ગિરનાર ઓઘડ ટૂક પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવાતા વિવાદિત મામલો
પોલીસને ટૂક પરથી ચરણ પાદુકા મળી, ઓઘડ ટૂક પર રક્ષિત સ્મારકનું બોર્ડ લગાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
ગિરનારની પવિત્ર ધરા પર મહાશિવરાત્રીના મેળા પૂર્વે જ ધાર્મિક સંવાદિતા ડહોળવાનો ગંભીર પ્રયાસ સામે આવ્યો છે. ગિરનાર પર્વત પર આવેલા નાથ સંપ્રદાયના પવિત્ર શિખર ‘ઓઘડ ટૂંક’ પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા અને ઉશ્ર્કેરણીજનક વીડિયો વાયરલ કરવાના મામલે સનાતની સાધુ-સંતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દોડતું થયું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સફેદ વસ્ત્રો પહેરેલા બે યુવકો ઓઘડ ટૂંક પર જૈન સંપ્રદાયનો ધ્વજ ફરકાવતા જોવા મળે છે. આ ઉપરાંત, દિગંબર જૈન મુનિ સુનિલ સાગરનો પણ એક સંદેશ વાયરલ થયો છે, જેમાં તેઓ ઓઘડ નાથ શિખર પર બેસીને કથિત રીતે ઉશ્ર્કેરણીજનક વાક્યો લખતા અને સાધના કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સનાતની સાધુ-સંતોનો આરોપ છે કે જૈન સંપ્રદાય જાણીજોઈને આવા વીડિયો બનાવીને ગિરનાર પર પોતાના ખોટા હક-દાવા રજૂ કરી રહ્યા છે. સાધુ-સંતોના જણાવ્યા મુજબ, ઓઘડ ટૂંક એ સનાતન ધર્મના નાથ સંપ્રદાયનું પવિત્ર સ્થાન છે, જ્યાં આ પ્રકારની ગતિવિધિઓ કરીને બંને સંપ્રદાયો વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં ગિરનાર ગોરખનાથ ટૂંકના મહંત સોમનાથબાપુની આગેવાનીમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ભવનાથ પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. તેમણે આ મામલે ડીવાયએસપીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી છે. સોમનાથબાપુએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ દત્ત શિખર અને અન્ય સ્થાનો પર આ રીતે મનગડત દાવાઓ કરવામાં આવ્યા છે. પ્રશાસનને અનેક પુરાવાઓ આપવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા હવે જૈન સાધકોની હિંમત વધી રહી છે અને તેઓ ખુલ્લેઆમ વીડિયો બનાવી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. સનાતની સાધુઓની પ્રબળ માંગ છે કે જવાબદાર જૈન સંપ્રદાય અને અજાણ્યા શખ્સો સામે તાત્કાલિક ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવે. ફરિયાદ મળતા જ ભવનાથ પોલીસ એક્શનમાં આવી છે. ઝંડો ફરકાવનાર સુધી પહોંચવા માટે ગિરનાર પર્વત પરના અંદાજે 50 થી 60 જેટલા સીસીટીવી કેમેરાની ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. પીએસઆઇ આર.એસ. ડામોરની ટીમે ઓઘડ ટૂંક પર પહોંચીને સ્થળ પર પંચનામું કર્યું હતું. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી પિત્તળની ચરણ પાદુકા મળી આવી છે, જેને કાયદેસરની કાર્યવાહી માટે કબજે કરવામાં આવી છે. વિવાદ વધુ ન વકરે તે માટે તંત્ર દ્વારા ઓઘડ ટૂંક પર ’રક્ષિત સ્મારક’ હોવાનું સત્તાવાર બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા બંને પક્ષોને શાંતિ જાળવવા અને ધાર્મિક સંવાદિતા ન બગાડવા અપીલ કરવામાં આવી છે. વન વિભાગ અને પુરાતત્વ ખાતાને પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, સાધુ-સંતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર હવે આંખ આડા કાન કરશે અને જવાબદારો સામે ધોરણસરની કાર્યવાહી નહીં કરે, તો આગામી દિવસોમાં સનાતની સાધુઓ આંદોલનનો માર્ગ અપનાવશે. મહાશિવરાત્રીના મેળા પૂર્વે બનેલી આ ઘટનાએ સમગ્ર જૂનાગઢમાં ભારે ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં કયા તથ્યો બહાર આવે છે અને પ્રશાસન આ સંવેદનશીલ મુદ્દે શું નિર્ણાયક પગલાં ભરે છે.



