ફિલ્મ માત્ર વેંગુરલાનો જ નહીં, શૈલજાનો પણ મનોપ્રવાસ છે
નેટફ્લિક્સ ફિલ્મ, થ્રી ઓફ અસ, દિગ્દર્શક અવિનાશ અરુણ, વખાણાયેલી મરાઠી ફિલ્મ ’કિલ્લા’ પાતાલ લોક અને સ્કૂલ ઑફ લાઈઝ જેવી શ્રેણી માટે જાણીતા છે, તેઓએ આ ચિંતનશીલ ફિલ્મમાં સ્મરણ અને ગિલ્ટીફિલને ચાલકબળ બનાવ્યું છે. ડિમેન્શિયાના પ્રારંભિક તબક્કાથી પીડાતી ઉંમરના પાંચમાં દાયકામાં પ્રવેશી ચુકેલી મુંબઈમાં રહેતી શૈલજા પાટણકર (શેફાલી શાહ), તેની સ્મરણશક્તિ ઝાંખી થાય એ પહેલા એક અઠવાડિયાનો વિરામ લઈ, જૂની યાદોને તાજી કરવાં કોંકણના વેન્ગુર્લા ખાતેના તેના બાળપણના ઘરે ફરી જવાનું નક્કી કરે છે. નાનપણનાં દોસ્ત અથવા તો જીવનના પહેલા પ્રેમ પ્રદીપ કામતને મળવા ઇચ્છતી ખૂબ લાંબા સમયથી પાછળ છૂટી ગયેલ અતિતનાં એક ટુકડામાં ફરીથી જીવી લેવાની કોશિષ કરતી શૈલજાને જોઈને ‘ન હન્યતે’નાં મૈત્રેયીદેવીની યાદ આવી જાય! કુટુંબમાં બનેલી એક દુર્ઘટનાનો કારણે, શૈલજાનું કુટુંબ રાતોરાત વેંગુરલા છોડી અન્ય શહેરમાં સ્થાયી થાય છે. અને એ કારણે શૈલજા-પ્રદીપની મુગ્ધાવસ્થાની એ પ્રેમ કહાની શરુ થતાં થતાં જ અંત થઈ ગયાને હવે અઠાવીસ વર્ષ વીતી ગયાં છે. અને આ વર્ષો દરમ્યાન શૈલજાએ ક્યારેય પ્રદીપ સુધી પહોંચવાનો પ્રયાસ નથી કર્યો. પણ, અચાનક એક દિવસ એ વિચારે છે કે જિંદગીની આ બધી જ ભાગદોડ પછી અંતે શું? આ ભાગદોડ ક્યાં સુધી? ક્યારેય પોતાની પાસે બેસીને પૂછ્યું જ નથી કે ખુદને શું જોઈએ છે! મનમાં ઉઠતા આ સવાલોના જવાબમાં તેને ફક્ત બે નામ દેખાય છે, એક તો બચપણનું ગામ વેંગુરલા અને બીજું પ્રદીપ. અઠ્ઠાવીસ વરસ પહેલાં છૂટી ગયેલા સાથ માટે પોતે જવાબદાર ન હતી, સંજોગોનું ચક્ર બસ, આ વાત પ્રદીપને ક્યારેય કહી નથી શકી એનો અને એક કૌટુંબિક દુર્ઘટનામાં પોતે નિમિત્ત બનીએ એ વાતનો ભાર તેને વેગુરલા ખેંચી લાવે છે. ઉદગમસ્થાન, વ્યક્તિને પોતે શું છે, કેમ છે એ સમજવા માટે પોતાના વ્યક્તિત્વના મૂળ સુધી જવું પડે.પોતાના ઉદગમને ભેદવુ પડે. આ અર્થમાં આ ફિલ્મમાં માત્ર વેંગુરલાનો પ્રવાસ જ નથી પણ શૈલજાનો મનોપ્રવાસ છે જે તેને અઠ્ઠાવીસ વરસ પાછળ લઈ જાય છે.શૈલજાના પતિ દિપાંકર(સ્વાનંદ કિરકીરે) શૈલજાના આ પ્રવાસમાં તેની સાથે છે. સહાયક રોલમાં સ્ટોરીને ખૂબ સરસ રીતે સપોર્ટ કરે છે. ડિરેક્ટરે સંવાદથી ઓછું પણ શેફાલીની આંખોથી વધુ કામ લેવડાવ્યું છે. ધીરગંભીર, ખોવાયેલી ખોવાયેલી રહેતી શૈલજા અને પ્રદીપ સાથે ભૂતકાળને વાગોળતી હોય એ ક્ષણોમાં ખૂબ હળવીફુલ ખિલખિલાટ હસતી શૈલજા! બન્ને શૈલજા આંખોથી જ કામ લે છે. ફિલ્મમાં એવી અનેક ફ્રેમ છે જેમાં પ્રદીપ, શૈલજા અને દિપાંકર એવી રીતે ફિટ થયાં છે કે વગર બોલ્યે સ્ટોરી આગળ વધતી જાય. આ ફ્રેમવર્ક જ ડાયલોગ્સનું કામ કરી જાય છે, જે એકદમ કલાત્મક લાગે છે. શેફાલીની એક્ટિંગ મેચ્યોર્ડ બેલેન્સ્ડ છે તો જયદીપ અહલાવત પણ ખૂબ જ ધીરગંભીર, શાંત સમજદાર અને સંવેદનશીલ પ્રદીપને ઉજાગર કરવામાં સફળ રહે છે, ઉપરથી રુક્ષ દેખાતાં ચહેરા નીચે લાગણીભીના ઝરણાં! પ્રદીપની પત્નીનો રોલમાં કાદમ્બરી કદમ પણ હસમુખી, ચંચળ પણ સ્થિર બુદ્ધિની સમજદાર સ્ત્રીના પાત્રમાં એકદમ ફિટ છે. આ ફિલ્મમાં મુખ્યત્વે ચાર જ કલાકાર છે અને ચારેયની એક્ટિંગ આર્ટફિલ્મની યાદ અપાવી જાય એવી મેચ્યોર્ડ છે. સિનેમેટોગ્રાફી,કોંકણની સુંદરતાને એક એક ફ્રેમમાં જાણે કે મૂર્તિમંત કવિતાની જેમ કેદ કરી છે. ગામડું, ગામડાની નિશાળ, સાગર.. ગામડાના ઘર ..બધું અતિ સુંદર! બેકગ્રાઉન્ડમાં સુરદાસનું ભજન, અવિનાશ અરુણની કલાત્મક દ્રષ્ટિ છે કે તેઓ કુમાર ગાંધર્વ દ્વારા ગાયેલા સૂરદાસ ભજનને હિન્દી ફિલ્મમાં એવી રીતે સમાવી લીધું છે કે ફિલ્મની વાર્તાને સપોર્ટ કરે. સરવાળે, થ્રી ઓફ અસ, ખૂબ જ ધીમી ગતિની, વ્યક્તિના મનોજગતની યાત્રા કરાવતી ફિલ્મ કહી શકાય. અહીં કોઈ ખાધું પીધું રાજ કર્યું જેવો, સુખદ કે દુ:ખદ અંત નથી. બસ, જીવનના એક પ્રકરણને જેવું છે તેવું સ્વીકારીને એમાંથી પસાર થવાની વાત છે. ક્યારેક કંટાળાજનક લાગે એટલી સ્લો આ ફિલ્મ બધાને ગમે એ જરુરી નથી. પણ મને બહુ ગમી છે.