નિતાંતરીત: નીતા દવે
આપણે ટચ ટેકનોલોજી સાથે જીવતાં શીખી ગયાં છીએ પરંતુ સ્પર્શની અનુભૂતિને અનુભવવાનું ભૂલતાં જઇએ છીએ. સમયની સાથે દોડ લગાવી રેસમાં ઉતરેલો માણસ માનવીય હુંફ કરતા મશીનની સતર્કતાનો આગ્રહી બનતો જાય છે. ભૂતકાળના અફસોસ અને ભવિષ્યની ચિંતાને લઈને સતત ભાગતા રહેવાની આદતે માણસને વર્તમાનમાં જીવવાનું ભુલાવી દીધું છે. આ દોડ બાળપણની માર્કશીટમાં આવતા અંકો અને ગ્રેડથી શરૂ થાય છે, જે આગળ જતા રૂપિયા, નોકરી પછી પ્રેયસી કે પ્રિયપાત્રને મેળવવાની ધેલછા સુધી પહોંચે ત્યાં જીવન 25/30ટકા જીવાઈ ગયું હોય છે..! પછી શરૂ થાય છે કુટુંબના ભરણ પોષણ અને સંતાનોના ભવિષ્યની સુરક્ષા માટેની દોડ, ઘરની જવાબદારીઓ અને પોતાની વધતી ઉંમર અને કથળતા સ્વસ્થ્યને પહોંચી વળવાનાં નિષ્ફળ પ્રયત્નો..! આ બધું મેળવી લે ત્યાં સુધીમાં લગભગ 60 ટકા જેટલું જીવન વિતી ચૂક્યું હોય છે.! હવે કદાચ દોડ પૂરી થઈ જાય પરંતુ સતત જીવનના લક્ષ્યાંકોમાં શ્રેષ્ઠોતમ રીતે ઉતીર્ણ થવાની હોળમાં ઉતરેલી જિંદગી હવે ખાલી પડી જાય છે. સતત વ્યસ્તતા વચ્ચે વિતાવેલું જીવન નિરાંત આપે છે,નિરવતા આપે છે, અને એકાંકી પણું પણ આપે છે.પરંતુ જીવનમાં આવેલી આ નિરાંત હાશકારો આપવાને બદલે હાયકરો આપતી થઈ જાય છે અને પછી શરૂ થાય છે જો અને તો ની કે ગણતરીઓ.!
- Advertisement -
લાકડાના પુલ ઉપરથી અતિશય વેગ થી પસાર થતી ટ્રેન જતી રહ્યા પછી પણ પુલ નો થડકાટ તરત શાંત થતો નથી. બસ એવું જ કંઇક હોય છે જીવન નું..!જીવન માં અચાનક આવેલી નિરાંત ને મન પચાવી શકતું નથી.સતત કાર્યશીલ રહેતું વ્યક્તિ સમયાંતરે નિષ્ક્રિય બની જાય એ પછીની મનોદશા આનંદદાયક ન રહેતા પીડાકારક બની રહે છે.જીવનના આ તબક્કાએ પહોચ્યા પછી નિર્ધારિત કરેલા સફળતાના ધ્યેયને પહોંચી વળવા જે સમય ગુમાવ્યો તેનો અફસોસ એ સમયે સિદ્ધ કરેલ સફળતાના શિખર કરતા અનેક ગણો વધારે હોય છે.ભૂતકાળમાં થયેલી ભૂલો,ગુમાવેલા સંબંધો,અને પરિવાર વચ્ચે જીવી શકાય હોત તેવી નાની નાની પરંતુ મૂલ્યવાન ક્ષણને ગુમાવ્યાં નો વસવસો સતત થતો રહે છે. વાસ્તવિકતાનું ભાન થાય ત્યારે પગ નીચેથી સ્વપ્નાંની જમીન સરકી ગઈ હોય છેઅને ત્યારે મન વિચારે છે કે કદાચ જીવન ની રીલ ને રિવર્સ કરી શકાતી હોત તો..! નકામા ગણી અને ડીલીટ કરેલા સ્વજનોને ફરી પાછા જીવનમાં રીસ્ટોર કરી શકાતા હોત તો..! અને વીતી ગયેલા સમયને ફરી પાછો અંડુ કરી શકાતો હોત તો..! પરંતુ અફસોસજીવન આવી સગવડતાઓ આપતું નથી.
નાના બાળકે બંને હથેળીઓમાં ખૂબ મજબૂતાઈથી પકડેલો કોઈ મૂલ્યવાન હીરો હાથમાંથી સરકી જાય અને જમીન ઉપર પડતા ની સાથે જ જેમ નાના નાના ટુકડાઓમાં વિચ્છેદિત થઈ જાય બસ એવી જ રીતે સમય પણ સમય જતા ક્ષણોમાં વિખરાતો જાય છે અને આપણે એ ટુકડામાં જીવનના પ્રસંગોને પ્રશ્નાર્થ સાથે મુલાવ્યા કરીએ છીએ.જીવનમાં અમુક સમય વિતાવ્યા પછી ભૂતકાળમાં લીધેલા નિર્ણયો કે ગુમાવેલી તક વ્યથા નું કારણ બનતી હોય છે. મન પાસે એ દલીલ ચોક્કસ હોય છે કે,જે તે સમયે લીધેલા નિર્ણયો એ સમયની પરિસ્થિતિની માંગ હતી. નિર્વિકલ્પ જીવન સ્થિતિ માં એ સમયે પસંદ કરેલો વિકલ્પ જ યોગ્ય હતો.આવું સત્ય જાણતા હોવા છતાં કંઈક ગુમાવ્યા નો કે કશુંક છૂટી ગયાનો ભાવ જીવન પર મનના ક્યાંક ખુણે દબાયેલો રહે છે.
જીવનની આ ફિલોસોફીને આપણે બધા જ બહુ સારી રીતે સમજીએ છીએ,જાણીએ છીએ, અને સ્વીકાર્ય પણ છે..છતાં મન મુજબનું જીવન જીવી શકતા નથી. આખી દુનિયા માંથી કોઈ એક વ્યક્તિ પણ એવી નહીં મળે કે જેણે જીવનના અંતે વીતેલા સમય માટે કોઈ અફસોસ વ્યક્ત ન કર્યો હોય..! પરંતુ સૌથી ખૂબી ની વાત એ છે કે આખું જીવન જે ધન સંપત્તિ પ્રતિષ્ઠા હોદ્દો અને સુવિધાઓ પાછળ ખર્ચી નાખી જીવનના અંતે આમાંથી કશું પણ ગુમાવ્યા નો અફસોસ ક્યારે રહેતો નથી.જીવન સંધ્યાએ પહોંચ્યા પછી વ્યક્તિ માટે રૂપ,રૂપિયા,કે રૂતબો અગત્યતા રાખતા નથી.પરંતુ કોઈ સ્નેહાળ સ્વજન અને નિસ્વાર્થ મિત્ર ની કમી ચોક્કસ લાગી આવે છે. જીવન સફરમાં સાથ છોડી ગયેલા કોઈ અંગતની ગેરહાજરી પોતાની હાજરીને પણ ન ગણ્ય ગણી શકાય એટલી હદે દુ:ખદાયી બની જતી હોય છે.
સમયને રોકી શકવાનો યંત્ર આજ સુધી કોઈ વિજ્ઞાન શોધી શક્યું નથી પરંતુ હા સમયને સાચવી રાખવાના ઘણા બધા ઉપાયો આપણી હાથવગા હોય છે. જીવનના કોઈપણ તબક્કે પહોંચ્યા પછી વિતેલા જીવન વિશે ક્યારે અફસોસ ન રહે તેવું જીવન જીવવા માટે નાં આયોજનો ઉંમર માં સમજણને પગથિયે ઉભા રહીએ ત્યારથી કરવું જોઈએ. જીવનમાં પ્રાયોરિટી ખૂબ અગત્યની બાબત હોય છે. ઘણી વખત એવું બનતું હોય કે એક સમયે બનતી બે અગત્યની ઘટના માટે પ્રાથમિકતા નક્કી કરવાની હોય ત્યારે એક બાબત હંમેશા ધ્યાન રાખવી કે વ્યક્તિ હોય કે પરિસ્થિતિ પ્રાથમિકતા તેને જ આપવી જે તમારા અસ્તિત્વને જીવંત રાખવા માટે જરૂરી હોય.જરૂરી નથી દરેક વખતે ભૌતિક બાબતોને જ અગત્યતા આપવી,પરંતુ જરૂરી એ પણ નથી કે સ્વજન કે કુટુંબના નાના નાના સુખ ને જતું કરી આર્થિક સમૃદ્ધિ પાછળ દોટ મૂકવી..!અહીંયા કહેવાનો ભાવાર્થ એવો જરા પણ નથી કે જીવનમાં આર્થિક સધ્ધરતા નું કોઈ મૂલ્ય નથી. પરંતુ રહેવાનું તાત્પર્ય એટલું છે કે,માત્ર પૈસા અને પ્રતિષ્ઠા ખાતર પ્રેમની અવગણના ન કરવી.કારણ કે પૈસા કમાવવાના અને પ્રતિષ્ઠા કે પદ ને પુન: પ્રાપ્ત કરવાની તક ફરી મળી શકેપરંતુ જે સમયે માતા પિતા,પત્ની,કે બાળકો ને જે સમયે તમારી હાજરીને ત્યાં જરૂરિયાત હોય ત્યાં પહેલી પસંદગી આપ્તજનોની કરવી જરૂરી હોય છે.અન્યથા જીવન ની નિરાંત ની ક્ષણો માં ભૌતિક સુવિધાઓ વચ્ચે ભરાયેલા એકલતાનાં મેળે પણ મન તો એકલું જ પડી જશે..!
- Advertisement -
સમય ને હાથ માંથી સરકતી રેતીની ઉપમા આપવામાં આવી છે. રેતીની મુઠ્ઠી ભરી અને જકડી રાખવાના પ્રયત્નમાં આપણે ભૂલી જઈએ છીએ કે મુઠ્ઠીની વચ્ચેથી ધીમીધારે સરતી રહેતી એ રેતી ક્યારે હાથ ખાલી કરે જશે..! સમય અતિશય વેગશીલ હોય છે તે ક્યારેય સમજી શકાતો નથી.અતિતને ભૂલી શકાતું નથી,વર્તમાનને બદલી શકાતું નથી,અને ભવિષ્યને પાર નીકળી શકાતું નથીછતાં ન જાણે અનંતકાળથી કંઈ કેટલા જીવન સમય સાથે દોટ લગાવી રહ્યા છે.કાળનાં આ ચક્રમાં કઈ કેટલા જીવન વિંધાતા જાય છે. પરંતુ માનવી સમયની પેલે પાર પહોંચી શકતો નથી.