580 વર્ષમાં પહેલી વખત આટલું મોટું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે અને તે ભારતના કેટલાક ભાગોમાંથી જોઈ શકાશે.
અહેવાલો પ્રમાણે આ ગ્રહણ ત્રણ કલાક અને 28 મિનિટ સુધી ચાલશે, આટલા કલાકો સુધી ચાલનારું ગ્રહણ છેલ્લાં 580 વર્ષમાં થયું નથી. આ અગાઉ 18 ફેબ્રુઆરી 1440 નારોજ આવું ગ્રહણ થયું હતું અને હવે ફરી આવું ગ્રહણ ઇ.સ. 2669માં આઠમી ફેબ્રુઆરીએ થશે.
ચંદ્રગ્રહણ : તારીખ અને સમય
આ ગ્રહણ 19મી નવેમ્બર એટલે કે શુક્રવારે બપોરે 12.48 વાગ્યાથી 4.17 વાગ્યા સુધી જોઈ શકાશે.
- Advertisement -
ગુજરાતમાં ચંદ્રગ્રહણ જોઈ શકાશે?
આ ગ્રહણ ભારતમાં બપોરે 2.34 વાગ્યે જોઈ શકાશે, જ્યારે ચંદ્રનો 97 ટકા ભાગ પૃથ્વીના પડછાયાથી ઢંકાઈ જશે.
સમાચાર સંસ્થા પીટીઆઈ એમપી બિરલા પ્લૅનેટેરિયમના નિદેશક દેબીપ્રોસાદ દુઆરીને ટાંકીને લખે છે કે આ ખગોળીય ઘટના આસામ અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાંથી જ જોઈ શકાશે.
તેઓ કહે છે કે, “આ બંને રાજ્યોના કેટલાક ભાગોમાંથી પૂર્વ દિશામાં ચંદ્રોદય વખતે આ ખગોળીય ઘટનાની અંતિમ પળો જોઈ શકાશે.”
- Advertisement -
એટલે કે આ ગ્રહણ ગુજરાતમાં જોવા નહીં મળે.
ચંદ્રગ્રહણ એટલે શું?
સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વચ્ચે એ રીતે આવે છે કે ચંદ્ર ધરતીની છાયાથી છુપાઈ જાય છે. આ ત્યારે જ શક્ય છે, જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની કક્ષામાં એકબીજાની સમરેખ હોય.
પૂનમને દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે તો તેની છાયા ચંદ્ર પર પડે છે. તેનાથી ચંદ્રની છાયાવાળો ભાગ અંધકારમયી રહે છે.
જ્યારે આપણે આ સ્થિતિમાં ધરતી પરથી ચંદ્રને જોઈએ છીએ તો તે ભાગ કાળો જોવા મળે છે. એટલે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
ચંદ્રગ્રહણના ત્રણ પ્રકાર છે:
- પૂર્ણ ચંદ્રગ્રહણ
- આંશિક ચંદ્રગ્રહણ
- પિનમ્બ્રલ ચંદ્રગ્રહણ
ચંદ્રગ્રહણ દરમહિને કેમ ન થાય?
ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.
ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.
પિનમ્બ્રલ ગ્રહણ શું હોય?

વરિષ્ઠ વૈજ્ઞાનિક ટી. વી. વેંકટેશ્વરન જણાવે છે કે પહેલાં એ સમજવું જરૂરી છે કે છાયા બે પ્રકારની હોય છે. કોઈ પણ વસ્તુ, જે પ્રકાશ રોકે છે તે બે પ્રકારની છાયા ઉત્પન્ન કરશે.
તેઓ બંને પ્રકારની છાયા અંગે વાત કરતાં કહે છે, “એક જેમાં અંધકાર હોય છે અને તે છાયા ખૂબ જ કાળી હોય છે તેને અમ્બ્રલ કહેવામાં આવે છે.”
“બીજી છાયા, જે ઝાંખી અને ફેલાયેલી હોય છે, તેને પિનમ્બ્રલ કહેવાય છે.”
“આ બન્ને વચ્ચે અંતર છે: જો તમે અમ્બ્રલ ક્ષેત્રમાં ઊભા છો, તો સંપૂર્ણ પ્રકાશસ્રોત કવર થઈ જશે. પરંતુ જો તમે પિનમ્બ્રલ ક્ષેત્રમાં ઊભેલા છો તો સમગ્ર પ્રકાશસ્રોત કવર નહીં થાય.”
ગ્રહણ સાથે જોડાયેલી માન્યતાઓ
દુનિયામાં એવા લોકો પણ છે જેઓ માને છે કે
ગ્રહણ ખતરાનું પ્રતીક છે, જેમકે દુનિયાના ખતમ થવાની કે પછી ભયંકર ઘટનાઓની ચેતવણી.
હિંદુ પુરાકથાઓમાં આને અમૃતમંથન અને રાહુ-કેતુ નામક દૈત્યોની કહાણી સાથે સાંકળી દેવામાં આવ્યું છે અને આનાથી જોડાયેલા અંધવિશ્વાસ પ્રચલિત છે.
ગ્રહણ હંમેશાથી મનુષ્યને જેટલી નવાઈ પમાડે એટલું ડરાવતું પણ રહ્યું છે.
જ્યાર સુધી મનુષ્યને ગ્રહણના કારણોની માહિતી નહોતી, તેણે સૂર્યને ઘેરતી આ અંધારી છાયાને લઈને કેટલીક કલ્પનાઓ કરી અને કેટલીય કહાણીઓ રચી.
17મી સદીના યુનાની કવિ આર્કિલકસે કહ્યું હતું કે બપોરના સમયમાં અંધારું છવાઈ ગયું અને આ ઘટના બની ત્યાર પછી તેમને બીજી કોઈ પણ વાતને જોઈને અચરજ નહીં થાય.
મજાની વાત એ છે કે હવે જ્યારે આપણે ગ્રહણના વૈજ્ઞાનિક કારણો જાણીએ છીએ તો પણ તેનાથી જોડાયેલી કહાણીઓ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ પર વિશ્વાસ જેમનો તેમ છે.
શું હોય છે રિંગ ઑફ ફાયર?

જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે ત્યારે નાના આકારના કારણે તે સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી શકતો નથી અને એક પાતળી રેખામાંથી સૂર્ય પ્રકાશ બહાર આવે છે.
આ રેખાને રિંગ ઑફ ફાયર કહેવામાં આવે છે.
સૂર્યગ્રહણ શું હોય છે?

સૂર્યગ્રહણ પણ ત્રણ પ્રકારનાં હોય છે:
- પૂર્ણ સૂર્યગ્રહણ
- કંકણાકૃતિ સૂર્યગ્રહણ
- ખંડગ્રાસ સૂર્યગ્રહણ
સૂર્યગ્રહણ નરી આંખે જોઈ શકાય?

અમેરિકાની અવકાશ સંસ્થા અનુસાર સૂર્યગ્રહણ નિહાળવા માટે સન-ગ્લાસીસનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનાથી પણ આંખને નુકસાન થઈ શકે છે.
ગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના ચશ્મા બજારમાં મળે છે, જેને પહેરવાથી આંખને કોઈ તકલીફ થતી નથી. નાસા અનુસાર ગ્રહણ ચાલતું હોય ત્યારે આ ચશ્મા પહેરી રાખવા જોઈએ.
સૂર્યગ્રહણ જોવા માટે પીન-હોલ પ્રોજેક્ટરનો પણ ઉપયોગ કરી શકાય છે. પીન-હોલ પ્રોજેક્ટરમાં સૂર્ય પ્રકાશને જમીન પર પ્રોજેક્ટ કરવામાં આવે છે, જેથી લોકો સૂર્ય ગ્રહણ જોઈ શકે.



