હું કોણ છું? આ પ્રશ્નનો જવાબ આપણે બધા અત્યાર સુધીમાં જાણી ચૂક્યા છીએ. હું એટલે મારું શરીર નહીં, પણ હું એટલે આત્મા. આત્મા પવિત્ર છે, વિશુદ્ધ છે, એને ભીંજવી શકાતો નથી, એને સૂકવી શકાતો નથી, એને બાળી શકાતો નથી, એને કાપી શકાતો નથી. આત્મા અવિનાશી છે. આ બધું આપણે શાસ્ત્રોમાં વાંચ્યું છે, ‘શિવસૂત્ર’માં પણ આ જ વાત કહેવામાં આવી છે. ‘ભગવદ્ ગીતા’માં ભગવાન શ્રીકૃષ્ણ પણ આવું જ કહી ગયા છે. જન્મથી લઈને અત્યાર સુધીમાં આપણી ઉપર આ વાક્યોનો અવિરત વરસાદ થયો હોવાથી આપણે પણ પોપટિયું રટણ કરતા થઈ ગયા છીએ કે હું ‘આત્મા’ છું. આપણને આ જ્ઞાનની ખબર હોવા છતાં આપણામાંથી કેટલાં લોકો ખરેખર એ પ્રમાણે જીવે છે? રોજબરોજની જિંદગીમાં આપણે રહીએ છીએ તો દેહભાવમાં જ. શરીરને સાચવવું, એનું લાલન-પાલન કરવું, એને આકર્ષક દેખાડવા માટેના પ્રયત્નો કરવા, બ્યૂટીપાર્લરોમાં જવું, શરીરને શોભાવે તેવાં વસ્ત્રો પહેરવાં, પગની શોભા વધારવા માટેના બ્રાન્ડેડ શૂઝ પહેરવાં, વગેરે… વગેરે… શરીરની શોભા વધારવી એમાં કશું ખોટું નથી. આપણા આત્માને રહેવા માટેનું એ ભાડાનું મકાન છે. એ મકાનને સુઘડ રાખવું એ આપણી ફરજ છે, પણ આપણે દેહભાવમાંથી મુક્ત થઈને આત્મભાવમાં સ્થિર શા માટે રહી શકતા નથી? એ મોટો પ્રશ્ન છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે આપણે આપણા ’અહમ્’ને ઓગાળી શકતા નથી. આપણા શરીરને આપણે આપણું અસ્તિત્વ સમજી બેઠા છીએ અને આ અસ્તિત્વમાંથી ‘અહમ’ભાવનો જન્મ થાય છે. જો આપણે આપણા અહંકારને જીતી શકીએ તો જ શરીરભાવમાંથી મુક્ત થઈ શકીએ.
હું એટલે મારું શરીર નહીં, હું એટલે આત્મા

Follow US
Find US on Social Medias