શ્રમ-રોજગાર વિભાગના સચિવ અને કલેક્ટરને જિજ્ઞેશ મેવાણીની સફળ રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
દલિત સમાજના નેતા અને વડગામના જિજ્ઞેશ મેવાણી અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા છેલ્લા 17 દિવસથી સતત રાજકોટમાં છે. દરમિયાન મેવાણી દ્વારા તે જ્યાં રોકાયા છે તે પથિકાશ્રમના કર્મચારીઓને થતા અન્યાય માટે મહત્વની કામગીરી કરી હતી. અહીં કર્મચારીઓને લઘુતમ કરતા ઓછું વેતન અપાતું હોવાનું ધ્યાનમાં આવતા મેવાણીએ શ્રમ-રોજગાર વિભાગના સચિવ અને કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમજ આ તમામ કર્મચારીઓને લઘુતમ વેતન મળે તેવી વ્યવસ્થા કરી આપી હતી.
વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી હાલ સરકારી પથિકાશ્રમમાં રોકાયેલા છે. તેઓએ અહીં પોતાના રોકાણ દરમિયાન રિસેપ્શન ઉપર કામ કરતાં યુવાન કર્મચારીને પૂછ્યું કે કેટલો પગાર તમને આપે છે? જવાબ મળ્યો કે 8 હજાર! તુરંત જ જિજ્ઞેશ મેવાણીએ કલેકટર અને રાજ્યસરકારના શ્રમ રોજગાર વિભાગના સચિવ અંજુ શર્માને ફોન કરીને જાણ કરી હતી. અને જણાવ્યું હતું કે, ગત વર્ષે થયેલા વેતન સુધારા મુજબ સર્કિટ હાઉસના કર્મચારીઓનું લઘુતમ ધારા પ્રમાણે વેતન 12 હજારથી ઓછું હોઈ શકે નહીં, આ તો નર્યું શોષણ છે. વધુમાં કહ્યું કે, આ કર્મચારીઓને પગાર સ્લીપ પણ અપાતી નથી અને પી.એફ. પણ કપાતું નથી. બીજા દિવસે આ અંગે ધારાસભ્ય સીધા કલેકટર પાસે પહોંચી ગયા અને મુદાસર તેઓએ રજૂઆત કરી કે પથિકાશ્રમના સફાઈ કર્મચારી બહેનો અને તમામ સ્ટાફને સરકારે નિર્ધારિત કરેલા લઘુતમ વેતન કરતા દર મહિને 4 હજાર રૂપિયા ઓછા આપી દરેક કર્મચારીને વર્ષે 50 હજારનું નુકશાન પહોંચાડી એમની મહેનતના રૂપિયા કોન્ટ્રાકટર દ્વારા ખવાઈ જાય છે.
મેવાણીની રજૂઆતોને પગલે શ્રમ અને રોજગાર વિભાગ અને રાજકોટ કલેકટર તંત્ર હરકતમાં આવતાં પથિકાશ્રમની મુલાકાતે આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર અને શ્રમ અધિકારીને દોડાવ્યા હતા. જેઓને સ્થળ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે ખરેખર અહીંના કર્મચારીઓને નિયમાનુસાર વેતન ચૂકવવામાં આવતું નથી. બાદમાં કોન્ટ્રાકટરને સૂચના આપી દેવામાં આવી છે કે, દરેકને મહિને લઘુતમ વેતન પ્રમાણે પગાર ચૂકવવો જેને પગલે આ કર્મચારીઓનો પગાર 8 હજારથી વધીને 12,700 રૂપિયા કરી દેવામાં આવતા કર્મચારીઓ ખુશખુશાલ બન્યા હતા.
આ અંગે અહીના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, અમારે અહીં (પથિકાશ્રમ અને સર્કિટ હાઉસ) ઈંઅજ, ઈંઙજ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, ધારાસભ્યો, સંસદ સભ્યો સહિતના અનેક મહાનુભાવો તમામ રોકાતા હોય છે. પણ આજદિન સુધી અમારા જીવન વિશે કોઈ દરકાર લીધી ના હતી. અમને પહેલાં એવા ધારાસભ્ય મળ્યા છે કે, જે કર્મચારીને બોલાવીને એમના હાલચાલ પૂછ્યા કરે છે. અને કર્મચારીઓની નાની નાની બાબતોની ચિંતા કરી અમારા વર્ષો જૂના પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવી આપ્યો છે. આ માટે તેઓનાં આભારી છીએ.
- Advertisement -
બીજીતરફ મેવાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટની સરકારી ઓફિસોમાં તેઓની વારંવારની રજૂઆતો છતાં કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. હાલ તો આ બાબતે શ્રમ અને રોજગાર વિભાગના સચિવ અને કલેક્ટરને રજૂઆત કરી અહીંનાં કર્મચારીઓની સમસ્યા ઉકેલી છે. પરંતુ અન્ય સ્થળોએ પણ આવું શોષણ ચાલી રહ્યું છે. તેની ફરિયાદ આવનાર 18 જૂનના રાજ્યના ચીફ સેક્રેટરીને કરવામાં આવશે. અને નાના કર્મચારીઓના શોષણ જેવા અનેક મુદાઓનું નિરાકરણ કરી ન્યાય અપાવવા પ્રયાસ કરીશું.