ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઈઝરાયલે ગાઝાપટ્ટીમાં ગઈકાલે મધરાતે અસામાન્ય બોમ્બ વર્ષા કરતાં ઓછામાં ઓછાં 85 પેલેસ્ટાઇનીઓને મારી નાખ્યા છે. તેણે હમાસનાં લશ્ર્કરી થાણાઓ ઉપરાંત અનેક ઘરો ઉપર પણ બોમ્બ અને મિસાઇલ વર્ષા કરતાં સમગ્ર ગાઝા શહેર અને ગાઝાપટ્ટીના વિસ્તારો ખંડેર બની ગયા છે.
આ પૂર્વે ઈઝરાયલી સેનાએ પેલેસ્ટાઇનીઓને ઉત્તરમાં જતા મેઈન હાઈવેનો ઉપયોગ ન કરવા કડક ચેતવણી આપી હતી, અને કહ્યું હતું કે માત્ર દક્ષિણનો ’કોસ્ટલ રોડ’ (સમુદ્ર તટનો માર્ગ) તમો વાપરી શકશો.
- Advertisement -
વાત સીધી અને સાદી છે. ઉત્તરનો માર્ગ ભૂમધ્ય સમુદ્રના તટ પ્રદેશ પરથી પસાર થાય છે. તે વિસ્તાર અમેરિકા સહિત પશ્ર્ચિમના દેશો માટે સિનાઈપેનિનસ્યુલામાં ઉતરવાનું ફૂટ બોર્ડ છે. તે હમાસનાં કબ્જામાં જાય તે ઈઝરાયલ કે અમેરિકા કે પશ્ર્ચિમના દેશો ચલાવી લે જ નહીં.
હમાસે મૂર્ખતા કરી ગત વર્ષે દક્ષિણ ઈઝરાયલમાં હુમલો કરી 1200 જેટલાની હત્યા કરી, 250થી વધુને અપહૃત કર્યા. આથી ઈઝરાયલ ’વૈરાંધ’ બન્યું છે.
ઈઝરાયલી સેનાએ કહ્યું હતું કે, ગઈકાલે બપોરે પેલેસ્ટાઇનીઓ (હમાસે)એ દક્ષિણ અને મધ્ય ઈઝરાયલમાં પ્રક્ષેપાસ્ત્રો ફેંક્યા હતાં. ચારે તરફ હવાઈ હુમલાની સાયરન્સ ગર્જી હતી. ત્યાર પછી વળતા પ્રહાર તરીકે ઈઝરાયલે ગુરૂૂ-શુક્રની મધરાતે ગાઝાપટ્ટીમાં પ્રચંડ બોમ્બ મિસાઇલ્સ વર્ષા કરતાં બાળકો અને મહિલાઓ સહિત 85ના મોત થયા છે. આ સાથે ઈઝરાયલી સેનાએ જણાવ્યું છે કે તેની સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશન દ્વારા બૈન-લાહીયા શહેરને ખતમ કરી નાખ્યું છે, સાથે ઉત્તરનો માર્ગ ન વાપરવા પેલેસ્ટાઇનીઓને ફરી ચેતવણી આપી છે અને છેલ્લા 24 કલાકમાં અનેક પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. વાસ્તવમાં જાન્યુઆરીમાં યુદ્ધ વિરામ થયો ત્યારે હજ્જારો પેલેસ્ટાઇનીઓ તેમનાં નિવાસસ્થાનોએ પાછા ફર્યા હતા. જોકે તે નિવાસસ્થાનો પણ ખંડેર સમાન બની રહ્યાં હતાં, છતાં પોતાનાં ઘરે પાછા ફરી ’હાશ’ અનુભવતા હતા. આ તરફ હમાસે જક્કી વલણ રાખી હજી કેટલાયે અપહૃતોને બંદીવાન રાખતાં ઈઝરાયલે પ્રચંડ હુમલા કર્યા હતા. પરિણામે 24 જેટલા બંદીવાનો નાસી છૂટયા હતા.