પીડિતો માટેની યાત્રામાં પીડિતોની જ સંખ્યા ઘટી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
- Advertisement -
મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ નાદ સાથે આજથી એટલે કે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ છે. જે ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈને 300 કિમીનો પ્રવાસ ખેડશે. છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં બનેલ મોટી દુર્ઘટનામાં સામાન્ય લોકો હોમાયા છે જો કે, એકપણ ઘટનામાં લોકોને ન્યાય મળેલ નથી જેથી કરીને લોકોને ન્યાય અપાવવા માટે આ ગુજરાત ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસે ન્યાય યાત્રામાં આગળ એક ગાડીમાં સાથે એક ઘડો રાખ્યો છે, જેમાં લોકો પોતાના પ્રશ્ર્નો અને રજૂઆત રજૂ કરી શકશે અને કોંગ્રેસે આ ઘડાને ‘ભાજપના ભ્રષ્ટ્રાચાર – પાપનો ઘડો’ નામ આપ્યું છે. એમાં લોકો તેમના પ્રશ્ર્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.
વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવા અનેક બનાવો બનેલ છે. જેમાં ગુજરાતના નિર્દોષ નાગરિકો ભોગ બન્યા છે. જે લોકોનો ભોગ લેવાયો તેમના પરિવારને ન્યાય મળી રહ્યો નથી અને આરોપીઓને સજા પણ કરવામાં આવી રહી નથી. જેથી આ ઘટનાઓમાં ભોગ બનેલા પીડિત પરિવારોને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના દરબારગઢ ચોક ખાતે વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. પ્રગતિ આહીર, અમીબેન વગેરે કોંગ્રેસના આગેવાનો સહિત પીડિત પરિવારોએ હાજર રહી આ ન્યાય યાત્રાની શરૂઆત કરી છે.
- Advertisement -