પતંજલી-ડાબર અને ઝંડુ સહિત 13 બ્રાન્ડસના મધ શુદ્ધતાના પરિક્ષણમાં ફેલ
તુષાર દવે
જો તમે આરોગ્યવર્ધન માટે કે ઔષધી તરીકે નિયમિત પણે મધનું સેવન કરતા હોવ અને પતંજલિ, ડાબર કે ઝંડુ જેવી કંપનીનું મધ વાપરીને એની શુદ્ધતા અંગે નિશ્ચિત હોવ તો સાવધાન થઈ જજો. CSE (સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ)ના ટેસ્ટમાં આ ત્રણેય સહિત 13 કંપનીઓના નમૂના ફેલ થયા છે. CSE ના રિપોર્ટ મુજબ એકત્ર કરવામાં આવેલા નમૂનાઓમાં પૈકી 77 ટકામાં સુગર સીરપની ભેળસેળના પ્રમાણ મળ્યાં છે અને સફોલા, માર્કફેડ સોહના અને નેચર્સ નેક્ટર એ ત્રણ જ બ્રાન્ડ એવી છે જેમના નમુના આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂક્લિયર મેગ્નેટિક રેઝોનંસ સ્પેક્ટ્રોસ્કોપી (ગખછ) દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે. જોકે, પતંજલિના આચાર્ય બાલકૃષ્ણનો દાવો છે કે, એમની કંપનીનું મધ ઋજજઅઈંના 100 પરિમાણો પર ખરું ઉતર્યું છે.
ભેળસેળ પણ ચાઈનિઝ!: શુદ્ધતાના ટેસ્ટને પાસ કરી શકે એવા ચીની સીરપની મિલાવટ
ચોંકાવનારી બાબત તો એ છે કે આ ભેળસેળમાં ચાઈનિઝ કનેક્શન પણ સામે આવી રહ્યું છે. અહેવાલો મુજબ અલીબાબા જેવા ચાઈનિઝ પોર્ટલ પર એવા સીરપ વેંચાઈ રહ્યાં છે જે મધની શુદ્ધતાનો ટેસ્ટ પાસ કરાવી શકે. ચાઈનિઝ કંપનીઓ ભારતમાં ફ્રૂક્ટોઝના નામે આવા સીરપ સપ્લાય કરે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટનો દાવો છે કે આ ભેળસેળ 2003 અને 2006માં સોફ્ટ ડ્રિંક્સની તપાસમાં જે ભેળસેળ સામે આવી હતી એના કરતાં પણ ખતરનાક છે.
- Advertisement -
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના દાવા મુજબ આ ભેળસેળ અગાઉ સોફ્ટ ડ્રિંક્સની તપાસમાં મળેલી ભેળસેળ કરતાં પણ ખતરનાક
CSE ના રિપોર્ટમાં કહેવાયું છે કે એક જર્મન લેબમાં થયેલા મધની શુદ્ધતાના પરિક્ષણમાં ડાબર, પતંજલિ, બૈદ્યનાથ, ઝંડુ, એપિસ હિમાલયન અને હિતકારી જેવી બ્રાન્ડ્સના નમૂના ફેલ રહ્યાં છે. 22 નમૂનાઓ પૈકી માત્ર 5 જ નમૂના તમામ ટેસ્ટમાં પાસ થયા અને 13 બ્રાન્ડ્સમાંથી માત્ર 3 બ્રાન્ડ્સના નમૂના તમામ પરિક્ષણમાં શુદ્ધ સાબિત થયાં.
ભેળસેળિયું મધ ખાવું એટલે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ જણાવે છે કે બજારમાં મોટેભાગે ભેળસેળિયું મધ વેંચાઈ રહ્યું છે. એવું મધ ખાનારા લોકો મધ ઓછું અને ખાંડ (શબ્દસ:) વધુ ખાઈ રહ્યાં છે. એનાથી તો કોવિડ-19નું જોખમ વધી જાય. કારણ કે ખાંડ તો અલ્ટિમેટલી ઓબેસિટી સાથે જોડાયેલો મામલો છે. ગયા વર્ષે ઋજજઅઈંએ આયાતકારો અને રાજ્યોના ખાદ્ય કમિશરોને ચેતવણી પણ આપી હતી કે ગોલ્ડન સીરપ, ઈનવર્ટ સુગર સીરપ અને રાઈસ સીરપને આયાત કરીને તે મધમાં ભેળવવામાં આવે છે.
- Advertisement -
ડાયાબિટિક વ્યક્તિ માટે ભેળસેળિયું મધ એ ઝેર જ છે
મધનું એલ્ટ્રેશન કરનારાઓ એમાં સુગર કેમિકલ્સ ભેળવતાં હોય છે. જે માણસના લિવર, હાર્ટ કે આંતરડા પર ઈફેક્ટ કરે છે. વળી કેટલીક કંપનીઓ તો એને ટ્રાન્સપરન્ટ બનાવવા અન્ય સિન્થેટિક્સ પણ વાપરતી હોય છે.
ભેળસેળિયા મધમાં વપરાંતા આર્ટિફિશિયલ ફ્રૂક્ટોઝ-ગ્લુકોઝ (મધના ત્રણ મુખ્ય તત્વો પૈકીના બે) તેમજ કલર કેમિકલ્સ દરેક માટે નુકસાનકારક છે. ભારતમાં મોટેભાગે મધનો ઉપયોગ દવામાં થતો હોય છે. વળી, ડાયાબિટિક વ્યક્તિઓ તો એને ખાંડ વગરનું માનીને બેફામ ખાતાં હોય અને ભૂલમાં પોતાના શરીરમાં સુગર જ ઓરી રહ્યાં હોય એટલે ડાયાબિટિક વ્યક્તિઓ માટે તો ભેળસેળિયું મધ એ કોઈ ઝેરથી કમ નથી.
ભાવ અને ભેળસેળ : અલગ – અલગ છતાં લગોલગ
દર્શન ભાલારા કહે છે કે, ‘મધનો નીચો ભાવ જ એમાં ભેળસેળનું સૌથી મોટું કારણ છે. કેટલીક બ્રાન્ડેડ કહેવાતી કંપનીઓ 280 રૂપિયે કિલોના ભાવે પણ મધ વેંચે છે. સાહેબ, તમે મધ તો છોડો ઘરે ખાંડની કિલો ચાસણી બનાવો તો પણ એની પડતર તમને દોઢસોથી બસ્સો રૂપિયા થાય! એ સંજોગોમાં જો કોઈ તમને 280 રૂપિયે મધ વેંચતું હોય તો એ શુદ્ધ કેવી રીતે હોવાનું? અને ખાંડ તો બહુ મોંઘી પડે, ભેળસેળ કરનારાઓ તો 20થી 50 રૂપિયે કિલો હોય એ તત્વો મધમાં ભેળવતા હોય છે. મધના ભાવ અમુક લોકો તળિયે લઈ ગયા હોવાનું એક કારણ એ પણ છે કે એમાં સરકારનું કોઈ રેગ્યુલેશન નથી. નથી સરકાર કોઈ ભાવ નિયત કરતી, નથી ખરીદતી. માટે અમે તો મધધારામાં મોટેભાગે રિટેલ જ વેપાર કરીએ છીએ અને શુદ્ધતા માટે અમને મોં માંગ્યા દામ પણ મળે છે પરંતુ જો કોઈ મોટી બ્રાન્ડ અમારી પાસેથી મધ ખરીદવા ઈચ્છતી હોય તો ભાવ એ નક્કી કરે. કારણ કે સરકારનું કોઈ રેગ્યુલેશન નથી.
માત્ર મધમાં જ નહીં, મધમાખીના ખોરાકમાં પણ ભેળસેળ કરી રહ્યો છે માણસ
જૂન-જૂલાઈ અને ઓગસ્ટ મધમાખીનો વિક પીરિયડ હોય છે, ફૂલોની સિઝન ન હોય એ સમયગાળામાં મધમાખીનું અસ્તિત્વ ટકાવવા એને કંઈક ફિડિંગ કરાવવું પડે. એ પીરિયડમાં ટકવા માટે મધમાખી પાઉડર ફોર્મમાં મધ તૈયાર કરતી હોય છે. જે બી પોલોન તરીકે ઓળખાય છે. એની કિંમત કિલોની 1500થી 2000 રૂપિયા હોય છે. એ કોસ્ટ નીચી લાવવા મધમાખીનો ઉછેર કરનારાઓ કેટલાક એને બી પોલોનના બદલે સીધુ ખાંડનું જ ફિડિંગ કરાવતા હોય છે. ખાંડનું ફિડિંગ કરતી મધમાખી મધમાં આપણને એ ગુણધર્મો ક્યાંથી આપવાની જે તત્વો માત્ર ફૂલના કુદરતી તત્વોમાંથી જ મળે છે? માટે સસ્તું મધ ખાનારાઓ શબ્દસ: મધના નામે ખાંડ ખાઈ રહ્યાં હોય છે.
મધ અને માન્યતાઓમાં શું સાચુ શું ખોટું?
વર્ષોથી મધના ઉત્પાદનના વ્યવસાયમાં રહેલા દર્શનભાઈ સ્પષ્ટ કહે છે કે લેબોરેટરી ટેસ્ટિંગ વિના મધની શુદ્ધતા પારખવી સામાન્ય માણસ માટે ઓલમોસ્ટ ઈમ્પોસિબલ છે. ઘરગથ્થુ નુસખાઓ અને માન્યતાઓના આધારે મધની શુદ્ધતા કે અશુદ્ધતા નક્કી ન કરવી જોઈએ. મધ સંપૂર્ણ આહાર છે. એ ક્યારેય દરેક જગ્યાએ એકસરખું ન મળે. એના જાડા-પાતળા હોવા કે અલગ સ્વાદ-સુગંધ હોવાનો આધાર એ જેમાંથી બન્યું હોય એ ફૂલના તત્વો પર રહેલો હોય છે. આપણા સમાજમાં મધ અંગે અનેક માન્યતાઓ-ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે.
શું જે જામે એ મધ અશુદ્ધ જ હોય?
એક માન્યતા એવી છે કે જે જામી જાય એ મધ અશુદ્ધ હોય. એની પાછળનો તર્ક એવો છે કે જો જામી જાય તો એમાં ચાસણી ભેળવેલી હોય. આ તર્ક ખોટો એટલા માટે છે કે ખાંડની ચાસણી બનાવવા માટે ખાંડને 150 ડિગ્રી હિટ આપવી પડે. ત્યારે એ ચાસણી થાય. એ ચાસણી જામી જાય પછી એને તમે ફરી 150 ડિગ્રી તાપમાને ગરમ કરો ત્યારે એ ફરીથી ચાસણી થાય. જ્યારે મધના કિસ્સામાં તો એવું છે કે જામેલા મધને તમે થોડા દિવસ અગાસીમાં તડકે મુકો એટલે ફરી એ લિક્વિડ સ્વરુપમાં આવી જાય છે. મધના જામવા કે ન જામવાનું કારણ એ મધ મધમાખીએ જેના અર્કમાંથી એ મધ બનાવ્યું હોય એ ફૂલ હોય છે. જે ફૂલમાં ગ્લુકોઝની માત્રા વધુ હોય એ ફૂલના અર્કમાંથી મધમાખીએ બનાવેલું મધ જામી જાય એ કુદરતી છે. જેમ કે ધાણાનું મધ. સરસવનું મધ પણ જામી જાય. મધનો ગુણધર્મ એ છે કે એ કુદરતી છે. એટલે કુદરતી વાતાવરણના ફેરફારની એના પર અસર થવાની જ.
જે સળગે એ મધ શુદ્ધ જ હોય?
સાચુ મધ સળગે પણ ખરું અને ન પણ સળગે. એના સળગવા કે ન સળગવાનો આધાર એની શુદ્ધતા કે અશુદ્ધિ નહીં, પણ એનો પૂળો અને એને ઉતારવાની પદ્ધતિ હોય છે. મધમાખીનો પૂળો એટલે કે વેક્સ મુળત: જ્વલનશીલ પદાર્થ છે. પૂળામાંથી નીચોવીને કાઢેલા મધમાં પૂળાનો ભાગ આવે એટલે એ સળગે. જ્યારે નીચોવવાના બદલે ઝાટકીને ઉતાર્યું હોય અને પછી આછા કપડાંમાં ગાળી લીધું હોય એ મધ ન સળગે.
શુદ્ધ મધનો મિનિમમ ભાવ શું?
દર્શન ભાલારા કહે છે કે, શુદ્ધ મધ પાંચસો-સાતસો રૂપિયે કિલોથી સસ્તું આપવું કોઈને પોસાય નહીં. જો એનાથી સસ્તુ કે અડધા ભાવે કોઈ મધ વેંચતું હોય તો એની ગુણવત્તા ચોક્કસપણે શંકાના ઘેરામાં જ રહેવાની.
વિશ્વના પાંચ સૌથી મોંઘા મધ
ઈકારિયાનું ગ્રીક હની
16 હજાર રૂપિયાનું 920 ગ્રામ
16 હજાર રૂપિયાનું 920 ગ્રામ
ગ્રીક ટાપુ ઈકારિયાના મધનો જાર અંદાજે 16 હજાર રૂપિયે કિલો વેંચાય છે. જેમાં 920 ગ્રામ મધ આવે. આ ટાપુ પૌરાણીક કાળથી હિલિંગ માટે જાણીતો છે. અહીંની ડાર્ક બ્રાઉન રંગની મધમાખીઓ હાઈ-ક્વોલિટીની માનવામાં આવે છે. જેઓ હર્બલ્સ, પાઈન ટ્રી અને ટાપુની અન્ય વનસ્પતિઓના રસમાંથી મધ બનાવે છે.
મ્યલ લો મેહોર દેલ બિયર દો 11 હજારનું કિલો
સ્પેનના El Bierzo જિલ્લાની મધમાખીઓ દ્વારા ઉત્પાદિત આ મધ પણ રેર ક્વોલિટીમાં આવે છે.
હલાલ સર્ટિફાઈડ આ મધ મુસ્લિમોમાં ખુબ લોકપ્રિય છે. 11 હજાર રૂપિયે કિલો વેંચાતુ આ મધ એક સમયે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોંઘુ મધ હતું
કામોત્તેજક મનાતું રોયલ યમન સિદ્ર હની : 73 હજારનું કિલો
કામોત્તેજક મનાતા આ મધની એટલી બધી માંગ રહે છે કે અમેરિકામાં તે ઓલમોસ્ટ 73 હજાર રૂપિયે કિલોના ભાવે વેંચાય છે. આ મધ તેના મેડિકલ ઉપયોગ માટે અને આરોગ્યવર્ધક તરીકે જાણીતું છે. સિદ્ર હનિના પણ અનેક પ્રકાર છે જે પૈકી સૌથી મોંઘુ આ રોયલ યમન છે. યમન અને સાઉદી અરેબિયામાં સિદ્રના વૃક્ષના તત્વોમાંથી મધમાખીઓ આ જે મધ બનાવે છે તે હજારો વર્ષોથી ઔષધીઓમાં વપરાય છે.
ન્યૂઝીલેન્ડનું રેર હાર્વેસ્ટ મનુકા હની : 1 લાખ 31 હજાર રૂપિયે કિલો
સંતાનોત્પત્તિ માટે ફાયદાકારક મનાતું અને હાઈએસ્ટ રેટિંગ ધરાવતું આ મધ ધ ટ્રૂ હનિ કંપની બનાવે છે. આ મધની દરેક બેંચમાં માત્ર 1 હજાર જાર તૈયાર થાય છે.
એલ્વિશ હની : રૂપિયા પાંચ લાખનો ચાંદલો કરો ત્યારે એક કિલો મળે!
પઈશ્વરના સાચા અમૃતથ તરીકે જાણીતું આ મધ વિશ્વનું સૌથી મોંઘુ મધ છે. એલ્વિશ હનિ ખુબ જાડું અને સોનેરી રંગનું હોય છે. જે તેને ખુબ જ મૂલ્યવાન બનાવે છે. આ મધ તુર્કીની કેટલીક ગુફાઓમાંથી મળી આવે છે. આ પૈકીની સૌથી ઊંડી ગુફાની ઊંડાઈ પૃથ્વીથી 1800 મિટર છે. આ મધ મોંઘુ હોવાનું કારણ એ પણ છે કે એને લાવવા માટે પર્વતારોહકોની આખી ટુકડીને ગુફામાં ઉતારવી પડે છે.