપીટ થિયરી અપનાવવામાં
આવી છે.