ખાસ-ખબર ઓપિનિયન પોલ
47% મહિલાઓએ કહ્યું, માસ્ક હટાવો
- Advertisement -
42% પુરૂષોએ માસ્ક મુક્તિનો સૂર છેડ્યો
11% લોકોને હજુ લાગી રહ્યું છે કે માસ્ક જરૂરી છે
મહારાષ્ટ્ર, તેલંગણા અને પશ્ચિમ બંગાળે જનતાને માસ્કમાંથી મુક્તિ તો ગુજરાત સરકાર કેમ ન આપી શકે ?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લાં અઢી વર્ષથી લોકોના રોજીંદા જીવનને અસ્ત વ્યસ્ત કરતાં કોરોના વાયરસની પહેલી, બીજી અને ત્રીજી લહેરમાંથી આપણે સૌ પસાર થઈ ચૂક્યા છીએ. કોરોનાએ બીજી લહેરમાં તો ભયાનક માનવ વિનાશ સર્જયો હતો અને મૃત્યુના આંકડા ભયજનક સ્થિતિએ પહોંચી ગયા હતા. પરંતુ ત્રીજી લહેરમાં એટલી દહેશત સર્જાઈ નહોતી. કારણ કે રસીકરણ અભિયાને પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. આજે સંપૂર્ણ દેશમાં કોરોનાના નવા કેસ લેશમાત્ર સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. સમજી લો કે, કોરોનાનો ભય હવે નહીંવત થઈ ગયો છે. હવે જન-જીવન સામાન્ય થઈ ગયું છે. પરંતુ એક વસ્તુ એવી છે કે જે હજુ સામાન્ય નથી થઈ એ છે ‘ચહેરા પરનું માસ્ક’.
ખાસ ખબર ડિજીટલ સાંધ્ય દૈનિક દ્વારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ડિજીટલ સર્વે કરવામાં આવ્યો હતો. આ ઓપિનિયન પોલમાં સામાન્ય જનતાને પૂછવામાં આવ્યું હતું કે, ગુજરાતને માસ્કમાંથી મુક્તિ મળવી જોઈએ કે નહીં ? ત્યારે આ સર્વેમાં 89 ટકા લોકોએ હા અને 11 ટકા લોકોએ ના માં પ્રતિક્રિયા આપી હતી. એટલે કે 89 ટકા લોકો ગુજરાતને માસ્કમાંથી મુક્તિ આપવી જોઈએ એ વાતનું સમર્થન કર્યું છે. ઓલ ઓવર 89 ટકા લોકોમાં 47 ટકા મહિલાઓ અને 42 ટકા પુરુષોએ ઓપિનિયન પોલમાં પોતાનો મત આપ્યો છે. એટલે કે માસ્ક મુક્તિ માટે મહિલાઓએ વધુ ભાર મુક્યો છે.
કોરોનાને મ્હાત આપવા માટે માસ્ક અમોઘ શસ્ત્ર હતું. પરંતુ કોરોનાનું સંક્રમણ હવે નહીંવત થઈ ગયું છે. ત્યારે કોરોનાથી મુક્તિ મળતાં લોકો માસ્કમાંથી પણ મુક્તિ મેળવવા ઈચ્છે છે. તાજેતરમાં મહારાષ્ટ્ર, તેલંગણા અને પશ્ચિમ બંગાળે જનતાને માસ્કમાંથી મુક્તિ આપી દીધી છે. માસ્કને મરજિયાત કરતાં આ રાજ્યોની જનતાએ હાશકારો અનુભવ્યો છે. તેથી હવે ગુજરાતની પ્રજા પણ માસ્ક મુક્તિ ઈચ્છે છે. જો કે કોરોનાના કેસ ઓછા થતાં હવે લોકો પણ માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. દંડની જોગવાઈનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી. ત્યારે સરકારે કાયેદસર માસ્ક મુક્તિની જાહેરાત કરીને લોકોને રાહત આપવી જોઈએ.
લોકોએ જાતે માસ્ક પહેરવાનું બંધ કર્યું
કોરોના કેસોમાં ઘટાડો થયો છે અને આંકડો સિંગલ ડિજીટમાં આવી ગયો હોવા છતાં રાજ્ય સરકારે માસ્કને મરજીયાત બનાવવાનો નિર્ણય લીધો નથી પરંતુ લોકોએ જાતે જ માસ્કને તિલાંજલિ આપી દીધી છે. પોલીસ પણ હવે માસ્ક નહીં પહેરતા લોકો પાસેથી દંડ ઉઘરાવતી નથી. રાજ્યમાં માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને પકડવામાં આવે તો 1000 રૂપિયાનો દંડ છે પરંતુ સરકારની સૂચના હોવાથી પોલીસ લોકોને હવે નિયમ હેઠળ હેરાન કરતી નથી, કેમ કે માર્ગો પર કે જાહેર સ્થળોએ લોકોએ માસ્ક પહેરવાનું છોડી દીધું છે. રાજ્યના આરોગ્ય વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે પણ તેનો સ્વિકાર કર્યો છે લોકોએ સ્વેચ્છાએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે.