જૈનમ-કામદારના હિતેશભાઇ મહેતા, વિભાશભાઇ શેઠ, હેમલભાઇ શાહ, ચેતનભાઇ કામદાર, ભાવિનભાઇ ઉદાણી, બકુલેશભાઇ મહેતા, જીતુભાઇ લાખાણી તથા પારસભાઇ શેઠ, અમીષભાઇ દેસાઇ, જુગલભાઇ દોશી ખાસ-ખબરની કાર્યાલયની મુલાકાતે આવ્યા હતાં.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જૈનમ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. હાલનાં વર્તમાન સમયમાં માત્ર વડીલો જ નહી પણ મહિલાઓ, યુવાનો અને બાળકોમાં પણ અનેક શારીરીક મુશ્કેલીઓનાં ઘણાં દાખલાઓ જોવા મળે છે. હાલની આરામદાયક લાઈફસ્ટાઈલનાં કારણે અચાનક શારિરીક શ્રમ કરવાનો થાય ત્યારે કોઈકને તકલીફ પડવાની શકયતા બનતી હોય છે. નવરાત્રીનું પર્વ શરૂ થઈ રહયુ છે ત્યારે નવરાત્રી દરમ્યાન કલાકો સુધી અથાગ શ્રમ કરવાથી કોઈપણ ખેલૈયાને કોઈપણ જાતની મુશ્કેલી પડે તો એવા સમયે કોઈનો જીવ જોખમમાં ન મુકાય તેવી પરિવારનાં સભ્યની જેમ ખેલૈયાઓની ચિંતા કરતા જૈનમ ગ્રુપ દ્વારા ઈમરજન્સીનાં સમયે જયારે એક-એક મિનીટ કિંમતી હોય છે ત્યારે કોઈનાં જીવ પર જોખમ ન થાય તે માટે અદ્યતન અને તમામ સુવિધાઓ સાથેની હોસ્પિટલ રાસોત્સવનાં ગ્રાઉન્ડ ખાતે ઉભી કરવામાં આવશે. સ્ટ્રેચર, ઓકિસજન, મેડીકલ સાધનો સાથે ડોકટરોની ટીમ ખડેપગે રહેશે. મેડીકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ અને જરૂરી ઈકવીપમેન્ટસ સાથેની હોસ્પિટલમાં ખેલૈયાઓને પડતી નાની-મોટી તમામ તકલીફોનું નિદાન કરવામાં આવશે.
હાઈ-રિસ્ક ઈમરજન્સી સમયે કોઈ વ્યકિતને હોસ્પિટલે ખસેડવાની નોબત આવે તો તે માટે પણ સ્થળ પર એક એમ્બ્યુલન્સ સતત તહેનાત રહેશે. આ એમ્બ્યુલન્સને કોઈ જાતની અડચણ ન આવે અને સમય બગાડયા વગર ગ્રાઉન્ડની બહાર પહોંચી શકે તે માટે ગ્રીન કોરીડોર પણ ઉભો કરવામાં આવશે. કોઈની મહામુલી જીંદગી બચાવી શકવામાં જૈનમ નિમીત બની શકશે તો આ પહેલનો આરંભ કરવાન સંતોષ થશે તેમ જૈનમનાં આયોજકો જીતુ કોઠારી, સુજીત ઉદાણી અને જયેશ વસાએ જણાવ્યુ છે.
જૈનમ દ્વારા આયોજીત જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ 2024માં અનેક પ્રકારની વ્યવસ્થા સમયે રાસોત્સવનાં ખેલૈયાઓ પણ જૈનમનાં પરિવારજનો જ છે તેવી ચિવટ રાખી ઈમરજન્સીનાં સમયે કોઈને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે માં જગદંબાને પ્રાર્થના કરવા સાથે કદાચ જો આવી સ્થિતી બને ત્યારે તેને પહોંચી વળવા માટે કટીબધ્ધ જૈનમ દ્વારા આઈ.સી.યુ. યુનિટ હોસ્પિટલ ગયા વર્ષની માફક આ વર્ષે પણ તૈયાર કરવાનાં છીએ. જૈનમ પરિવારનાં જ સભ્ય અને આઈ.એમ.એ. રાજકોટનાં પ્રેસીડેન્ટ ડો. પારસભાઈ ડી. શાહ એ આ વ્યવસ્થા અંગે વિશેષમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવનાં ગ્રાઉન્ડ ઉપર કોઈપણ હોસ્પિટલમાં હોય છે. તેવુ આઈ.સી.યુ. યુનિટનું માઈક્રો સાઈઝ સેટ-અપ ખડુ કરવામાં આવશે.
- Advertisement -
ગરબાનાં ગ્રાઉન્ડ પર ઈમરજન્સી સમયે દર્દીને આસાનીથી પહોંચાડી શકાય તેવા સ્થાન ઉપર આ ઈમરજન્સી મેડીકલ સેન્ટર માટે એક અલાયદો ટેન્ટ બનાવવામાં આવશે જેમાં બે બેડ, કુલર, 2… પંખા, વ્હીલચેર, સ્ટ્રેચર સહિતની દર્દીને બેસવા, તપાસવા માટેની સુવિધા હશે. મેડીકલ ઈકવીપમેન્ટમાં સ્ટેથોસ્કોપ, પલ્સ ઓકસીમીટર, ઈ.સી.જી. મશીન, ગ્લુકોમીટર, ડેફીબ્રીલેટર, બી.પી. માપવા માટેનું મશીન, મલ્ટીપર્પઝ મોનીટર ઉપલબ્ધ હશે. હૃદય સબંધી હુમલા, છાતીનાં દુ:ખાવા, અચાનક બેભાન થઈ જવા જેવા કિસ્સામાં જૈનમનાં ડેડીકેટેડ કાર્યકર્તાઓને બેઝીક સી.પી.આર. ટ્રેનીંગ આપવામાં આવશે. ઈમરજન્સી સમયે દર્દીને સુગર, પલ્સ, બી.પી., ઓકસીજન માપી જરૂર પડયે ઈન્જેકશન, દવા વિગેરે પણ મળી શકશે. દરરોજ હાજર સ્પેશ્યાલીસ્ટ સીનીયર ડોકટર દ્વારા માર્ગદર્શન અને સારવાર આપી જરૂર જણાયે આગળ રીફર કરી સ્થળ ઉપર સ્ટેન્ડ ટુ રહેનાર એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવશે.
ડીહાઈડ્રેશન થવા, સુગર લેવલ ઘટી જવા જેવા કિસ્સામાં દર્દીને હાજર બેડમાં ઈન્ટ્રાકેથ દ્વારા બ્લડ સેમ્પલ લઈને જરૂર પડયે ગ્લુકોઝ કે સલાઈનનાં ડોઝ (બાટલા) ચડાવવાની સુવિધા ઉપલબ્ધ હશે. યોગ્ય વેન્ટીલેશન માટે પંખા તેમજ કુલર રાખવામાં આવશે. રમત દરમ્યાન ખેલૈયાઓને વાગી જાય, ઈજા થાય, મોચ આવી જવા જેવા સમયે સ્થળ ઉપર જ જરૂર પડયે ટાંકા લેવા, પટાપીંડી કરવા પેઈનકીલર અને ધનુરનાં ઈન્જેકશનો હાજર રાખવમાં આવશે તેમ ડો. હિરેનભાઈ કોઠારીએ માહિતી આપતા જણાવ્યુ છે. શિવ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનાં સહયોગથી રોજ મેડીકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, આયાબેન વિગેરે ખડે પગે રહેશે. દરરોજ એમ.બી.બી.એસ.થી ઉપરની ડીગ્રી ધરાવતા એકસપર્ટ ડોકટરો નવરાત્રી દરમ્યાન રાત્રે 8 થી 12 સુધી ઉપલબ્ધ રહેશે. આ તકે એકસપર્ટ ડોકટરોની ટીમમાં તજજ્ઞ ડોકટરો ડો. પારસભાઈ ડી. શાહ, ડો. હિરેનભાઈ કોઠારી, ડો. રાજુભાઈ કોઠારી, ડો. અમિતભાઈ હપાણી, ડો. શ્રેણીક દોશી, ડો. જયભાઈ તુરખીયા તેમજ ફીઝીયોથેરાપીસ્ટ ડો. દેવાંશી કોઠારી કે જેઓ જૈનમ પરિવારનાં સભ્યો પણ છે. તેઓ પોતાની સેવાનો લાભ આપવાનાં છે. પંચનાથ હોસ્પિટલનાં સહયોગથી એમ્બયુલન્સ રોજ ગરબાનાં શરૂ થી અંત સુધી સ્ટેન્ડ ટુ રહેશે. એમ્બ્યુલન્સને બહાર નિકળવા માટે કોઈ અડચણ ન પડે તે માટે એક ખાસ ગ્રીન કોરીડોર બનાવવામાં આવશે.
આમ જોવા જઈએ તો એક મીની હોસ્પિટલ કે જયાં કોઈપણ સામાન્ય થી લઈને ગંભીર પરિસ્થિતીને પહોંચી વળવા માટે સજજ સેટ-અપ ખડુ કરવામાં આવશે જયાં મીની આઈ.સી.યુ. યુનિટ, મેડીકલ સાધનો, દવાઓ, તજજ્ઞ ડોકટરો, મેડીકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, સ્ટ્રેચર, બેડ, એમ્બ્યુલન્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
આમ કોઈનું મહામુલુ જીવન જયારે અજુકતી પરિસ્થિતીમાં દાવ પર લાગેલ હોય ત્યારે આયોજક જૈનમ પરિવાર ઈશ્વરનાં સંકેતરૂપે એક માધ્યમ બની જો કોઈની જીંદગી બચાવી શકવામાં નિમીત બની શકે તો આનાથી રૂડુ બીજુ શું હોઈ શકે તેવી લાગણી આયોજક એવા જૈનમ પરિવાર દ્વારા વ્યકત કરવામાં આવી છે. આમ જૈનમ રાસોત્સવમાં તમામ વ્યવસ્થાનું માઈક્રો પ્લાનીંગ અને તમામ બાબતોને વણીને જે આયોજન કરવામાં આવી રહયુ છે તેની સરાહના અન્ય સમાજનાં લોકો દ્વારા થઈ રહી છે.
જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવમાં ડૉકટર ટીમ
ડૉ. રાજુ કોઠારી, ડૉ. અમીત હપાણી, ડૉ. હિરેન કોઠારી, ડૉ. પારસ ડી. શાહ, ડૉ. શ્રેણીક દોશી,
ડૉ. જય તુરખીયા, ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. દેવાંશી કોઠારીની અવિરત સેવા આપશે