આસામમાં પૂરપ્રકોપ યથાવત: વધુ 12નાં મોત, 31 લાખ અસરગ્રસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
મણિપુરના નોની જિલ્લામાં ચાલતા રેલવે બાંધકામ નજીક ભયાનક ભૂસ્ખલન થતાં આઠનાં મોત થયા હતા અને 72 લાપતા થયા છે. મૃતકોમાં ટેરિટોરિયલ આર્મીના સાત જવાનોનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં વીજળી પડતાં બે બાળકો સહિત ચારનાં મોત થયા હતા, પાંચને ઈજા પહોંચી છે. બીજી તરફ આસામમાં પૂરની સ્થિતિ યથાવત છે 12લોકોએ જીવ ગુમાવ્યા છે. વધુ 12નાં મોત થયા હતા. ભારતીય સૈન્યના અધિકારીઓએ કહ્યું હતું કે મણિપુરના નોની જિલ્લામાં ટૂપલ રેલવે સ્ટેશન પાસે રેલવેનાં ક્ધસ્ટ્રક્શન કામ ચાલતું હતું. એ વખતે ભયાનક ભૂસ્ખલન થતાં ટેરિટોરિયલ આર્મીના સાત જવાનો સહિત આઠનાં મોત થયા હતા. 72 ગુમ થઈ જતાં કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. ગુમ થયેલાઓમાં 43 ટેરિટોરિયલ આર્મીના જવાનો છે. મોટાપાયે ભૂસ્ખલન થતાં ઈજાઈ નદી બંધ થઈ ગઈ હતી. કેટલાક લોકો નદીમાં તણાઈ ગયા હોવાનું કલેક્ટરે કહ્યું હતું. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આકાશી વીજળી પડવાના ચાર બનાવો બન્યા હતા. એમાં બે બાળકો સહિત કુલ ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. પાંચને ઈજા પહોંચી છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યો હતો. મધ્યપ્રદેશના10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી થઈ છે. દરમિયાન દિલ્હીમાં બેથી ચાર ઈંચ સુધી વરસાદ પડયો હતો.